ગઇકાલે ઇજનેરોએ વીજળિક હડતાળ પાડી મોડી સાંજે મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીએ એકઠાં થઇને ધરણા કર્યા, રામધૂન બોલવી
ઘટનાના બીજા દિવસે પણ કર્મચારી-અધિકારીઓમાં પ્રચંડ આક્રોષ, મ્યુનિ.કમિશનરને રૂબરૂ મળીને કરશે રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્ક કરતા સ્ટાફ ઉપર હુમલાની ઘટના છાંશવારે બને છે. મનપાના કર્મચારીઓ-અધિકારીઓ જાણે હાલિયા-માલિયા હોય તેમ માની કેટલાક સમાજના દુશ્મન એવા માથાભારે તત્વો માફિયાની હાલી જાય છે. આવી જ વધુ એક ઘટના અને એ પણ મહાનગરપાલિકા કચેરીની અંદર જ બની છે. સામાકાંઠે આવેલી મનપાની ઇસ્ટ ઝોન કચેરીમાં ફરજ બજાવતા આસી. ઇજનેર ધવલ ગોલાણિયા ઉપર મનિષ વેકરિયા નામના એક પેટા કોન્ટ્રાક્ટરે હુમલો કર્યો હતો. સરજાહેર ફાડાકા ઝીંકી દીધા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે ગઇકાલે મોડી સાંજે મનપાના એન્જિનીયર એસોસિએશને વીજળિક હડતાળ પાળી મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં ધરણા કરી રામધૂન બોલાવી હતી. બીજા દિવસે આજે સવારે પણ કર્મચારી યુનિયનનો રોષ સમ્યો નથી. મ્યુનિ.કમિશનરને રૂબરૂ મળી હુમલાખોર પેટા કોન્ટ્રાક્ટરની મુળ એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામા આવશે. હુમલાખોર કે તેની મુળ એજન્સી સામે કોઇ ઠોંસ કદમ લેવામા નહીં આવે તો એન્જિનીયર એસોસિએશન ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાના અડગ મુડમાં હોવાનું જાણવા મળે છે. તમામ એન્જિનીયરો માસ સી.એલ. પર ઉતરી જશે તેવી ચર્ચા પણ ગઇકાલે વીજળિક હડતાળ દરમિયાન થઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં કામના ભારણ અને સમયની ખેંચતાણ વચ્ચે એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસી. ઈજનેરને જાહેરમાં ફડાકો ઝીંકતા સમગ્ર મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં મનપાનાં એન્જિનિયરિંગ એસોસિએશને ગઇકાલ મોડી સાંજથી જ તાત્કાલિક અસરથી કામગીરી અટકાવી દીધી હતી
ઇસ્ટ ઝોન કચેરીમાં અધિકારીને ફડાકા ઝિંકાયા હોવાની વાત મનપાના સમગ્ર કર્મચારી વર્તુળમાં પહોંચતાની સાથે જ એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઇસ્ટ ઝોન કચેરીએ એકઠા થયા હતા. કર્મચારીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ફરજ પરના અધિકારી પર થયેલા હુમલાને ગંભીર ગણાવ્યો છે. એસોસિએશન દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ કચેરીના પટાંગણમાં બેસીને રામધૂન બોલાવી મનીષ વેકરિયા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મનપા એન્જિનિયરિંગ એસોસિએશને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આ મામલે સત્વરે નક્કર પગલાં લેવામાં નહીં આવે અને એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય, તો બધા એન્જિનિયરો આગામી સમયમાં માસ CL ઉપર ઉતરી જશે, જેના કારણે શહેરના વિકાસના કામો અટકી શકે છે.
