વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણનો મહાસંગ્રામ
રાજકોટમાં 11–12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી VGRCથી સૌરાષ્ટ્ર–કચ્છના 12 જિલ્લાઓને મળશે વૈશ્વિક ઉદ્યોગ અને આર્થિક સદ્ધરતાનો નવો માર્ગ; વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી કાર્યક્રમને મળશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઊંચાઈ
ગુજરાતનું વિકાસ મોડલ આજે માત્ર દેશભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ, MSME, કૃષિ, ઊર્જા અને ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાતે સ્થાપિત કરેલી આગવી ઓળખને હવે પ્રદેશીય સ્તરે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (VGRC)ની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર–કચ્છ રીજીયોનલ કોન્ફરન્સ આગામી તા. 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટમાં યોજાવાની છે, જે સમગ્ર પ્રદેશ માટે ઐતિહાસિક સાબિત થવાની છે.
આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 12 જિલ્લાઓને આવરી લેશે અને ઉદ્યોગ, રોકાણ, રોજગારી તથા વૈશ્વિક વેપારની નવી તકો ઊભી કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તાકાતને સ્થાનિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાતી આ બીજી રીજીયોનલ કોન્ફરન્સ છે. અગાઉ પ્રથમ VGRC મહેસાણા ખાતે સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે, જેના સકારાત્મક પરિણામો સામે આવ્યા બાદ હવે સૌરાષ્ટ્ર–કચ્છને આ મંચ મળ્યો છે.

આ કોન્ફરન્સ તથા તેમાં ઉપસ્થિત રહેનાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોની વિગત રાજ્ય સરકારના પ્રવક્તા તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, VGRC સૌરાષ્ટ્ર–કચ્છ માટે માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ આ પ્રદેશની આર્થિક કાયાપલટ કરવાની પ્રક્રિયાનો આરંભ છે.
વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો કે, વિકાસ અને રોકાણના લાભો રાજ્યના દરેક પ્રદેશ સુધી સમાન રીતે પહોંચે. તે માટે રીજીયોનલ કોન્ફરન્સનો વિચાર અમલમાં મૂકાયો. મહેસાણામાં યોજાયેલી પ્રથમ કોન્ફરન્સ બાદ હવે સૌરાષ્ટ્ર–કચ્છ માટે બીજી VGRC યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક રોકાણકારો સાથે સીધો સંવાદ કરવાનો અવસર મળશે.
આ ભવ્ય કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનું આર્થિક અને શૈક્ષણિક કેન્દ્ર ગણાતું રાજકોટ હવે બે દિવસ માટે વૈશ્વિક ઉદ્યોગજગતનું કેન્દ્ર બનશે. તા. 11 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:30 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થશે.
આ VGRCની થીમ “Regional Aspirations, Global Ambitions” રાખવામાં આવી છે. આ થીમ સ્પષ્ટ કરે છે કે, સૌરાષ્ટ્ર–કચ્છની સ્થાનિક ક્ષમતાઓ ચાહે તે MSME હોય, સ્ટાર્ટઅપ્સ, કૃષિ, માછીમારી, ઊર્જા કે ઉદ્યોગ—હવે વૈશ્વિક બજાર માટે તૈયાર છે. આ કોન્ફરન્સમાં યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. આ ઉપરાંત 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશનો પણ ભાગ લેશે. ભારત સહિત કુલ 23 દેશોમાંથી રજિસ્ટ્રેશન મળ્યા છે, જે આ કોન્ફરન્સની વૈશ્વિક સ્વીકાર્યતા દર્શાવે છે.
ટ્રેડ શો: ઉદ્યોગ અને નવીનતાનું પ્રદર્શન
11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ટ્રેડ શો અને એક્ઝિબિશન માટે કુલ 26,400 ચોરસ મીટર વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. જેમાંથી 4,400 ચોરસ મીટર ખાસ MSME, કુટીર અને હસ્તકલા ઉદ્યોગો માટે રહેશે. ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’, GI ટેગ ઉત્પાદનો, સ્ટાર્ટઅપ પેવેલિયન, RBSM અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહેશે.આ સમિટમાં DRDO, HAL, અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ, રિલાયન્સ જેવી દેશની અગ્રણી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો આ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ, ટેક્નોલોજી અને ઊર્જા ક્ષેત્રે રોકાણની તકો રજૂ કરવામાં આવશે. બે દિવસ દરમિયાન એગ્રી વેલ્યૂ ચેન, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, ગ્રીન સ્ટાર્ટઅપ, બ્લુ એનર્જી, MSME કોન્ક્લેવ, ટેક્સટાઈલ–જ્વેલરી ઉદ્યોગ અને ‘મિશન 100GW’ જેવા વિષયો પર ચર્ચા થશે. આ ચર્ચાઓ સૌરાષ્ટ્ર–કચ્છના ભવિષ્યના આર્થિક રોડમૅપને આકાર આપશે.
રાજકીય દૃષ્ટિએ VGRC કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની મજબૂત ભાગીદારી દર્શાવે છે. આર્થિક રીતે, આ કોન્ફરન્સથી નવા રોકાણ, રોજગારી અને ઉદ્યોગ વિકાસની સંભાવનાઓ ઊભી થશે. સૌરાષ્ટ્ર–કચ્છ હવે માત્ર રાજ્યની અંદર નહીં, પરંતુ વૈશ્વિક વિકાસ નકશા પર પોતાનું સ્થાન મજબૂત કરવા તૈયાર છે.
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ અને ભવ્ય રોડ શો
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સૌપ્રથમ હીરાસર એરપોર્ટ પર વિમાન દ્વારા પહોંચશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટના જુના એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે, જે જુના એરપોર્ટથી શરૂ થઈ માધાપર ચોકડી સુધી જશે. રોડ શો બાદ તેઓ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચીને વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
VGRC – એક નજરે
તારીખ: 11–12 જાન્યુઆરી 2026
સ્થળ: મારવાડી યુનિવર્સિટી, રાજકોટ
આવરી લેવાતા જિલ્લાઓ: સૌરાષ્ટ્ર–કચ્છના 12 જિલ્લાઓ
કુલ રજિસ્ટ્રેશન: 6,364+
દેશો: ભારત સહિત 23 દેશો
પાર્ટનર કન્ટ્રીઝ: યુક્રેન, જાપાન, કોરિયા, રવાન્ડા
ટ્રેડ શો અને મુખ્ય આકર્ષણો
કુલ વિસ્તાર: 26,400 ચોરસ મીટર
MSME અને હસ્તકલા પેવેલિયન: 4,400 ચોરસ મીટર
ODOP અને GI ટેગ ડિસ્પ્લે
રિવર્સ બાયર્સ સેલર્સ મીટ
સ્ટાર્ટઅપ–MSME વિશેષ પેવેલિયન
ડેઈલી લકી ડ્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો
બોક્સ–4: સેમિનાર અને સુવિધાઓ
20થી વધુ સેમિનાર હોલ
4,000 લોકોની ક્ષમતા ધરાવતો ઇનોગ્યુરલ ડોમ
VVIP લાઉન્જ
મીડિયા બ્રિફિંગ માટે ટેગોર બિલ્ડિંગ
વિષયો: એગ્રી વેલ્યૂ ચેન, નારી શક્તિ, ગ્રીન સ્ટાર્ટઅપ, બ્લુ એનર્જી, MSME, ટેક્સટાઈલ, જ્વેલરી, ‘મિશન 100GW’
સારાંશરૂપે, વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ, રોકાણ અને વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનો સંકલ્પ છે. રાજકોટથી શરૂ થતી આ વિકાસ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


