લંડનમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના પાકિસ્તાન અંગેના નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયુ છે. પડોશી દેશે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાને પીઓકે પર જયશંકરના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે કાશ્મીર પર પાયાવિહોણા દાવા કરવાને બદલે, ભારતે જમ્મુ-કાશ્મીરનો મોટો ભાગ છોડી દેવો જોઈએ જેના પર તેણે 77 વર્ષથી કબજો જમાવ્યો છે.
શફકતે કહ્યું કે અમે લંડનના ચેથમ હાઉસમાં કાશ્મીર પર જયશંકર દ્વારા આપવામાં આવેલા નિવેદનને નકારી કાઢીએ છીએ. તેમણે કહ્યું કે પીઓકેનો મુદ્દો વિવાદાસ્પદ છે અને જયશંકર તેના વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. ભારતે લશ્કરી શક્તિ દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં. કાશ્મીરના લોકોની સમસ્યાઓ લશ્કરનો ઉપયોગ કરીને લેવામાં આવેલા પગલાંથી ઉકેલાશે નહીં.
શું છે સમગ્ર મામલો ?
લંડનના ચેથમ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે વિદેશ મંત્રી એસ જયશંકરને એક પ્રશ્ન પૂછ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં શાંતિ લાવવાની વાત કરે છે, તો શું નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતાનો ઉપયોગ કરી શકે છે?
આના પર જયશંકરે જવાબ આપ્યો હતો કે અમે કાશ્મીરની સમસ્યાને ઘણી હદ સુધી હલ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી એ આ દિશામાં પહેલું પગલું હતું. આ પછી, બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વધારવાની સાથે સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું મતદાન. અને હવે ચોથું પગલું પાકિસ્તાન દ્વારા છીનવાયેલા કાશ્મીરના ભાગને પરત લાવવાનો. જો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરાયેલ કાશ્મીરનો ભાગ પાછો આપવામાં આવે તો કાશ્મીર સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાઈ જશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના એ હિસ્સો એ ભાગ પરત મેળવવાનો છે. જે ગેરકાયદેસર પાકિસ્તાની કબજા હેઠળ છે. જ્યારે આનો ઉકેલ આવશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. ઘાટીમાં શાંતિ માટેના સૂત્રને સમજાવતા તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં અપનાવવામાં આવી હતી. આ ઉપરાંત જયશંકરે યુએસ નીતિ વિશે વાત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુએસ વહીવટ બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યો છે, જે ભારતના હિત માટે સારું છે. બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારની જરૂરિયાત પર સંમત થયા છે.


