ઈસુને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા, જ્યાં તેમણે ઊંચા સ્વરે કહ્યું, `હે પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું. હે પિતા, આમને ક્ષમા કરજો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે.’
દર વર્ષે ઈસાઈ સમુદાય પ્રભુ ઈસા મસીહાના ક્રોસ પર બલિદાનની વર્ષગાંઠને ગૂડ ફ્રાઈડે અથવા શુભ શુક્રવાર તરીકે મનાવે છે. ગૂડ ફ્રાઈડેના 40 દિવસ પહેલાં ઉપવાસ, ઈસ વચનનું પઠન, ત્યાગ તથા તપસ્યા કરવામાં આવે છે.
ભગવાન ઈસુના યેરુસલેમમાં વિજયી પ્રવેશને ખજૂર રવિવાર તરીકે મનાવવામાં આવે છે, કારણ કે લોકોએ ઈસુના સ્વાગત માટે ખજૂરની ડાળખીઓ તથા વસ્ત્ર તેમના ચાલવાના રસ્તા પર પાથરી દીધાં હતાં. ખજૂર રવિવારથી પવિત્ર અઠવાડિયાની શરૂઆત થાય છે જે પ્રભુના પુનર્જીવિત થવાના પાવન દિવસ ઈસ્ટર સન્ડે સુધી ચાલે છે.
ખજૂર રવિવાર પછી આવનારો ગુરુવાર `પવિત્ર ગુરુવાર’ કહેવાય છે. આ દિવસે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો સાથે ભોજન કરતી વખતે તેમને આજ્ઞા આપી હતી કે, `તમે એકબીજાને પ્રેમ કરો, જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે. જો તમે પરસ્પર પ્રેમ રાખશો તો તેનાથી જ બધાં જાણશે કે તમે મારા પ્રિય શિષ્ય છો.’ આટલું કહી ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને વિનમ્રતાનું ઉદાહરણ પણ રજૂ કર્યું.
ત્યારબાદ પ્રભુ ઈસુને ક્રોસ પર લટકાવવાની ઘટનાનો મહાન દિવસ ગૂડ ફ્રાઈડે આવે છે. પ્રભુના જીવનનું અધ્યયન કરનારા તથા બાઈબલની શિક્ષાઓના જાણકારોના મતે સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને પ્રભુના મૃત્યુ સુધીની બધી જ ઘટનાઓ શુક્રવારે જ બની હતી. જેમ કે, સૃષ્ટિ પર પહેલા મનુષ્યનો જન્મ શુક્રવારે થયો, પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાને કારણે આદમ તથા હવ્વાને શુક્રવારના દિવસે જ અદન વાટિકામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં. પ્રભુ ઈસુની શુક્રવારના દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી. દૈતૂન પર્વત પર છેલ્લી પ્રાર્થના પ્રભુએ શુક્રવારે જ કરી હતી. પ્રભુ ઈસુ પર શુક્રવારે જ કેસ (મુકદ્દમો) ચલાવવામાં આવ્યો હતો.
પ્રજાની આંખે પાટા
ઈસુએ પોતાને પરમપિતાના પુત્ર તેમજ ઈશ્વરીય રાજ્યના ઉત્તરાધિકારી ગણાવ્યા, જેથી ધર્માધિકારીઓને તેમના વિરુદ્ધ ખોટી વાયકાઓ ફેલાવવાનું બહાનું મળી ગયું. એક તરફ રાજકીય વહીવટ સાથે સંકળાયેલી ભોળી પ્રજા પર પોતાનું રાજ કરતા આગેવાનો પ્રભુ ઈસુ પર રોષે ભરાયા હતા. તો બીજી તરફ આ પ્રજા પણ ઈસુને દંભી માનતી હતી. તે સમયે જેરુસલેમ શહેર રોમન સામ્રાજ્યની સત્તા હેઠળ હતું. સત્તા છૂટી જવાની બીકે પોતાનાં કરતૂતો ખુલ્લાં પડી જવાના ભયે પાખંડી વિરોધીઓએ ઈસુના શિષ્ય સહિત લાલચ આપીને કેટલાક માણસોને ઈસુ વિરુદ્ધ મહોરાં બનાવ્યાં. આ મહોરાંઓએ ઈસુને સત્તાલાલચી ઠેરવવાના આરોપમાં ધર્માધિકારીઓને મદદ કરી. રોમન સૂબા સમક્ષ ઈસુ પર મનફાવે તેવા આક્ષેપ થયા. અંતે ઈસુને જાહેરમાં વધસ્તંભ પર લટકાવીને દેહાંતદંડની સજા કરવામાં આવી.
