‘જંગલેશ્વર બચાવો આંદોલન’ : કોંગ્રેસે મહાસભા-રેલી કાઢતા પૂર્વે સંભવિત અસરગ્રસ્તોન સાથે રાખીને કલેકટરને અપાયેલા આવેદનમાં વેધક સવાલ
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ, લડાયત નેતા જીજ્ઞેશ મેવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ, મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પૂર્વ નગરસેવક અતુલ રાજાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અપાયેલા આવેદનમાં ઉગ્ર આંદોલનની ગર્ભીત ચીમકી
જંગલેશ્વરમાં ૧૪૦૦થી વધુ મકાનના તોળાતા ડિમોલિશન વચ્ચે સંભવિત અસરગ્રસ્ત પરિવારના 3૫૦૦૦થી વધુ લોકોની છત છીનવાઇ તેમ છે. ડિમોલિશનને અટકાવવા માટે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. આજથી આંદોલનના મંડાણ કરાયા છે. કોઠારિયા પોલીસ ચોકી નજીક ક્રિષ્ના ચોકમાં મહાસભા અને ત્યાથી સોરઠિયાવાડી સર્કલ સુધી મહારેલી કાઢતા પૂર્વે કલેકટરને અપાયેલા આવેદનમાં એવો વેધક સવાલ પુછવામા આવ્યો છે કે, વિકાસ…વિકાસ..વિકાસના જે બણગા ફૂંકવામા આવે છે તે વિકાસ આવો હોય? 3૫,૦૦૦ લોકોને બેઘર કરી નાખવામા આવે શું તેને વિકાસ કહેવામા આવે? સંભવિત અસરગ્રસ્તોને સાથે રાખીને આવેદન આપતી વખતે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ, લડાયત નેતા જીજ્ઞેશ મેવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ, મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પૂર્વ નગરસેવક અતુલ રાજાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અપાયેલા આવેદનમાં ઉગ્ર આંદોલનની ગર્ભીત ચીમકી પણ આપવામા આવી હતી. જંગલેશ્વરમાં ડિમોલિશન થશે તો આંદોલન રાજ્યવ્યાપી બનાવવામા આવશે તેવા દ્રઢ નિર્ધાર સાથે આજે રાજકોટ કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે.
સામાજિક કાર્યકર બુખારીબાપુ તા.૧૨થી ઉતરશે આમરણાંત ઉપવાસ
જંગલેશ્વરના રહેવાસી અને સામાજિક કાર્યકર ખાલીફમિયા બુખારીએ રાજકોટના કલેકટર, મામલતદાર તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત મોકલી છે. તેમા એવુ એલાન કરવામા આવ્યુ છે કે, ડિમોલિશનના વિરુધ્ધમાં તેઓ તા.૧૨મીથી આમરણાંત ઉપવાસ પર ઉતરશે. સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે. તેમણે પત્રમાં લખ્યુ છે કે, નામદાર સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે, મનુષ્યને જીવવાનો અધિકાર એટલે માત્ર શ્વાસ લેવો જ નથી, પણ રોજીરોટી અને રહેઠાણનો પણ અધિકાર છે. જંગલેશ્વરમાં લોકો ૫૦-૬૦ વર્ષથી વસે છે. મહેસુલ વિભાગના ૧૯૮૧ના જી.આર. મુજબ અટલા વર્ષો જૂના વસવાટને રેગ્યુલાઇઝ કરવા એ સરકારની બંધારણીય જવાબદારી છે. જંગલેશ્વર વિસ્તારના ગરીબ પરિવારો ટકનું લાવીને ટકનું ખાય છે. અહીની મહિલાઓ ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. પુરુષો અને મહિલાઓ મજૂરી કામ કરે છે. અમારી મુખ્ય માગણી એ છે કે, ૫૦-૬૦ વર્ષથી રહેતા પરિવારના મકાનને કોઇપણ પ્રકારનો ચાર્જ લીધા વગર રેગ્યુલાઇઝ કરી આપવા. તમામ રહેવાસીઓને માલિકી હક્ક(સનદ) આપવી.
“સરકાર વધીને શું કરશે? તમારી બદલી કરશે ને, પણ જરાક માનવતા તમે રાખો”
કોંગ્રેસે કલેકટરને આવેદન આપીને એવી રજૂઆત કરી હતી કે, તમે ભાજપ સરકાર તંત્રનો ગેરઉપયોગ કરે છે. તંત્રની ઓથે મોટો ભ્રષ્ટાચાર પણ કરે છે. આપની ફરજ બંધારણ મુજબ લોકહિત માટે હોવી જોઇએ. સરકાર વધીને શું કરશે? આપની બદલી જ કરશે ને! વિશેષ કંઇ કરી શકે નહી તે કવચ તમારી પાસે છે. બંધારણે આ કવચ પુરુ પાડ્યુ છે ત્યારે 3૫ હજાર લોકો બેઘર ન થાય તે જરૂરી છે. આપ ઇશ્વરને સાક્ષી રાખીને પ્રમાણિકપણે ન્યાયિક નિર્ણય લ્યો તેવી અમારી અપેક્ષા છે. આ દેશના દરેક નાગરિક માલિક છે. તેને સરકાર ઘર આપી શકી નથી. અટલે જ મફતિયામાં વસીને મજૂરી કરી દેશના વિકાસના સહભાગી હોય તેમને જમીન પર રહેવાનો અધિકાર છે.


