ડોક્ટર દ્વારા તોછડું વર્તન કરાયું હતું, મારા પુત્રને પણ માર માર્યો છે, આરોપીની માતાની CCTV તપાસની માંગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા હુમલાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. લોહીની બોટલ ચડાવવાના મુદ્દે થયેલી બબાલ બાદ ડોક્ટર તેમજ આરોપી પક્ષ તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાને લઈ તબીબો અને દર્દીઓના સગાઓ વચ્ચેના સંબંધો તથા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પાર્થ પંડ્યા (ઉ.વ. 28) દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 28 ડિસેમ્બર 2025ની રાતે આશરે એક વાગ્યાના અરસામાં ICU વોર્ડમાં ફરજ દરમિયાન લોહીની બોટલ ચડાવવા બાબતે જયદીપ ચાવડા નામના શખસે વોર્ડમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો અને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ આરોપીએ ડોક્ટર પર હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બીજી તરફ, ડોક્ટર પર હુમલાના આરોપમાં ઘેરાયેલા જયદીપ ચાવડાના પરિવારજનો પણ ખુલ્લેઆમ સામે આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં જયદીપની માતા ગીતાબેન ચાવડા દ્વારા ડોક્ટર સામે ફરિયાદ આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, તેમનો દીકરો કોઈ ઝઘડો કરવા નહીં પરંતુ બ્લડ ડોનેટ કરવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બિનય થાપાને લોહીની તાત્કાલિક જરૂર હોવાથી જયદીપ ત્યાં ગયો હતો, પરંતુ લોહી માટે જરૂરી ચિઠ્ઠી બાબતે થયેલી વાતચીત દરમિયાન વિવાદ વધ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં નેપાળી સેવા સમાજના ઉપપ્રમુખ સંજયરાજે પણ પોતાની વાત રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સમાજના એક વ્યક્તિના અકસ્માત બાદ બ્લડની જરૂર હોવાથી તેમણે સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી, જેના પગલે જયદીપ બ્લડ આપવા આવ્યો હતો. જોકે, ડોક્ટર સાથે થયેલી બોલાચાલી અંગે બાદમાં જાણ થઈ હોવાનું તેમણે કહ્યું હતું.
ઘટનાના પગલે તબીબોમાં પણ ભારે રોષ ફેલાયો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન લાખો દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પિટલમાં તબીબો પર વારંવાર થતા હુમલાઓ હવે સહનશીલ નથી. આ બાબતે મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂઆત કરી, ડોક્ટરો પર હુમલો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
હાલ સમગ્ર મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જયદીપ ચાવડાની માતાએ પોલીસને અપીલ કરી છે કે, અધૂરા નહીં પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ ચકાસીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે. ઘટનાને લઈ હવે સૌની નજર પોલીસ તપાસના નિષ્કર્ષ પર ટકી છે.


