રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધ અને એકબીજા પર હુમલાના કારણે બંને દેશો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન બંને દેશો હવે શાંતિ ઇચ્છે છે તેવી અટકળો વહેતી થઈ છે. અને એટલે જ યુક્રેન સાથે યુદ્ધ વિરામની સંભાવનાને લઈને રશિયન પ્રતિનિધિ મંડળ તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં વાટાઘાટો કરવા પહોંચ્યું હતું. રશિયા અને યુક્રેને ત્રણ વર્ષમાં પહેલી વાર તુર્કીમાં સામ-સામે વાતચીત કરી હતી, પરંતુ આ બેઠક કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ હતી. યુક્રેને આ નિષ્ફળતા માટે સંપૂર્ણપણે રશિયાને દોષી ઠેરવ્યું હતું.
રશિયાની શરતો ગંભીર અને વ્યવહારુ નથી
બેઠક બાદ યુક્રેને કહ્યું હતું કે, રશિયા દ્વારા વાટાઘાટોના ટેબલ પર મૂકવામાં આવેલી શરતો ગંભીર અને વ્યવહારુ નથી. શુક્રવારે બંને દેશોના પ્રતિનિધિમંડળો તુર્કીના ઇસ્તંબુલમાં સામસામે બેઠા હતા.પરંતુ આ બેઠક બે કલાકથી પણ ઓછી ચાલી હતી.યુક્રેને કહ્યું કે યુદ્ધવિરામના બદલામાં રશિયાએ યુક્રેનને તેના પોતાના પ્રદેશોમાંથી પાછા ખેંચવાની માંગ કરી જેને અશક્ય અને બિનસંવેદનશીલ ગણાવવામાં આવ્યું છે. યુક્રેનના અધિકારીઓએ મીડિયા એજન્સીઓને જણાવ્યું હતું કે, “રશિયા જે બાબતો પર આગ્રહ રાખી રહ્યું છે તે વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી કે તેણે આપણી જમીન પર કબજો કરી લીધો છે. તેમની વાતો ગંભીર નથી એવું લાગે છે કે તેઓ વાત કરી રહ્યા નથી પરંતુ ફક્ત સમય પસાર કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને તેમને વધુ નબળા પાડ્યા
વાટાઘાટો પહેલા અપેક્ષાઓ પહેલાથી જ ઓછી હતી અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને તેમને વધુ નબળા પાડ્યા. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી તેમની અને પુતિન વચ્ચે સીધી મુલાકાત ન થાય ત્યાં સુધી કોઈ નક્કર પરિણામ શક્ય નથી. વાટાઘાટો પહેલા ઝેલેન્સકીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે યુક્રેનની પહેલી પ્રાથમિકતા બિનશરતી, સંપૂર્ણ અને પ્રામાણિક યુદ્ધવિરામ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો રશિયા આ માટે સંમત ન થાય તો તેના પર ખાસ કરીને ઊર્જા અને બેંકિંગ ક્ષેત્રોમાં વધુ કડક પ્રતિબંધો લાદવા જોઈએ.
રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી,પરંતુ તેણે અગાઉ કહ્યું છે કે જો તેની સુરક્ષા ચિંતાઓ સમજી લેવામાં આવે તો તે રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે. રશિયાને ડર છે કે યુક્રેન યુદ્ધવિરામનો લાભ લઈને પશ્ચિમી શસ્ત્રોથી સજ્જ થશે.પુતિને ઝેલેન્સકી સાથે સીધી મુલાકાતનો ઇનકાર કર્યો અને મધ્યમ સ્તરની ટીમ મોકલી. જવાબમાં યુક્રેને પણ સમાન કક્ષાના પ્રતિનિધિઓ મોકલ્યા. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને બંને પક્ષોને સમજાવ્યું કે એક રસ્તો શાંતિ તરફ દોરી જાય છે, બીજો વિનાશ તરફ તે તમારા પર નિર્ભર છે. પરંતુ વાટાઘાટોમાં દેખાતી ગરમી સ્પષ્ટ કરે છે કે શાંતિનો માર્ગ હજુ ઘણો દૂર છે.


