એકવીસમી સદીમાં બધાં જ સ્વરૂપોનું મૂળ તત્ત્વ પકડીને પુન: વિચારણા થવી જોઈએ. એકવીસમી સદીની ચામુંડા ગાતી ચામુંડા છે. તુલસીની દૃષ્ટિએ જુઓ – `જોગિની ભરિ ભરિ ખપ્પર સંચહિં.’ આનો અર્થ થાય છે કે યુદ્ધના મેદાનમાં આકાશની અંદર યોગિનીઓ ખપ્પરમાં બધું ભરે છે. શું ભરે છે એ લખ્યું નથી. રચનાકાર સ્પષ્ટ લખી શક્યા હોત કે આમાં આ ભર્યું છે. ભાષ્યકારોએ તો એમ લખ્યું કે લોહી ભરે છે, પરંતુ તલગાજરડાને પોતાની જવાબદારી સાથે આની વ્યાખ્યા કરવી હોય તો એમ કરે કે એમાં આ જ મારી માતાઓ, જગદંબાઓ લોહી નથી ભરતી, અમૃત ભરે છે. એ ખપ્પર નથી, ચામુંડાના હાથમાં અક્ષયપાત્ર છે.
યુદ્ધનાં વર્ણનો બહુ થયાં. એકવીસમી સદીમાં સૌમ્ય ભગવતીની કવિતાઓ થવા દો. હવે આશીર્વાદક ભગવતીની કવિતાઓ આવે એ બહુ જરૂરી છે. માએ યુદ્ધ કર્યું; માએ સંહાર કર્યો; એવાં વર્ણનોને હું નજરઅંદાજ ન કરી શકું. નિર્માણ અને નિર્વાણની આ પ્રક્રિયા હતી, પરંતુ તુલસી નથી લખતા કે એમાં લોહી ભર્યું છે, રક્ત ભર્યું છે. ત્યારે મને એમ લાગે છે કે હવે ચામુંડા ખપ્પર નથી રાખતી. અક્ષયપાત્ર રાખે છે અને એમાં અમૃત ભરે છે. જગદંબા તો જગદંબા જ રહે. મા તો મા જ રહે, એમાં ફેર ન પડે, પણ ખપ્પરની જગ્યાએ અક્ષયપાત્ર આપવું પડશે અને લોહીની જગ્યાએ અમૃત ભરવું પડશે.
જનક રાજાની મિથિલામાં, એના બાગમાં જે ગૌરીનું મંદિર છે એવું મંદિર જગતમાં બીજે ક્યાંય હશે? પણ તુલસીએ અહીં `મંદિર’ શબ્દ જ ન વાપર્યો. `મંદિર’ શબ્દથી આપણે આરતી ઉતારીએ એ આપણી શ્રદ્ધા છે, પણ માને તો ભવન હોય.
ગઈ ભવાની ભવન બહોરી,
બંદિ ચરન બોલી કર જોરી.
જનકના આખા નગરમાં `ભવન’ શબ્દ આવ્યો. લંકામાં બધી જગ્યાએ `મંદિર’ શબ્દ આવ્યો! દેહનગરમાં મંદિર, વિદેહનગરમાં ભવન. મંદિરનો ઈનકાર ન થઈ શકે. મંદિર એ શ્રદ્ધાનું સ્થાન છે અવશ્ય. આ દેશ મંદિરોનો છે, પરંતુ માનાં મંદિરોમાં લગભગ તાંત્રિક સાધનાઓ થઈ છે. એક વસ્તુ હું સમજ્યો છું કે મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે અને પોતે પણ દુ:ખી જ થાય. મેલી વિદ્યા કોઈ દિવસ કોઈને સુખી ન કરી શકે.
તુલસીદાસજીએ `માનસ’માં જગદંબાનું ચિત્ર દોર્યું ત્યારે શું કર્યું? સીતાજી ગૌરીભવન ગયાં ત્યારે શું કર્યું? માનાં ચરણમાં વંદન કર્યાં અને હાથ જોડ્યા. આમાં જગતભરની પૂજા આવી ગઈ. માતાજીની પૂજા કરી. જાનકીએ જગદંબાની પૂજા કરી. કઈ પૂજાની સામગ્રીથી પાર્વતીની પૂજા જાનકીએ કરી? આપણને ઘણી વખત એમ થાય કે આપણી પાસે સામગ્રી નથી; આપણે કેમ માની પૂજા કરીએ? છત્તર ચડાવે એ મારા માટે વંદનીય છે, પરંતુ આપણે કંઈ ન કરી શકીએ, આપણી પાસે સોનું ન હોય. આપણે નાળિયેર પણ ન લઈ શકતા હોઈએ તો શું કરવું? તુલસી પૂજાની સામગ્રી આપે છે. જાનકીએ પૂજાની કઈ સામગ્રી લીધી? બે આચાર્યને સાથે લઈ જઈ શકી હોત માતાજી જાનકી. રાજપુરોહિતો ગયા હોત જાનકી સાથે અને બીજા કેટલાય સેવકો સોનાના થાળમાં પૂજાની સામગ્રીઓ લઈને સાથે ચાલતા હોત, પરંતુ એક પણ પુરુષ સાથે નથી. કેવળ અષ્ટસખીઓ છે ગૌરીની પૂજામાં અને જાનકીજીની સાથે કોઈ પૂજાની સામગ્રી બતાવી નથી. અત્યંત અનુરાગ એ જ પૂજાની સામગ્રી છે. પ્રસન્નતાથી મંદિરમાં પ્રવેશ કરવો. માથું નમાવવું. ચરણવંદના કરવી. પૂજાની સામગ્રી ન હોય તો જરાય ચિંતા ન કરવી. આપણા હૃદયનો અધિક અનુરાગ પૂરતો છે.
