નાતાલ અને નવા વર્ષની રજાઓ દરમિયાન દેશભરમાં લાંબા અંતરના પ્રવાસીઓ, પર્યટકો અને પોતાના વતન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ પરિસ્થિતિને વ્યવસ્થિત રીતે સંભાળવા માટે ભારતીય રેલવેએ વિવિધ ઝોનમાં વિશેષ ટ્રેનોની યોજના બનાવી છે, જેથી નિયમિત ટ્રેનો પરનો ભાર ઘટે અને મુસાફરોને વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય.
રેલ્વે દ્વારા જાહેર કર્યા આંકડા
રેલવે દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, સેન્ટ્રલ રેલવે (CR) તરફથી સૌથી વધુ 76 ટ્રિપ્સ અધિસૂચિત કરવામાં આવી છે, જ્યારે વેસ્ટર્ન રેલવે (WR) દ્વારા 72 વિશેષ ટ્રિપ્સ ચલાવવામાં આવશે. સાઉથ વેસ્ટર્ન રેલવે (SWR)માં 28, સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR)માં 26 અને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR)માં 24 ટ્રિપ્સ જાહેર કરવામાં આવી છે. નોર્દર્ન રેલવે (NR)માં 8, નોર્થ વેસ્ટર્ન રેલવે (NWR)માં 6 અને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)માં 4 વિશેષ ટ્રિપ્સનો સમાવેશ થાય છે. આ રીતે કુલ 244 વિશેષ ટ્રિપ્સ દ્વારા દેશભરમાં તહેવારોની ભીડને સંભાળવાની તૈયારી કરવામાં આવી છે.
ઝોનવાર અધિસૂચિત ટ્રિપ્સની લિસ્ટ
- સેન્ટ્રલ રેલવે (CR): 76
- નોર્ધર્ન રેલવે (NR): 08
- સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR): 26
- સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે (SECR): 24
- સાઉથ વેસ્ટર્ન રેલવે (SWR): 28
- નોર્થ વેસ્ટર્ન રેલવે (NWR): 06
- વેસ્ટર્ન રેલવે (WR): 72
- નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR): 04
- કુલ: 244 ટ્રિપ્સ
મુંબઇ-ગોવા પર ખાસ ધ્યાન
મુંબઈ–ગોવા (કોંકણ) કોરિડોર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જ્યાં મુંબઈ CSMT અને લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)થી કરમાલી અને મડગાંવ સુધી દૈનિક તેમજ સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનો માર્ગમાં આવતા મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરે છે અને મુસાફરોને વધારાની બેઠક અને સ્લીપર સુવિધા પૂરી પાડે છે. તેના કારણે કોંકણ તરફ જતા પ્રવાસીઓ માટે તહેવારો દરમિયાન મુસાફરી વધુ અનુકૂળ બની છે.
અન્ય મહત્વના રૂટ
આ સિવાય મુંબઈ–નાગપુર, પુણે–સાંગાનેર અને મહારાષ્ટ્રના અન્ય મહત્વના રૂટ પર પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ સેવાઓ નિયમિત ટ્રેનોમાં થતી ભારે ભીડને ઘટાડવામાં મદદ કરે છે અને મુસાફરોને સમયસર તથા આરામદાયક મુસાફરીનો વિકલ્પ આપે છે. ઉત્તર અને પૂર્વ ભારતના વ્યસ્ત કોરિડોરમાં પણ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી, હાવડા, લખનૌ અને આસપાસના શહેરોને જોડતા રૂટ પર લાંબા અંતરના પ્રવાસીઓ અને રજાના સ્થળોએ જતાં મુસાફરોની સુવિધા માટે વધારાની સેવાઓ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય પ્રદેશોમાં હૈદરાબાદ, બેંગલુરુ, મેંગલુરુ સહિતના શહેરોને જોડતી વિશેષ ટ્રેનો પીક સીઝનમાં મુસાફરીને સરળ બનાવે છે.
બહુવિધ ટ્રિપ્સ સાથે વિશેષ ટ્રેનો
CSMT–કરમાલી, LTT–તિરુવનંતપુરમ, પુણે–સાંગાનેર અને CSMT–નાગપુર જેવા રૂટ પર બહુવિધ ટ્રિપ્સ સાથે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જેથી તહેવારો દરમિયાન વધતી માંગને પહોંચી વળાઈ શકે. આ તમામ પગલાં દ્વારા ભારતીય રેલવે વધારાની ક્ષમતા, સુવિધા અને વિશ્વસનીયતા પૂરી પાડી રહી છે. આ વિશેષ ટ્રેનોના સંચાલનથી મુસાફરોને ક્રિસમસ અને નવા વર્ષ 2026ની ઉજવણી મુસાફરીના તણાવ વિના કરવાની તક મળશે.


