ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માનું 2027નો વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન હવે મુશ્કેલીમાં મુકાય તેવું લાગી રહ્યું છે. 2027માં દક્ષિણ આફ્રિકામાં આગામી ODI વર્લ્ડકપ થશે, ત્યાં સુધીમાં રોહિત 40 વર્ષનો થઈ જશે.
આ પરિસ્થિતિમાં, જો તમામ મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ODI ટીમમાં નેતૃત્વ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે.
2023 વર્લ્ડકપમાં ટાઈટલ જીતવાથી ચૂકી ભારતીય ટીમ
મીડિયા રિપોર્ટ મુજબ BCCIને આશા હતી કે રોહિત શર્મા ટેસ્ટ સંન્યાસ લેવાની સાથે સાથે વનડેમાંથી પણ સંન્યાસ લઈ લેશે, પરંતુ 38 વર્ષના રોહિત શર્માએ બધાને ચોંકાવીને વનડે ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો કારણ કે 2027 વર્લ્ડકપનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે. રોહિતે ભારતને 2023 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચાડ્યું હતું, પરંતુ તે ટાઈટલ જીતવાનું ચૂકી ગયો હતો.
આ પછી, તેને ભારતને T20 વર્લ્ડકપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીત્યા પછી, રોહિતે કહ્યું હતું કે, “એક બીજી વાત – હું ODI ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નથી. જેથી કોઈ અફવાઓ ન ફેલાય.
BCCI કરી રહ્યું છે આ પ્લાનિંગ
મીડિયા રિપોર્ટ મુજબ BCCI હવે વનડે ટીમમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ આ ફોર્મેટની કમાન પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક યુવા ખેલાડીને સોંપવા માંગે છે. BCCI પાસે 2027 વર્લ્ડકપ પહેલા 27 વનડેમેચ છે, જે નવા કેપ્ટનને તૈયાર કરવાની સારી તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ ઐયરને કેપ્ટનશીપ મળી શકે છે. શ્રેયસ ઐયરે IPLમાં ત્રણ ટીમોનું નેતૃત્વ કર્યું છે અને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી છે.
શ્રેયસ ઐયર બનશે નવો કેપ્ટન?
હાલમાં શ્રેયસ ઐયર માત્ર વનડે રમે છે, પરંતુ આ IPL પછી તેને T20 અને ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખવો મુશ્કેલ બનશે. હવે તે ઓફિશિયલ રીતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપની રેસમાં જોડાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ જીત્યા પછી, રોહિતે T20માંથી નિવૃત્તિ લીધી હતી. તાજેતરમાં રોહિતે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું. પરંતુ તેને સ્પષ્ટ કરી દીધું હતું કે તે 2027નો વર્લ્ડકપ રમવા માગે છે.