રોહિત શર્મા નિવૃત્તિ લેશે કે નહીં? શું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રોહિત શર્માની છેલ્લી મેચ છે? આ સવાલ દરેક ક્રિકેટ ફેનના મનમાં છે. હવે આ સવાલનો જવાબ ટીમના વાઈસ-કપ્તાન શુભમન ગિલે આપ્યો છે.
દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે, જેના જવાબમાં તેને મોટી વાત કહી દીધી. શુભમન ગિલે કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં રોહિતની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચા થઈ નથી. ગિલે વધુમાં કહ્યું કે તેમને નથી લાગતું કે રોહિત તેના વિશે વિચારતો હશે.
શુભમને રોહિત પર આપ્યું મોટું નિવેદન
શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘ફાઈનલ પહેલા મેચ જીતવા અંગે ચર્ચા થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી કેવી રીતે જીતવી તે અંગે ચર્ચા થઈ છે. રોહિત શર્માની નિવૃત્તિ અંગે ટીમ સાથે કે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મને નથી લાગતું કે રોહિત શર્મા નિવૃત્તિ વિશે વિચારી રહ્યો હશે. મેચ પૂરી થયા પછી જ તે પોતાનો નિર્ણય લેશે. અત્યાર સુધી કોઈ વાત થઈ નથી. રોહિત શર્મા ટૂંક સમયમાં 38 વર્ષનો થવાનો છે અને તે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ભારતે 2027 માં આગામી મોટી ICC ટુર્નામેન્ટ રમવાની છે, અને તે સમયે રોહિત લગભગ 40 વર્ષનો હશે, તેથી આ પરિસ્થિતિમાં રોહિત માટે આગળ રમવું મુશ્કેલ લાગે છે. હવે જોવાનું એ રહે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પછી તે શું નિર્ણય લે છે?
શુભમન ગિલે જણાવ્યું કે ફાઈનલ કોણ જીતશે
શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ કોણ જીતશે? ગિલે કહ્યું કે જે ટીમ ફાઈનલમાં દબાણનો સારી રીતે સામનો કરશે તે જીતશે. ગિલે વધુમાં કહ્યું કે વર્તમાન ભારતીય ટીમ પાસે બેસ્ટ બેટિંગ લાઈનઅપ છે. પહેલા નાની બેટિંગ લાઈન-અપને કારણે દબાણ હતું પણ હવે રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓ છે. શ્રેયસ ઐયર શાનદાર ફોર્મમાં છે. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ પણ ટીમમાં છે.
ટોસને લઈને કહી આ વાત
શુભમન ગિલે કહ્યું કે તેમની ટીમ પહેલા બેટિંગ અને પછી બેટિંગ બંને માટે તૈયાર છે. ગિલે કહ્યું કે ‘અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ.’ અમે બેટિંગની પ્રેક્ટિસ કરીએ છીએ, ભલે અમારે તે પહેલા કરવી પડે કે પછી. બોલરો પણ આ રીતે તૈયારી કરે છે. હું ફક્ત અંતિમ મેચમાં મારી જાતને થોડો વધુ સમય આપવા માંગુ છું.


