આજે સવારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં 30-35 મુસાફરો સવાર હતા. હાલ જિલ્લા વહીવટી તંત્ર અને SDRF દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જે ગુજરાતી છે. મૃતકોમાં ચાર પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
5 ગુજરાતીઓના મોત થયા
ઘટનાની મળતી મહિતી અનુસાર, સોમવારના રોજ ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં કુંજાપુરી-હિંડોલાખાલ પાસે એક બસ 70 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જે કારણે 5 લોકોના મોત થયા છે. જે તમામ ગુજરાતીઓ છે. આ બસમાં લગભગ 30-35 મુસાફરો સવાર હતા. આ સાથે 24 અન્ય શ્રદ્ધાળું ઘાયલ થયા છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 યાત્રાળુંની હાલત ગંભીર હોવાના કારણે તેમને AIIMS ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે. આ ગુજરાતીઓ કુંજપુરી દર્શન માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન
આ બસ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ટિહરીના નરેન્દ્ર નગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માતના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માઓને તેમના દિવ્ય ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ મળે. જિલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે, અને ગંભીર રીતે ઘાયલોને AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, હું સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું.