‘અગ્ર ગુજરાત ઘટનાને સખત રીતે વખોડે છે, હુમલાખોર સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ’
મનપાના કર્મચારીઓનું મોરલ ન તૂટે, તેમની સલામતી માટે ‘અગ્ર ગુજરાત’ સાથે છે
રાજકોટ મનપા હોય કે પછી અન્ય કોઇ સરકારી ડિપાર્ટમેન્ટના કર્મચારી બોડી બામણીનું ખેતર નથી કે ગમે તેવા લોકો તેમના પર હાલી જાય. તેમના ઉપર હુમલો કરે કે પછી ઝગડો કરે. ખાસ કરીને ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓ ઉપર સતત જોખમ રહે છે. દરેક પ્રકારની ‘કડતર’ સાથે પનારો પડતો હોય છે. આમછતા લોકોની સુખાકારી માટે જીવના જોખમે ફરજ બજાવે છે. સરકારી કર્મચારીઓની ફરજ નિષ્ઠા માટે ‘અગ્ર ગુજરાત’ હંમેશા સાથે રહ્યુ છે અને રહેશે. ગઇકાલે ઇસ્ટ ઝોનના ઇજનેર ધવલ ગોલાણિયા ઉપર એક પેટા કોન્ટ્રાક્ટર કક્ષાની વ્યક્તિ દ્વારા થયેલા હુમલાની ઘટનાને ‘અગ્ર ગુજરાત’ સખત શબ્દોમાં વખોડે છે. હુમલાખોર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઇએ.
રૂબરૂ મળવા અધિકારીને માત્ર અડધી કલાક જ મોડુ થતા પેટા કોન્ટ્રાક્ટરે માફિયાગીરી આચરી
બાંધકામ શાખાના ઇજનેર ધવલ ગોંડલિયાએ મનીષ વેકરિયાને કામ સબબ રૂબરૂ મળવા બોલાવ્યા હતા. અધિકારી ધવલ ગોલાણીયાએ જણાવ્યું હતું કે, હાલ વોર્ડ નંબર 18માં પેવિંગ બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામનો મુખ્ય કોન્ટ્રાક્ટ ‘પટેલ કન્સ્ટ્રક્શન એન્ડ કંપની’ પાસે છે, જ્યારે તેની પેટા કામગીરી (સબ-કોન્ટ્રાક્ટ) મનીષ વેકરિયા સંભાળી રહ્યા છે. આજે ઓફિસનાં સમય દરમિયાન, રૂમ નંબર 15માં ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં કામની આગળની વિગતો અને માર્ગદર્શન લેવા બાબતે બેઠક યોજાવાની હતી. આ માટે પોતે પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાને સવારે 11:00 વાગ્યે મળવા બોલાવ્યા હતા. જોકે રાજ્યમાં યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હોવાથી તેઓ અન્ય વહીવટી કામગીરીમાં વ્યસ્ત હોવાથી નિયત સમયે મળી શક્યા નહોતા અને મનીષ વેકરિયાને મળવામાં અંદાજે 11:30 વાગ્યા જેટલો સમય થયો હતો.
ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર જ થયો હુમલો
માત્ર અડધા કલાકના વિલંબથી ઉશ્કેરાઈ ગયેલા પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ કચેરીમાં જ અધિકારી ધવલ ગોંડલિયા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ફક્ત એટલું જ નહીં આવેશમાં આવીને મનીષ વેકરિયાએ તમામની હાજરીમાં આસી. ઈજનેર ધવલ ગોલાણીયાને ફડાકો ઝીંકી દીધો હતો. સરકારી કચેરીમાં અને તે પણ ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર આ પ્રકારની ગેરવર્તણૂક થતા હાલ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી અમારી માંગ છે.
એજન્સી સામે FIR સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે : યુનિયન
રાજકોટ મ્યુનિસિપલ કર્મચારી યુનિયનના અગ્રણી અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 18ના એન્જિનિયરને કામગીરી બાબતે ચર્ચા કરવા માટે DE દ્વારા ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન કોન્ટ્રાક્ટરે ઉશ્કેરાટમાં આવી એન્જિનિયર સાથે મારપીટ કરી હતી. કોર્પોરેશનના કર્મચારીઓ જનતાના કામ માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. ત્યારે કોઈ કોન્ટ્રાક્ટર પોતાના અંગત હિત કે અનુચિત માંગણી સંતોષવા માટે સરકારી કર્મચારી પર હુમલો કરે તે જરા પણ ચલાવી લેવાય નહીં.
સરકારી ઓફિસમાં અધિકારીની હાજરીમાં કર્મચારી પર થયેલો હુમલો ગેરબંધારણીય છે. યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે કે હુમલો કરનાર કોન્ટ્રાક્ટર સામે ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવે અને એજન્સી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે આપી છે.
મનપાનાં એન્જીનીયરિંગ એસો.ની મુખ્ય માંગણીઓ
- ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો કરનાર પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયા સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
- સંબંધિત એજન્સી (પટેલ કન્સ્ટ્રક્શન) સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે.
- સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
પૂર્વ કમિશનર ડો.બ્રહ્મભટ્ટ, મુકેશ કુમાર જેવા બાહોશ અધિકારીની જરૂર
- વૈશાલીનગરમાં માલધારીએ હુમલો કર્યો હતો ત્યારે મનપાના ૨૦૦૦ કર્મચારીની ફૌજ ડો.બ્રહ્મભટ્ટે ઉતારી હતી
- ભાજપના નગરસેવકોએ હુમલો કર્યો ત્યારે પૂર્વ કમિશનર મુકેશ કુમારે ધોકો ઉપાડ્યો હતો
- ફૂલછાબ ચોકમાં નોનવેજના વેપારીને સબર શિખવવા ઇંડા-નોનવેજની લારી ડો.બ્રહ્મભટ્ટે ખુદ પોતે ઉંધી વાળી હતી
મનપાના સ્ટાફનું મોરલ તૂટે તેવી હુમલાની ઘટના ભુતકાળમાં પણ બનેલી છે. એક સમય હતો કે જ્યારે પૂર્વ મ્યુનિ.કમિશનર મુકેશ કુમાર ઉપર ખુદ ભાજપના નગરસેવકોએ હુમલો કર્યો હતો. કમિશનરની ચેમ્બર પાસેની લોખંડની ગ્રીલ નગરસેવકોએ ઉખેડી ફેંકી હતી. આ ઘટના બાદ મુકેશ કુમારે હિંમતભેર હુમલાખોર નગરસેવકોનો સામનો કર્યો હતો. એક તબક્કે મુકેશ કુમારે ધોકો પણ ઉપાડી લીધો હતો. અને ઘટના બાદ હુમલાખોર ચોક્કસ નગરસેવકો માટે કમિશનરની ચેમ્બરમાં પ્રવેશબંધી પણ ફરમાવી દીધી હતી અને કાયમી માટે ચેમ્બરની અંદર ધોકો હાજર જ રાખતા હતા. બીજી એક ઘટના પૂર્વ કમિશનર ડો.દિનેશ બ્રહ્મભટ્ટના કાર્યકાળમાં બની હતી. એ સમયે વૈશાલીનગરમાં ઢોર પકડવા ગયેલા સ્ટાફ પર અમુક માલધારીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ડો.દિનેશ બ્રહ્મભટ્ટે તમામ વિભાગના સ્ટાફને એકઠોં કરી વીજીલન્સ પોલીસ સહિતની ફૌજ વૈશાલીનગરમાં ઉપારી માલધારીઓના ઘરમાં ઘુસીને ઢોર પકડ્યા હતા. બીજી એક ઘટનામાં ફૂલછાબ ચોકમાં મનપાના સ્ટાફ સાથે નોનવેજના ધંધાર્થીએ માથાકૂટ કર્યા બાદ ખુદ ડો.દિનેશ બ્રહ્મભટ્ટ મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ફૂલછાબ ચોકમાં રૂબરૂ પહોંચીને ઇંડા અને નોનવેજની લારી ઉંધી વાળી દઇને સપાટો બોલાવી નાંખ્યો હતો.


