રૂ.1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો : 12 વર્ષમાં વસાવેલી મિલકની વિગતો એકત્ર કરાયા બાદ કાર્યવાહી
જૂનાગઢ મહાપાલિકાની મેલેરિયા શાખામાં હાલ બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે જૂનાગઢ એસીબીના પી.આઈ. જે.બી.કરમુર દ્વારા અપ્રમાણસરની મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા અધિકારીના વર્ષ 2009થી 2021 સુધીની ફરજ દરમિયાનની આવક અને તેમણે વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા આવક કરતા 62.8 ટકા સંપતિ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર એક અરજીના કામે મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે તપાસ શરુ કરવામાં આવી હતી, તેઓ અગાઉ વર્ષ 2009થી જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં ફરજ બજાવતા હતા, અને હાલ તેઓ જૂનાગઢ મહાપાલિકાની મેલેરિયા શાખામાં બાયોલોજીસ્ટ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમના આ છેલ્લા 12 વર્ષમાં તેમની આવકના સ્ત્રોત અને ખર્ચ અને વસાવેલી મિલકતો અને સંપતિની વિગતો એકત્ર કરવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને તેમના પગાર ભથ્થાની વિગતો, તેમજ બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટની વિગતો, તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી તેમના નામે કે તેમના પરિવારના નામે લીધેલી મિલકતોના દસ્તાવેજ નોંધણી સહિતની વિગતો મેળવવામાં આવી હતી અને તે તમામ વિગતોને CBIની ગાઈડલાઈન મુજબ એ,બી.સી.ડી પત્રકોની ગણતરી કરીને ચેક પીરીયડ મુજબ અવલોકન કરવામાં આવ્યું હતું, અને તેમાં અંતે તેમની પાસે અધધ 1,74,32,085ની અપ્રમાણસરની મિલકત હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની તપાસ પી.આઈ. બી.કે.ગમારને સોંપવામાં આવી છે.
એસીબીની તપાસમાં એવું સામે આવ્યું છે કે, મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે વર્ષ 2020માં 2 જુનના રોજ અમદાવાદ એસીબીમાં એક અરજી મળી હતી, જેની તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવેલી અને તેમાં જે સંપતી મળી તેના સંતોષકારક ખુલાસો આપી ના શકતા આખરે એસીબી બ્યુરોના ફાયનાન્સીયલ એડવાઈઝરના માર્ગદર્શન હેઠળ તૈયાર પત્રકોના આધારે અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે.


