આણંદ જિલ્લાના જોળ ગામ નજીક આવેલી સરકારી કુમાર છાત્રાલયમાં પૂરતી સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓ અને ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા આજે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિરોધ સ્વરૂપે વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરોએ છાત્રાલયમાં રામધૂન બોલાવી હતી. વિદ્યાર્થીઓએ છાત્રાલયના વહીવટ પર ગંભીર આરોપો લગાવ્યા છે, શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓને ન્હાવા માટે ગરમ પાણી મળતું નથી, કારણ કે બાથરૂમના ગીઝર બંધ છે.
વિદ્યાર્થીઓને ગરમ પાણી ન મળતું હોવાનો આરોપ
વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી ન્હાવા મજબૂર છે. વિદ્યાર્થીઓને જમવા માટે જરૂરી થાળી-વાટકી (ડીશ) પણ આપવામાં આવી નથી. ભોજનાલયના રસોડામાં સ્વચ્છતાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વિદ્યાર્થીઓ અને ABVPએ માગ કરી છે કે તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં આવે અને બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.


