શિયાળામાં શરીરને ઉર્જા મળે તેવા ખોરાક લોકો ખાતા હોય છે. ઠંડીમાં શરીરમાં વધુ સુસ્તી લાગે છે. એટલે આ દિવસોમાં લોકો ગરમ પીણાં, ઉકાળા અને એવા ખોરાક ખાય છે જેમાં શરીરમાં વધુ ઉર્જા આવે. તજ, કાળા મરી, તમાલ પત્ર જેવા અનેક મસાલાનો વિવિધ રીતે ઉપયોગ કરવામા આવે છે. તમે વડીલો પાસેથી ઘી સાથે લસણ ખાવું જોઈએ તેવું સાંભળ્યું હશે. સ્વાસ્થ્યમાં ફાયદો મેળવવા ખાલી પેટે કાચું લસણ ખાવાની સલાહ આપે છે. શું ખરેખર સવારે ખાલી પેટે કાચું લસણ ખાવું જોઈએ કે નહીં. તેને લઈને હેલ્થ એક્સપર્ટે જણાવ્યું.
લસણનું સેવન શરીરમાં ઉર્જાનો સંચાર
ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકોને શરદી, ઉધરસની સમસ્યા રહેતી હોય છે. એટલે જ ખાસ કરીને શરીરમાં ઉર્જા ભરનાર મસાલાનું સેવન કરતા હોય છે. લસણ પણ અનેક રીતે ગુણકારી છે. તે ઘણા ઔષધીય ગુણધર્મોથી ભરપૂર આ લસણનો શાકભાજી અને કઠોળમાં ઉપયોગમાં લેવાય છે. લસણમાં ગરમીની અસર હોય છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ મળે છે. તેને ખાવાથી કફ, લાળ અને વાયુ ઓછો થાય છે જ્યારે પિત્ત વધે છે. ખાસ કરીને, સવારે ખાલી પેટે કાચું લસણ ચાવવાથી પાચનમાં મદદ મળે છે. જાણો લસણ કેટલું ફાયદાકરક છે.
કાચું લસણ ખાવાના ફાયદા
લસણ ખાવાથી અનેક બીમારીઓને દૂર રાખવામાં મદદ મળે છે. લસણ પાચનતંત્ર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. સવારે કાચી લસણની કળી ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે, સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન મળે છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે. તે ગેસ, અપચો અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરી શકે છે. ખાલી પેટે લસણ ચાવવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ મળે છે. તે હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે અને બળતરા ઘટાડે છે. સ્વસ્થ વજન વ્યવસ્થાપનમાં પણ લસણ અસરકારક સાબિત થાય છે. સવારે કાચી લસણની કળી ચાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
લસણમાં આટલા છે પોષકતત્વો
લસણમાં સલ્ફર સંયોજન એલિસિન, વિટામિન સી અને બી6 જેવા ઔષધીય ગુણધર્મો અને કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, ફોસ્ફરસ, આયર્ન, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા ખનિજો પણ હોય છે. આ વારંવાર શરદી, ખાંસી, ચેપ અને મોસમી ફ્લૂથી બચવામાં મદદ કરે છે. લસણ એક કુદરતી ઘટક છે જે તેના મજબૂત એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે એક સુપરફૂડ છે જે રોગપ્રતિકારક શક્તિ, પાચન અને એકંદર સ્વાસ્થ્યને ટેકો આપે છે. લસણના લાભ લેવા શિયાળામાં સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો થશે. ઉનાળામાં સવારે કાચું લસણ ખાવાનું ટાળવું.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


