ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બુધવારે દિલ્હીમાં 13 વિદેશી રાજદૂતોને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર ભારતે કરેલી કાર્યવાહી વિશે માહિતી આપી છે. વિદેશ સચિવે વિદેશી રાજદૂતોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે. પાકિસ્તાન તરફથી બદલો લેવાની શક્યતા વિશે પૂછવામાં આવતા વિક્રમ મિશ્રીએ કહ્યું કે જો પાકિસ્તાન બદલો લેશે તો ભારત પણ જવાબ આપશે.
9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા
ભારતના હવાઈ હુમલાઓ વિશે પૂછવામાં આવતા મિશ્રીએ કહ્યું કે આ હુમલા પહેલગામમાં કરવામાં આવેલા આતંકી હુમલાનો જવાબ હતો, જેમાં 26 નિર્દોષ વ્યક્તિઓના મોત થયા હતા. ઓપરેશન સિંદૂર હેઠળ નિશાન બનાવવામાં આવેલા આતંકવાદી કેમ્પો વિશે વિદેશી રાજદૂતોને માહિતી આપતા વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ સંકલિત હુમલામાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત કુલ 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા.
80થી વધુ આતંકીઓને ઠાર કરાયા
બ્રિટિશ રાજદૂતે આ દરમિયાન પૂછ્યું કે શું ભારતીય દળો દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં કોઈ મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે? જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે એક સંકુલ જ્યાં આતંકવાદી કેમ્પ ચાલી રહ્યો હતો તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારત દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હુમલામાં આતંકવાદી જૂથો જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીનના 80થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતની કાર્યવાહી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદની કમર તોડી નાખવાનો હતો. મંગળવારે રાત્રે 1.05થી 1.30 વાગ્યાની વચ્ચે સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા આ ચોક્કસ હુમલાઓમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત 9 આતંકવાદી કેમ્પનો નાશ કરવામાં આવ્યો છે.