પ્રભુનું દર્દભર્યું સ્મિત
અસહ્ય શબ્દો અને કોરડાઓના મારથી ઉઝરડા પડેલા શરીરને દોરડાથી બાંધી, માથા પર કાંટાળો તાજ માથું ટેકવવા દેતો નહોતો. ઈસુને અર્ધનગ્ન અવસ્થામાં કોરડાનો માર મારતાં વધસ્તંભ પોતાના ખભે જ ઊંચકાવી મૃત્યુદંડની જગ્યા સુધી ખેંચી લાવવામાં આવ્યા. મૃત્યુનો તમાશો જોવા એકઠી થયેલી પ્રજામાંથી કોઈએ ત્યારે ઈસુને એક પ્યાલો પાણી પણ ન ધર્યું. લોકો સામે દર્દભર્યું સ્મિત અને મેદની વચ્ચે ચૂપચાપ અશ્રુ વહાવતાં શિષ્યોને આશ્વાસન આપતાં ઈસુ `ગલકથા’ નામની ટેકરી તરફ પ્રયાણ કરતા રહ્યા.
ગલકથા પર ક્રોસ ખસેડવામાં આવ્યો અને ઈસુને લટકાવાયા પછી હાથ અને પગ પર ખીલા મારીને વધસ્તંભ સાથે તેમનું માનવશરીર જડી દેવાયું ત્યારે પ્રભુના લોહીની ધારા વહેતી હતી. જોકે, પ્રભુ ઈસુ માટે તો આ દેવ સાથેનું મિલન હતું. તેમના માટે તો મરણ થઈને સજીવન થવાની આ ક્રિયા માત્ર હતી. પ્રભુ ઈસુ માનવજાતની સમસ્ત પીડાઓ, દુઃખને માથે લેતા અને પોતાનો વધ કરનારાઓને પણ ઈશ્વર સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે પોતાના પ્રાણ ત્યજે છે.
ઈસ્ટર સન્ડે
ઈસુ મસીહાના પુનર્જીવિત થવાની ઘટનાની યાદમાં દુનિયાભરમાં ઈસ્ટર સન્ડે મનાવવામાં આવે છે. તેમને ક્રોસ પર ચઢાવ્યાના ત્રીજા દિવસે તેઓ પોતાની કબરમાંથી જીવિત થયા હતા. એવું કહેવાય છે કે આજે પણ તેમની કબર ખુલ્લી છે.
જીવિત થયા પછી તેમણે પોતાના શિષ્યો સાથે 40 દિવસ સુધી રહીને હજારો લોકોને દર્શન આપ્યાં. પ્રભુ ઈસુ માત્ર કોઈ એક જાતિ કે ધર્મની સ્થાપના માટે નહોતા આવ્યા, પરંતુ પ્રેમ અને સત્યનો ફેલાવો કરવા આવ્યા હતા. ઈસ્ટર અર્થાત્ ઈસુનું મરણમાંથી સજીવન થવું તે આનંદદાયક ઘટના હોવાથી તે દિવસે ઉજવણી અને ઈસુના નવજીવનની ખુશી મનાવાય છે. આ દિવસે લોકો પોતાનાં પાપ કે ભૂલનો પ્રભુ પાસે સ્વીકાર કરીને માફીની યાચના કરે છે.