IPL 2025માં મંગળવારે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ હતી. શ્રેયસ ઐયરની પંજાબે આ મેચ 11 રનથી જીતી લીધી. પરંતુ આ મેચ કરતાં વધુ, પંજાબ કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરની ચર્ચા થઈ રહી છે.
તેનું કારણ છે કે 19 ઓવરના અંત પછી શ્રેયસ ઐયર 97 રન પર હતો, પરંતુ તેને છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક મળી ન હતી. 16 બોલમાં 44 રન બનાવનારા શશાંક સિંહે બધા બોલ રમ્યા. મેચ પછી તેને આ અંગે એક મોટો ખુલાસો કર્યો.
શ્રેયસ ઐયરે શશાંકને કહી આ વાત
જ્યારે પંજાબની ઈનિંગની 20મી ઓવર શરૂ થઈ, ત્યારે શ્રેયસ ઐયર 97 રન બનાવીને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભો હતો. મોહમ્મદ સિરાજની આ ઓવરમાં શશાંકે પાંચ ચોગ્ગા ફટકાર્યા, જેના કારણે ઐયરને બેટિંગ કરવાની તક મળી નહીં. અણનમ 44 રન બનાવનારા શશાંકે કહ્યું કે ઐયરે તેમને સ્ટ્રાઈક રોટેટ કરવાનું કહ્યું ન હતું.
પંજાબ કિંગ્સની 11 રનની જીત બાદ શશાંક સિંહે પત્રકારોને કહ્યું કે “સાચું કહું તો, મેં સ્કોરબોર્ડ તરફ જોયું નહીં. પરંતુ પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યા પછી, મેં સ્કોરબોર્ડ તરફ જોયું અને શ્રેયસ 97 રન પર હતો. મેં કંઈ કહ્યું નહીં. તે મારી પાસે આવ્યો અને મને કહ્યું કે શશાંક મારી સદીની ચિંતા ના કર. હું તેને પૂછવાનો હતો કે શું મારે રન લેવો જોઈએ અને તેને સ્ટ્રાઈક આપવી જોઈએ.”
શ્રેયસ ઐયરના શશાંક સિંહે કર્યા વખાણ
શશાંકે કહ્યું કે આ કહેવા માટે મોટા દિલ અને હિંમતની જરૂર પડે છે, કારણ કે T20 માં, ખાસ કરીને IPL માં, સદીઓ સરળતાથી બનતી નથી. શશાંકે કહ્યું કે ઐય્યરનો સંદેશ સ્પષ્ટ હતો કે બોલર પર એટેક કરતા રહો. તેને કહ્યું કે શ્રેયસે મને કહ્યું હતું કે શશાંક જા અને દરેક બોલ પર ચોગ્ગો કે છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર. આનાથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો. આપણે બધા જાણીએ છીએ કે દિવસના અંતે તે એક ટીમ ગેમ છે, પરંતુ તે પરિસ્થિતિઓમાં આટલું નિઃસ્વાર્થ રહેવું હજુ પણ મુશ્કેલ છે. પણ શ્રેયસ તેમાંથી એક છે. હું તેને છેલ્લા 10-15 વર્ષથી ઓળખું છું. તે બિલકુલ બદલાયો નથી.


