ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ ગયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025માં ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. BCCIએ એક્શન લેતા ટીમના સહયોગી સ્ટાફમાં મોટા ફેરફાર કર્યા છે. BCCIએ 4 કર્મચારીઓને ભારતીય ટીમમાંથી હટાવી દીધા છે. જેમાંથી આસિસ્ટેંટ કોચ, ફીલ્ડિંગ કોચ, સ્ટ્રેંથ અને કંડીશનિંગ કોચ અને એક મસાજર સામેલ છે. સૌથી મોટી વાત એ છે કે, તેમાં હેડ કોચ ગૌતમ ગંભીરના ખાસ અભિષેક નાયરની પણ છુટ્ટી થઈ ગઈ છે. અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા હતા.
આ તમામને હટાવી દેવાયા
જ્યારે ગંભીર ટીમ ઈંડિયાના હેડ કોચ બન્યા તો અભિષેક નાયરને પણ સપોર્ટ સ્ટાફમાં સામેલ કર્યા હતા. અભિષેક નાયર ટીમમાં આસિસ્ટેંટ કોચની જવાબદારી નિભાવી રહ્યા હતા. અભિષેક નાયરને 24 જૂલાઈ 2024ના રોજ ટીમ ઈંડિયાના આસિસ્ટેંટ કોચ બનાવ્યા હતા. અભિષેક નાયર ઉપરાંત ટીમ ઈંડિયાના સપોર્ટ સ્ટાફમાંથી ફીલ્ડિંગ કોચ ટી દિલીપ સ્ટ્રેંથ અને કંડીશનિંગ કોચ સોહમ દેસાઈની પણ છુટ્ટી કરી દીધી છે. તો વળી એક મસાજરને પણ હટાવી દેવામાં આવ્યા છે. જો કે આ મસાજરનું નામ શું છે, તે જાહેર નથી કર્યું.
કોચિંગ સ્ટાફમાં ગંભીરનું વર્ચસ્વ હતું
રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ 2024ના T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થયો. ત્યારબાદ ગૌતમ ગંભીરને 9 જુલાઈ 2024ના રોજ ભારતના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ખેલાડીએ કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી તેમના કોચિંગ સ્ટાફનો મોટો ભાગ લીધો, જેમાં અભિષેક નાયર, રાયન ટેન ડોશેટ અને મોર્ને મોર્કેલનો સમાવેશ થાય છે (ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સમાં માર્ગદર્શક હતો, ત્યારે મોર્કેલ બોલિંગ કોચ હતા).
ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં હવે કોણ છે?
ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-3થી શરમજનક હારનો સામનો કર્યા પછી, ભારતને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) માં સંઘર્ષ કરવો પડ્યો. આ પછી, BCCI એ આ વર્ષની શરૂઆતમાં NCA અને ઇન્ડિયા A કોચ સિતાંશુ કોટકને સફેદ બોલ માટે બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા. કોટક ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયા સાથે સંકળાયેલા હતા.


