નવા વીજ કનેકશન માટે અરજદારોને કચેરીના ધક્કા અને વીજ કંપનીના સમારોહ માટે બે-બે ફિડર મૂકાયા : યુવરાજસિંહ આક્ષેપ
જૂનાગઢમાં તાજેતરમાં યોજાયેલા GETCOના 27મા ત્રિવાર્ષિક અધિવેશનને લઈને મોટો રાજકીય અને વહીવટી વિવાદ ઊભો થયો છે. ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આયોજનમાં સરકારી સાધનો, નાણાં અને માનવ કલાકોનો વેડફાટ થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સામાન્ય જનતા અને સરકારી બાબુઓ માટે કાયદા કેમ અલગ-અલગ છે? તેવા સવાલો સાથે અત્યારે જૂનાગઢનું વહીવટી તંત્ર ભીંસમાં મુકાયું છે.
યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનો સામાન્ય નાગરિક જ્યારે નવા વીજ કનેક્શન માટે અરજી કરે છે, ત્યારે તેને સર્વે, કોટેશન અને લાખોની ડિપોઝિટ ભર્યા પછી મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ઘણીવાર તો છ મહિના પછી પણ કનેક્શન મળતું નથી. જ્યારે આ ખાનગી યુનિયનના કાર્યક્રમ માટે ગણતરીના સમયમાં બે-બે પાવર ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. એક જ જગ્યાએ બે ફીડરનો પાવર આપવો એ અશક્ય જેવી બાબત છે, છતાં અહીં નિયમો નેવે મૂકાયા છે.
અધિવેશનના સ્થળ પર TC, DP, અનેક વીજ થાંભલાઓ અને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું જાળ બિછાવવામાં આવ્યું હતું. યુવરાજસિંહના મતે, આ પ્રકારના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ડિપોઝિટ ભરવી પડે છે. શું એસોસિએશને આ રકમ ભરી છે? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, અંડરગ્રાઉન્ડ 11kv કેબલિંગનો ખર્ચ, જે મીટર દીઠ આશરે 10,000 રૂપિયા થાય છે, તે કોના માથે ઉધારાશે? વળી, ટેકનિકલ નિયમો મુજબ જોઈન્ટને બદલે ડિયો મૂકવાના હોય છે, તેને બદલે સીધા જોઈન્ટ કરીને જોખમી રીતે બાયપાસ કામગીરી કરવામાં આવી છે.
વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, જૂનાગઢ સર્કલ હેઠળની લગભગ 40 જેટલી સરકારી બોલેરો ગાડીઓ, જેમાં અધિક્ષક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરના વાહનોનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ આ ખાનગી કાર્યક્રમમાં બેરોકટોક થયો હતો. આ ઉપરાંત, PGVCL અને GETCO ના ટેકનિકલ સ્ટાફને, જેઓ AGVKS ના સભ્યો છે, તેમને ચાલુ ફરજ પર દેખાડીને આ ખાનગી મહોત્સવની સેવામાં જોડી દેવામાં આવ્યા હતા. આ રીતે સરકારી કર્મચારીઓના હજારો માનવ કલાકો એક પ્રાઈવેટ તાયફા પાછળ વેડફવામાં આવ્યા છે.
બીજી તરફ, GEB એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. એક ગંભીર આક્ષેપ એવો પણ છે કે, ઉર્જા મંત્રીની હાજરીને કારણે આ સમગ્ર ઈલેક્ટ્રીફિકેશનને કોઈ સરકારી પ્રોજેક્ટના નામે ખપાવી દઈને મફતમાં કરાવી લેવાની પેરવી કરવામાં આવી છે. પ્રજાની સુખાકારી માટે જે ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ, તેનો ઉપયોગ ખાનગી કાર્યક્રમમાં કરવો એ નિયમ વિરુદ્ધ છે.હાલમાં આ મુદ્દો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના વહીવટી વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


