પ્રાચીન સમયમાં ઋષિનગરમાં કેશવદત્ત નામનો બ્રાહ્મણ પત્ની અંજલિ સાથે રહેતો હતો. કેશવદત્તને ધન-સંપત્તિની કોઈ કમી નહોતી, બધા જ લોકો કેશવદત્તનું સન્માન કરતા હતા. તેને કોઈ વાતનું દુ:ખ નહોતું, પરંતુ પોતાને કોઈ સંતાન ન હોવાને કારણે કેશવદત્ત ખૂબ જ ચિંતિત રહ્યા કરતો હતો. પુત્ર-પ્રાપ્તિની ઈચ્છાથી બંને પતિ-પત્ની દરેક મંગળવારના દિવસે મંગળવારનું વ્રત કરતાં હતાં. આમ જ કેટલાંય વર્ષો વીતી ગયાં, પરંતુ તેમને સંતાનની પ્રાપ્તિ ન થઈ. કેશવદત્ત ખૂબ જ નિરાશ થઈ ગયા, પરંતુ તેમણે વ્રત કરવાનું ન છોડ્યું. થોડાક દિવસો પછી કેશવદત્ત પવનપુત્ર હનુમાનજીની સેવા કરવા માટે પોતાનું ઘરબાર છોડીને જંગલમાં જતાં રહ્યાં અને તેની પત્ની અંજલિ ઘરમાં જ રહીને મંગળવારનું વ્રત કરવા લાગી. આ પ્રમાણે બંને પતિ-પત્ની ઈચ્છાથી મંગળવારનું વિધિવત્ વ્રત કરવા લાગ્યાં.
એક દિવસ અંજલિએ મંગળવારનું વ્રત રાખ્યું હતું, પરંતુ કોઈ કારણસર તે દિવસે હનુમાનજીને ભોગ ન ધરાવી શકી અને સૂર્યાસ્ત બાદ ભૂખ્યા પેટે જ સૂઈ ગઈ. તેને આ બાબતનું ભાન થયું ત્યારે આગલા મંગળવારથી હનુમાનજીને ભોગ ધરાવ્યા વિના ભોજન નહીં કરવાનું પ્રણ લીધું. તે છ દિવસ સુધી ભૂખી-તરસી રહી અને સાતમા દિવસે મંગળવારે અંજલિએ હનુમાનજીની વિધિવત્ પૂજા-અર્ચના કરી, પરંતુ તે જ સમય દરમિયાન તે ભૂખી-તરસી રહેવાને કારણે બેભાન થઈ ગઈ. અંજલિની ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થઈ ગયા અને તેને સ્વપ્નમાં આવીને કહ્યું, `ઊઠો પુત્રી! હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું અને તને સુંદર અને સુયોગ્ય પુત્ર થવાનું વરદાન આપું છું.’ આટલું કહીને પવનપુત્ર અંતર્ધ્યાન થઈ ગયા. અંજલિએ ઊઠીને હનુમાનજીને ભોગ ધરાવ્યો અને પોતે ભોજન કર્યું.
હનુમાનજીની અનુકંપાથી થોડાક જ મહિનાઓ પછી અંજલિએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. મંગળવારે જન્મ થયો હોવાને કારણે તે બાળકનું નામ મંગળપ્રસાદ રાખવામાં આવ્યું. થોડાક જ દિવસોમાં કેશવદત્ત ઘરે પાછો ફર્યો. તેણે મંગળને જોઈને અંજલિને પૂછ્યું, `આ સુંદર બાળક કોનું છે?’ અંજલિએ ખુશ થઈને હનુમાનજીનાં દર્શન દેવાની અને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યાની આખી કથા કહી દીધી, પરંતુ અહીં કેશવદત્તને તેની વાત પર વિશ્વાસ ન બેઠો. તેના મનમાં એવો કલુષિત વિચાર આવી ગયો કે અંજલિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાના પાપને છુપાવવા જુઠ્ઠું બોલી રહી છે.
કેશવદત્તે તે બાળકને મારી નાખવાની યોજના બનાવી. એક દિવસ કેશવદત્ત સ્નાન કરવા માટે કૂવા પર ગયો મંગળ પણ તેની સાથે જ હતો. કેશવદત્તે અવસર જોઈને બાળક મંગળને કૂવામાં ફેંકી દીધો અને ઘરે આવીને એવું બહાનું બનાવ્યું કે મંગળ તો કૂવા પર મારી સાથે નથી પહોંચ્યો.
કેશવદત્તે આટલું કહ્યું કે ત્યાં જ મંગળ દોડતો દોડતો ઘરે આવી પહોંચ્યો. કેશવદત્ત બાળક મંગળને જીવતો જોઈને ખૂબ જ આશ્ચર્ય પામ્યો. તે જ રાત્રિએ હનુમાનજીએ કેશવદત્તને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, `તમારા બંનેના મંગળવારના વ્રત કરવાથી પ્રસન્ન થઈને પુત્રજન્મનું વરદાન મેં પ્રદાન કર્યું હતું, તારી પત્નીએ તને સઘળી વાત કર્યા છતાં પણ તું તેને કુલટા શા માટે સમજે છે?’ સ્વપ્નમાંથી જાગ્યા પછી તરત જ પોતાની પત્ની અંજલિને જગાડીને તેની ક્ષમા માંગતાં પોતાને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યાંની વાત કરી. કેશવદત્ત હવે બાળક મંગળને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો. તે દિવસ પછી બધાં ખૂબ જ આનંદપૂર્વક રહેવા લાગ્યા.
મંગળવારનું વિધિવત્ વ્રત કરવાથી કેશવદત્ત અને તેના પરિવારના બધાં જ કષ્ટ દૂર થઈ ગયાં. આ રીતે જે પણ સ્ત્રી-પુરુષ વિધિવત્ રીતે મંગળવારનું વ્રત રાખે છે અને મંગળવારની વ્રતકથા સાંભળે છે. અંજનિપુત્ર હનુમાનજી તે બધાનાં કષ્ટોને દૂર કરીને ઘરને ધન-સંપત્તિના ભંડારથી ભરી નાખે છે.