અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા ઉડેલી ૨૪૨ મુસાફરો અને ૨ પાયલોટ તેમજ ૧૦ ક્રૂ મેમ્બર સાથેની ફલાઇટ ટેક ઓફની માત્ર 2 મિનિટમાં જ ક્રેશ થઇ જતાં ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદના ઘોડા કેમ્પ નજીક IGB કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું AI-171 પેસેન્જર પ્લેન મેઘાણીનગર વિસ્તારના રહેણાંક વિસ્તાર નજીક ક્રેશ થવાના સમાચાર મળતાં જ તેમાં સવાર મુસાફરોના પરિવારો ભારે આઘાતમાં સરી પડ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ વિભીષિકામાં દુઃખદ નિધન થયું હોવાના સમાચારની પુષ્ટિ થતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે શોકનો માહોલ છવાયો છે. ગઈકાલે દુર્ઘટના બાદ તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. જ્યારે આજે સવારે 8:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ક્રેશ સાઇટ ની મુલાકાત લીધી હતી. 20 મિનિટ સુધી આ સાઇટ પરના રોકાણ દરમ્યાન તેઓએ વિવિધ એજન્સીઓના અધિકારીઓ પાસેથી ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ કરુણાંતિકા ને નિહાળી વડાપ્રધાન મોદી અત્યંત ખિન્ન થયા હતા.
ઘટના સ્થળેથી વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા ઘાયલોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. જ્યાં તમામ ઘાયલો સાથે તેઓએ વાતચીત કરી હૈયાધારણા આપી હતી. ખાસ કરીને આ દુર્ઘટનામાં બચી ગયેલા એક માત્ર પ્રવાસી વિશ્વાસ રમેશ કુમાર પાસેથી વડાપ્રધાન મોદીએ દુર્ઘટના સમયે શું થયું હતું અને ફલાઇટમાં કેવો માહોલ હતો તેની તથા કઈ રીતે તેનો બચાવ થયો એની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
આ લખાય છે ત્યારે ગ્વાલિયરના એક અને ભાવનગરના બે સહિત કુલ ચાર લોકોના ડીએનએ મેચ થઇ જતાં તેઓની ઓળખ મળી હતી અને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાજય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ મેડિકલ ટીમને ખાસ સૂચના આપી છે કે બંને તેટલી ત્વરીત ગતિથી ડીએનએ મેચ સહિતની કાર્યવાહી પૂરી કરવામાં આવે. જેથી મૃતદેહોને તેમના પરિજનોને સોંપી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સાથે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિતના અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ લખાય છે ત્યાં સુધીમાં ૨૦૪ લોકોના ડીએનએ માટેના સેમ્પલ લેવાઇ ચુકયા છે. અંજલીબેન રૂપાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ તેના પત્ની ઉપસ્થિત રહ્યા હતાં. મનોજ અગ્રવાલના પત્નીને નિહાળીને અંજલીબેન કારમાં બેઠા બેઠાં જ તેમને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતાં. અંજલીબેન રૂપાણી ત્યારબાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને જવા રવાના થયા હતાં.
ઉલ્લેખનીય છે કે પ્લેન ક્રેશ થયા બાદ તુરંત જ તે આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું અને ભીષણ આગ લાગી હતી. લંડન જતાં પ્લેનમાં ઈંધણ ટેન્ક પૂરેપૂરી ભરેલી હોવાથી એક જ ક્ષણમાં વિસ્ફોટ સાથે પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને કોઈ પેસેન્જર કશું વિચારે એ પહેલા તો બળીને ભડથું થઈ ગયા હતા. હોસ્પિટલ તરફથી જાણવા મળતી માહિતી અનુસાર 60 ટકાથી વધુ પેસેન્જરો 90 ટકાથી વધુ દાઝી ગયા હતા.
આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 290 લોકોના મોતની પૃષ્ઠી થઈ છે. જેમાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 તેમજ જે બિલ્ડિંગ પ્લેન ક્રેશ થયું ત્યાં અને આસપાસની સડકો પરના લોકો સહિત મૃતાંક 290 સુધી પહોંચ્યો છે. ઘાયલોની સ્થિતિ જોતા હજુ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
દુર્ઘટના બાદ ઘટના સ્થળ તરફ જતાં તમામ માર્ગોને બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને ગ્રીન કોરીડોર જાહેર કરવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાની ફલાઇટ નં.એઆઇ ૦૧૭૧ બપોરના ૧:૩૮ કલાકે ઉડાન ભરી હતી અને ૧:૪૦ મિનિટે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં ફલાઇટ અચાનક જ નીચેની તરફ આવવા લાગી હતી અને ફલાઇટનો પાછળનો ભાગ એક બિલ્ડિંગ સાથે ટકરાતા વિમાન આગનો ગોળો બનીને ફાટયું હતું.
ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં
