અનેક ચડાવ ઉતાર બાદ આખરે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા ડીલ થઇ ગઇ છે. આ શાંતિ ક્યાં સુધી ટકશે એ કોઇ કહી શકે એમ નથી. અત્યાર સુધીમાં પરમેનન્ટ સોલ્યૂશન માટે અપાયેલી દરેક ફોર્મ્યુલા નિષ્ફળ ગઇ છે
યુદ્ધ પૂરું ગયા બાદ પણ દુશ્મની એવીને એવી જ રહેવાની છે. ઉલટું યુદ્ધના કારણે કડવાશમાં વધારો થઇ ગયો છે. જ્યાં સુધી કાયમી સમાધાન નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલતો રહેવાનો છે. સદીઓ બદલાશે તો પણ શાંતિ નહીં સ્થપાય!
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ રોકવા માટે સંમત થઇ ગયા છે એ વાત જેવી જાહેર થઇ કે તરત જ ગાઝામાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. જે લોકો યુદ્ધના કારણે હિજરત કરી ગયા હતા એ લોકોમાં ફરીથી પોતાના વતન અને પોતાની ઘરમાં પાછા ફરવાની ખુશી વર્તાતી હતી. ગાઝામાં મોટાભાગના ઘરો ખંડેરમાં બદલી ગયા છે. જે ઘરમાં ખુશહાલ જિંદગી ધબકતી હતી ત્યાં હવે ભેંકાર ખામોશી છે. રાખના ઢગલા અને પથ્થરોના ટુકડા જોઇને લોકોને વિચાર આવી જાય છે કે, આપણું કેવું સરસ ઘર હતું. કેટલાંય ઘરો એવા છે જેના પર મિસાઇલ ત્રાટકી પછી લોકોના મોત થયા હોય. એવા ઘરોમાં પગ મૂકતા પણ લોકોનો નિસાસો નીકળી જાય છે.
યુદ્ધની કથાઓ રમણીય હોય છે એવું ભલે કહેવાતું હોય પણ જેના પર વીતી હોય એના માટે તો એ એવા ખરાબ સપના જેવી હોય છે જેના ભણકારા આખી જિંદગી સંભળાતા રહે છે. રોડ નાશ પામ્યા છે. શાળા કોલેજો ખંડેર બની ગઇ છે. મનોરંજનનો તો કોઇ સવાલ જ નથી. બે ટંક ખાવાનું મળી રહે તો પણ ઘણું છે. લોકો પાસે પીવાનું પાણી નથી. સારવાર માટે દવા અને તબીબી સાધનો નથી. યુદ્ધ વિરામ બાદ હવે દુનિયાભરમાંથી સહાય આવવાનું શરૂ થશે અને લોકોને થોડીક મદદ મળશે. ગાઝામાં બધું હતું એવુંને એવું થતાં તો દાયકાઓ નીકળી જવાના છે, લોકોની જિંદગી થોડીક થાળે પડે તો પણ ઘણું છે.
આ યુદ્ધ કોણ જીત્યું અને કોણ હાર્યું? ઇઝરાયલેનો હાથ ઉપર રહ્યો છે એમાં ના નહીં પણ આખરે તો પોતાના બંધકોને છોડાવવા માટે તેણે પણ હમાસ સાથે સમાધાન કરવું પડ્યું છે. આ સમાધાન કેટલું ટકશે એ કહેવું પણ અઘરું છે. કતારના દોહામાં ઇઝરાયેલ અને હમાસના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થતી હતી ત્યારે પણ શંકાના વાદળો ઘેરાયેલા હતા કે સિઝફાયર ડીલ થશે કે કેમ? પોતાના 35 બંધકોને છોડાવવા માટે ઇઝરાયેલ પેલેસ્ટાઇનના એક હજારને છોડવા અને યુદ્ધ રોકવા તૈયાર થઇ ગયું એ એવું સાબિત કરે છે કે, ઇઝરાયેલ પણ યુદ્ધથી કંટાળ્યું હતું. ઇઝરાયેલ ભલે ગમે તેવા દાવાઓ અને મોસાદની મોટી મોટી વાતો કરતું હોય પણ એક હકીકત એ પણ છે કે, ઇઝરાયેલ પોતાના બંધકોને શોધી શક્યું નથી.
ઇઝરાયેલની દાનત તો એવી હતી કે, હમાસ પર હુમલો કરીને બંધકોને છોડાવી લેશું. એક વાર એવું જોખમ ઇઝરાયેલે લીધું પણ હતું. ઇઝરાયેલને ખબર પડી ગઇ હતી કે, થોડાક બંધકોને અહીં રાખવામાં આવ્યા છે. ઇઝરાયેલે ત્યાં હુમલો કર્યો હતો. હમાસને ખબર પડી ગઇ એટલે તેણે બધા બંધકોને મારી નાખ્યા હતા. એ પછી જ ઇઝરાયેલને સમજાયું કે, બંધકોને છોડાવવા માટે સમાધાન કરવા સિવાય કોઇ રસ્તો બચ્યો નથી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ તો અટકી ગયું છે પણ દુશ્મની ખતમ થઇ નથી. અત્યારે જે થયું એ અલ્પવિરામ છે. જ્યાં સુધી પૂર્ણવિરામ એટલે કે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી સ્થિતિમાં કોઇ ફેર પડવાનો નથી. કાયમી શાંતિ લાવવાનું ઇઝરાયેલના હાથમાં છે પણ એ જરાયે નમતું જોખવા માટે તૈયાર નથી. એને કંઇ આપવું નથી કે કંઇ જતું કરવું નથી. ઇઝરાયેલના ખાસમખાસ દોસ્ત અમેરિકા પણ કાયમી અશાંતિનો અંત લાવવા માટે ફોર્મ્યુલા આપી ચૂક્યું છે પણ ઇઝરાયેલ કોઇ વાત માનતું નથી.
