ભારતીય ટીમ ઈંગ્લેન્ડ ખાતે આગામી 20 જૂનથી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરશે. ભારતીય ટીમના નવા કપ્તાન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇતિહાસ રચવા માટે ઈંગ્લેંડમાં રમશે. જાણકારો મુજબ ઈંગ્લેન્ડમાં જીત મેળવવા માટે બોલરો મહત્વનું યોગદાન આપી શકે એમ છે.
2007 નો ઇતિહાસ ફરી એકવાર
ભારતીય ટીમના નવા કપ્તાન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ 2007 નો ઇતિહાસ ફરી એકવાર રચવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. આજથી વર્ષો પહેલા એટલે કે છેક 2007 માં રાહુલ દ્રવિડની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લી વાર ભારતે સિરીઝ જીતી હતી. એ જીત બાદ એક પણ સિરીઝ ભારતે જીતી નથી. આ વખતે ટેસ્ટ સિરીઝમાં બે મહાન ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેર હાજરીમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. શુભમન ગિલ માટે આ એક અગ્નિ પરિક્ષા બની શકે છે.
બોલરો ભારતને જિતાડી શકે છે?
એક ઇંટરવ્યૂમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બોલિંગ કોચ અને ગૌતમ ગંભીરના મિત્ર ભરત અરુણે ટેસ્ટ મેચમાં 5 બોલરોને રમાંડવાની વાત કરી છે. ભરત અરુણના મત મુજબ ઈંગ્લેન્ડ પ્રવાસ પર બોલરો ચમત્કાર કરી શકે છે. વિદેશની ધરતી પર જસપ્રિત બૂમરાહ અને સિરાજ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ કુલદીપ યાદવની બોલિંગમાં ક્ષમતા છે કે તેઓ તેમની બોલિંગથી ભારતની જીતમાં મોટું યોગદાન આપી શકે છે. ઈંગ્લેન્ડની ધરતી પર બોલરોના સફળ રહેવાના વધારે અણસાર લાગી રહ્યા છે.
અર્શદીપસિંહને મોકો આપવો જરૂરી
ભરત અરુણે ત્યાં સુધી કહ્યું, કે આવનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય યુવા બોલર અર્શદીપસિંહને જો મોકો આપવામાં આવે તો તે ખુબ જ સારું પરફોર્મન્સ કરી શકે એમ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે અર્શદીપસિંહને પણ સ્થાન આપવું જોઈએ. તેમની બોલિંગ ઈંગ્લેન્ડ પ્રવાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. તેમનામાં બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા છે, અને આ વાતનો ફાયદો ભારતીય ટીમને થઈ શકે છે.