ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી દીધી છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આનો જવાબ આપીશું. બીજી તરફ અમેરિકાના વ્હાઈટ હાઉસના અધિકારી સુત્રોએ દાવો કર્યો છે કે, અમેરિકાના એનએસએ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.
પાકિસ્તાન હુમલો કરવાનો કોઈ પ્લાન ના બનાવે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે, ભારતની એર સ્ટ્રાઈક વિરૂદ્ધ કોઈપણ એક્શન લેવા માટે પાકિસ્તાને ના વિચારવું જોઈએ. ભારત સાથે જંગની હિંમત ના કરે પાકિસ્તાન. તેમણે વધુમાં કહ્યુ હતુંકે, ભારતને આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર હતો. હવે ભારત તરફથી કરવામાં આવેલા આ એટેકના જવાબમાં પાકિસ્તાન કોઈ હુમલો કરવાનો પ્લાન ના બનાવે.
અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને ચેતવ્યું
પાકિસ્તાન તરફથી ભારતને જવાબ આપવાની વાત કરવામાં આવી રહી છે. ત્યાં અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોએ પાકિસ્તાની એનએસએ સાથે વાત કરીને શાંત રહેવા જણાવ્યું છે. તેમજ ભારતની સ્ટ્રાઈકનો જવાબ આપવાનો વિચાર પણ નહીં કરવા ચેતવણી આપી છે. માર્કો રૂબિયોએ આ એટેક બાદ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, હું ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. બંને દેશો વચ્ચેનો તણાવ ઝડપથી શાંત થઈ જશે અને સમાધાનની દિશામાં બંને દેશોને સામેલ કરવામાં આવશે.
હું આશા રાખું છું કે આ લડાઈ ઝડપથી પૂર્ણ થઈ જશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
આ હુમલા બાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સ્થિતિ પર ઝડપથી તણાવ ઓછો કરવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી લડી રહ્યાં છે. હું આશા રાખું છું કે આ લડાઈ ઝડપથી પૂર્ણ થઈ જશે.