પ્રેમ જ પૂજાની સામગ્રી છે. એનાથી પૂજા કરવી, પણ આપણે સંસારી છીએ એટલે આપણી ઈચ્છા હોય કે કંઈક માંગીએ મા પાસે અને આપણે માગ્યું પણ છે. આપણે માગી શકીએ. મા પાસે માગવાનો આપણને અધિકાર છે, પરંતુ જાનકીજીએ માગ્યું? `નિજ અનુરૂપ સુભગ બરુ માગા.’ હે મા, મારી કક્ષા પ્રમાણે મને કંઈક આપજે. સુભગ એટલે સુંદર. માતાજી પાસે જઈએ તો આપણને અનુરૂપ મગાય. માતાજીને તમે કહો કે મને બે હાથી આપો; તો કદાચ આપી દે, પરંતુ બાંધશો ક્યાં? આપણે ઘોડો ન બાંધી શકતા હોઈએ, બકરું ન બાંધી શકતા હોઈએ અને હાથી ક્યાં બાંધશો? આપણે સમજીને માગવું જોઈએ.
તો `રામચરિતમાનસ’માં ગૌરીપૂજાની કેવળ આટલી વિધિ છે અને આ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકે તેમ છે. આમાં ક્યાંય મેલી વિદ્યા ન આવે. આમાં કોઈ તંત્ર ઉપાસના ન આવે. આમાં બીજું કંઈ નથી આવતું. માતાજીને તમે સોનાનો મુગટ ચઢાવો એ સારી વાત છે, પરંતુ ક્યારેક બે-ત્રણ કોઈ કુંવારી કન્યાને પરણાવી દેશો તે દિવસે પણ માને મુગટ ચડી જશે. માને તો ચડાવવું જ, પણ ત્યાંથી પાછી પ્રેરણા લઈને, તમારે ત્યાં કામ કરતી હોય એવી દીકરીઓ કે ક્યાંક મધ્યપ્રદેશથી કે ગોધરા બાજુથી આવ્યા હોય એવી ઉંમરલાયક દીકરીઓ હોય એને પરણાવવામાં પણ મદદ કરજો. ગૌરીની પૂજા સાચી છે, પરંતુ આ પણ વધારે સાચી પૂજા થશે. જેટલી કન્યા કુમારીઓ છે એ જગદંબા છે, પરાંબા છે.
ભવાની પૂજાને વશ નથી થઈ. જાનકીના વિનય અને વિવેકને વશ થઈ છે અને જાનકીના પ્રેમને વશ થઈ છે, એવું તુલસીએ લખ્યું છે. `વિનય પ્રેમ બસ ભઈ ભવાની.’ વિનય અને પ્રેમને વશ થયેલી પરાઅંબા એટલી બધી આનંદિત થઈ કે મા મુસ્કુરાઈ. મા બોલી અને પ્રસાદીની માળા આપી. તો બધી વિધિ કરવી, પરંતુ આપણાથી ન થાય તો ખાલી પ્રસન્નતાથી માને ઘેર જવું. બે હાથ જોડવા. ચરણમાં પ્રણામ કરવા. પ્રેમની પૂજાસામગ્રી રાખવી અને આપણી યોગ્યતા પ્રમાણે ઈચ્છા કરવી. તો `રામચરિતમાનસ’ના `લંકાકાંડ’ની ચોપાઈ છે કે,
જોગિનિ ભરિ ભરિ ખપ્પર સંચહિં,
ભૂત પિસાચ બધૂ નભ નંચહિં.
ત્યાં રક્ત ભરેલું છે એવું નથી લખ્યું અને તેથી એ અક્ષયપાત્રમાં માએ અમૃત ભર્યું હશે. `નંચહિં’ એટલે કે નૃત્ય કરે છે. કોણ નૃત્ય કરે છે? ભૂત અને પિશાચની વધૂઓ, પત્નીઓ. હવે ભૂત અને પ્રેતની વ્યાખ્યા તુલસીના મનમાં શું હશે એ ખબર નથી! ભૂત કોણ? આપણો વીતી ગયેલો કાળ એ ભૂત છે અને પિશાચ કોણ? આપણો આવનારો કાળ એ પિશાચ છે. એની છાયાઓ જે છે એ નાચે છે. આપણી આજુબાજુ આપણા ભૂતકાળની ભૂતાવળ નાચે છે. આપણને ભૂતકાળનાં કરેલાં કર્મોનાં ભૂત વળગ્યાં છે! આપણે સુખી કેમ નથી? આપણે સુખી થવા જોઈએ. વેદાંત કહે છે, જીવનું સ્વરૂપ આનંદ છે. `સત્, ચિત્ત અને આનંદ’ જો આપણું સ્વરૂપ હોય તો આપણે દુ:ખી કેમ છીએ? કેમ કે ભૂત વળગ્યાં છે! તો ભૂતકાળનાં ભૂતો મને ને તમને વળગ્યાં છે! બીજાં ભૂતની મને ખબર નથી. તુલસી ઈચ્છે છે કે ભૂતના પડછાયારૂપી એની વધૂઓ અને ભવિષ્યના પિશાચોની વધૂઓ સીમામાં નહીં, મુક્ત આકાશમાં નાચે; નિર્ભાર થાય; બંધનમાંથી મુક્ત થાય. નાચી કોણ શકે? જે બંધનમાંથી મુક્ત હોય. પગમાં જંજીર હોય તો નાચી ન શકાય. મારો કહેવાનો મતલબ છે કે ભૂતકાળના પડછાયા અને ભવિષ્યના પડછાયા જે પિશાચ બનીને આપણને ઘેરે છે. આપણે એ પડછાયામાં કેટલા બંધાયા છીએ! એમાંથી મુક્ત થઈએ.


