દિલ્હી હાઈકોર્ટે એક બીજાની સહમતીથી થતા છૂટાછેડાના કેસોમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના મતે, હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ રહેવાની શરત દરેક કેસમાં ફરજિયાત નથી. કોર્ટ ખાસ પરિસ્થિતિઓમાં આ શરત તેમજ કૂલિંગ-ઓફ પિરિયડને માફ કરી શકે છે.
દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા
છૂટાછેડાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતા દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે એક બીજાની સહમતીથી છૂટાછેડા માંગતા દંપતીને બિનજરૂરી રીતે અનિચ્છનીય અને દુઃખદ વૈવાહિક સંબંધમાં બાંધવી રાખવાનો કોઈ અર્થ નથી. ન્યાયાધીશ નવીન ચાવલા, અનુપ જયરામ ભંબાણી અને રેણુ ભટનાગરની વિશેષ ત્રણ સભ્યોની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13B(1) હેઠળ એક વર્ષનો અલગતાનો સમયગાળો કાનૂની પ્રિસ્ક્રિપ્શન છે, ફરજિયાત નિયમ નથી. કોર્ટએ આ સ્પષ્ટતા એક બીજાની સહમતીથી છૂટાછેડા માટે અરજી દાખલ કરવાની સમયમર્યાદા અંગે આવેલા સંદર્ભના જવાબમાં આપી હતી. બેન્ચે અવલોકન કર્યું કે જો બંને પક્ષકારો પોતાના લગ્ન જીવનમાં ખુશ નથી અને તેને આગળ નિભાવી શકે તેમ નથી, તો કોર્ટ તેમને વૈવાહિક સુખના નામે અનિચ્છનીય સંબંધમાં શા માટે ધકેલે?
એક વર્ષના અલગતાના સમયની માફી
દિલ્હી હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષના અલગતાના સમયગાળાની માફી અને કલમ 13B(2) હેઠળની બીજી અરજી માટે જરૂરી 6 મહિનાના કૂલિંગ-ઓફ પિરિયડની માફી અલગ અને સ્વતંત્ર બાબતો છે. એક સમયગાળાની માફી આપવાથી આપમેળે બીજા સમયગાળાની માફી મળતી નથી અને બંને મુદ્દાઓ પર કોર્ટને અલગથી વિચાર કરવો પડશે.
વિનંતીથી નહીં કરે સમયગાળો માફ
કોર્ટએ સ્પષ્ટ કર્યું કે ફક્ત વિનંતી કરવાથી એક વર્ષનો સમયગાળો માફ કરવામાં આવશે નહીં. આવી માફી માત્ર ત્યારે જ આપવામાં આવશે જ્યારે કોર્ટને ખાતરી થાય કે અરજદાર અપવાદરૂપ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અથવા કોઇ પણ ગંભીર સમસ્યા હોય અને ખરાબ સંજોગો છે. આવી માફી ફેમિલી કોર્ટ તેમજ હાઈકોર્ટ બંને આપી શકે છે.
છૂટાછેડાની તારીખ લંબાવી શકે !
કોર્ટ કહે છે કે જો પતિ-પત્નીએ કલમ 13B(1) હેઠળ એક વર્ષના સમયગાળાની છૂટ ખોટી માહિતી કે ખોટા કારણો બતાવીને લીધી હોય, તો કોર્ટને અધિકાર છે કે છૂટાછેડાની અસરકારક તારીખ આગળ ધકેલી શકે, અથવા ચાલતી અરજીને તરત જ રદ કરી શકે. પરંતુ સાથે-સાથે કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે ન્યાયની ન્યાયિકતા જાળવવા માટે, જો કોર્ટ કડક નિર્ણય લે તો પણ પતિ-પત્નીને એક વર્ષનો સમય પૂરો થયા પછી, એ જ તથ્યોના આધાર પર ફરીથી નવી છૂટાછેડાની અરજી કરવાની છૂટ રહેશે. એટલે કે, ખોટી માહિતી આપશો તો કેસ રદ થઈ શકે, પણ સાચા રીતે સમય પૂરો થયા પછી ફરી અરજી કરવાનો અધિકાર કાયમ રહેશે.
આ પણ વાંચો : Delhi Pollution દિલ્હીમાં આજથી શું શું કરાયું બેન? Grap-4 બાદ કરાયા અનેક નિયમો લાગુ