આ સમસ્યા વિશે નિષ્ણાતો એક જ વાત કરે છે કે, કાયમી ઉકેલ તો જ આવશે જો અલગ પેલેસ્ટાઇનની રચના કરીને તેને માન્યતા આપવામાં આવે. હવે તો આવું થવાની અશક્ય એટલા માટે લાગે છે કારણ કે, યુદ્ધના કારણે દુશ્મની વધુ કટ્ટર થઇ છે. જે લોકોએ પોતાના સ્વજનોને મરતા અને પોતાના ઘરને તબાહ થતાં જોયા છે એ લોકો ક્યારેય ભૂલવાના નથી અને મેળ પડ્યે પ્રહાર કરવાના જ છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં 47 હજારથી વધુ લોકોના મોત થયા છે. જે માર્યા ગયા તેમાં નિર્દોષ લોકોની સંખ્યા મોટી છે. નાના બાળકો અને મહિલાઓનો તો કંઇ વાંક નહોતો પણ યુદ્ધમાં સૂકા કરતા લીલું જ વધુ બળતું હોય છે.
યુદ્ધ વિરામનો યશ ખાટવા માટે અમેરિકા મેદાનમાં આવી ગયું છે. જેની સત્તા હવે બે જ દિવસમાં સમાપ્ત થવાની છે એવા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને કહ્યું કે, અમેરિકાની મહેનત રંગ લાવી છે અને યુદ્ધ વિરામ શક્ય બન્યું છે. બાઇડેને જતા જતા એક કામ પૂરું કરવું હતું એ તેણે કર્યું છે. એ પણ માંડ માંડ થયું છે. તારીખ 7 ઓકટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો એના થોડા દિવસોથી જ અમેરિકા ઇઝરાયેલને યુદ્ધ રોકવા કહેતું રહ્યું હતું. યુદ્ધ શરૂ થયું એ પછી અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન ખુદ ઇઝરાયેલ જઇને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને મળ્યા હતા.
બાઇડેને એમ પણ કહ્યું હતું કે, ગાઝા પર કબજો કરવાનો વિચાર વાજબી નથી. અમેરિકાએ જે ભૂલ અફઘાનિસ્તાનમાં કરી એવી ભૂલ ન કરવા પણ બાઇડેને નેતન્યાહૂને કહ્યું હતું. નેતન્યાહૂએ પોતાનું ધાર્યું કર્યું અને ગાઝા પર કબજો જમાવી લીધો. ગાઝા અત્યારે ઇઝરાયેલ હસ્તક છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, ઇઝરાયેલ ગાઝાનો વહીવટ કેવી રીતે કરશે? બીજી વાત એ કે, વહીવટ પણ કંઇ મફત થવાનો નથી. ગાઝામાં કામો કરવા માટે નાણાં ક્યાંથી આવશે? ઇઝરાયેલે હજુ ઘણું ભોગવવું પડશે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂના ખુદના ભવિષ્ય સામે હજુ સવાલો લાગેલા છે. ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સત્તા સંભાળવાનો રેકોર્ડ નેતન્યાહૂના નામે નોંધાયેલો છે. નેતન્યાહૂને કલ્પના નહોતી કે, તેણે હમાસ સાથે લાંબી લડાઇ લડવી પડશે અને પોતાના લોકોની જ નારાજગી વહોરવી પડશે. ઇઝરાયેલમાં જ નેતન્યાહૂ સામે મોટા પાયે દેખાવો થયા છે. પોતાના દેશના જ લોકો નેતન્યાહૂ સામે આંગળી ચિંધીને કહી રહ્યા હતા કે, તેમની જીદના કારણે જ યુદ્ધ લંબાઇ રહ્યું છે. તેની સામે એવા આક્ષેપો પણ થતા રહ્યા છે કે, પોતાની સત્તા ટકાવી રાખવા માટે નેતન્યાહૂ યુદ્ધ લંબાવતા રહે છે.
હવે જ્યારે યુદ્ધ પત્યું છે ત્યારે બેન્જામીન નેતન્યાહૂનું રાજકારણ પણ કેટલું ટકશે એ જોવાનું રહે છે. આ સિઝફાયર દરમિયાન કંઇ ન થવાનું થયું તો ફરીથી ભડકો થવાનો છે. ભવિષ્યમાં પણ યુદ્ધનો ખતરો મંડાયેલો જ રહેવાનો છે. જ્યાં સુધી કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે ત્યાં સુધી યુદ્ધો થતા રહેવાના છે. કંઇક એવું થાય એને પરમેન્નટ સોલ્યૂશન નીકળે તો જ આ વિસ્તારમાં લોહી વહેવાનું બંધ થશે, બાકી અલ્પવિરામ બાદ ફરીથી સંઘર્ષ છેડાશે!


