દેશના શિક્ષણ જગતમાં લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યો છે. લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને રાજ્યના શિક્ષણ બોર્ડને મર્જ કરવામાં આવશે નહીં.
સવાલ શું હતો?
સંસદના શીતકાલીન સત્ર દરમિયાન લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને લેખિતમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ CBSE અને સ્ટેટ એજ્યુકેશન બોર્ડને મર્જ કરવાની કોઈ યોજના છે?
સરકારે શું જવાબ આપ્યો?
કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ ગૃહને જણાવ્યું કે NEP 2020 હેઠળ CBSEને સ્ટેટ બોર્ડ સાથે મર્જ કરવાની કે એક સિંગલ નેશનલ બોર્ડ બનાવવાની કોઈ વાત કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે NEPમાં દેશના તમામ શિક્ષણ બોર્ડને વર્તમાન 10+2 માળખાના બદલે 5+3+3+4નું નવું માળખું અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
દરેક બોર્ડને કામ કરવાની છૂટ
મંત્રીએ કહ્યું હતું કે NEPનો ઉદ્દેશ સ્કૂલ બોર્ડ્સને મર્જ કરવાનો કે એક કરવાનો નથી પરંતુ દરેક બોર્ડને તેના અધિકારક્ષેત્રમાં કામ કરવાની છૂટ આપવાનો છે. NEPનો મુખ્ય ઉદ્દેશ ઉંમરના હિસાબે શીખવા અને અભ્યાસક્રમની યોગ્ય ગોઠવણી સુનિશ્ચિત કરવાનો છે.
PARAKHની રચના
શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ માટે નિયમો, માર્ગદર્શિકા બનાવવા અને સ્કૂલ ઇવેલ્યુએશનની ગુણવત્તા સુધારવા માટે નેશનલ એસેસમેન્ટ સેન્ટર ‘PARAKH’ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા 8 ફેબ્રુઆરી 2023ના રોજ બનાવવામાં આવી હતી. PARAKHનો ઉદ્દેશ લર્નિંગ સ્ટાન્ડર્ડ્સમાં સુધારો કરવો, બોર્ડ પરીક્ષાઓની વિશ્વસનીયતા વધારવી અને દેશના 60થી વધુ સ્કૂલ બોર્ડની સ્વાયત્તતા જાળવવાનો છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


