Madhya Pradesh Rewa Raj Niwas Gangrape Case : મધ્યપ્રદેશના રીવા જિલ્લાની વિશેષ અદાલતે રાજનિવાસ ગેંગરેપ કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવતા મુખ્ય આરોપી મહંત સીતારામ દાસ ઉર્ફે સમર્થ ત્રિપાઠી સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ન્યાયાધીશ પદ્મા જાટવની કોર્ટે આ પાંચેય આરોપીઓને તેમના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે અને દરેક દોષિત પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આ ચકચારી ઘટના 28 માર્ચ-2022ના રોજ બની હતી. ભાગવત કથાના આયોજન માટે રીવા આવેલા મહંત સીતારામ દાસે એક સગીરાને કામના બહાને સર્કિટ હાઉસના રૂમમાં બોલાવી હતી. ત્યાં સગીરાને બળજબરીથી દારૂ પીવડાવી મહંત અને તેના સાથીઓએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિતાએ હિંમત બતાવી ચાલતી કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો અને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
પાંચ દોષિત, ચાર નિર્દોષ
કોર્ટે આ મામલે મહંત સીતારામ દાસ, વિનોદ પાંડે, ધીરેન્દ્ર મિશ્રા, અંશુલ મિશ્રા અને મોનુ પ્યાસીને કડક સજા સંભળાવી છે. જ્યારે પુરાવાઓના અભાવે સંજય ત્રિપાઠી, રવિશંકર શુક્લા, જાનવી દુબે અને તૌસીદ અંસારી એમ ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે.
22 સાક્ષીઓના નિવેદન લેવાયા
પોલીસે આ કેસમાં 22 સાક્ષીઓના નિવેદન અને 140 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ડીએનએ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સ જેવા ટેકનિકલ પુરાવાઓને આધારે કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. સરકારી પરિસરમાં એક કથિત ધર્મગુરુ દ્વારા આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધના ચુકાદાએ સમાજમાં કડક સંદેશ આપ્યો છે.


