બસપોર્ટ પર સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું, કચરાના ઢગલા ખડકાયા
સાફ-સફાઇના અભાવથી મુસાફરોના આરોગ્ય પર જોખમ: ગંદકી હટાવવા મનપામાં રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત જણાવે છે કે રાજકોટ નું ઢેબર રોડ પરનું એસ.ટી બસપોર્ટ ની આજુબાજુમાં કચરાના ઢગલા અને બેસુમાર ગંદકી વખતો વખત જોવા મળી રહી છે. નિયમિત સફાઈ નો અભાવ છે. ભારતના વડાપ્રધાન ના સ્વચ્છતા અભિયાનનો ઉલાળ્યો થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન ના મિશન નું સૂરસૂરિયું થઈ ગયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરફથી કચેરી અને રાજકોટ એસ.ટી બસપોર્ટ ની એક જ દિવાલ હોવા છતાં કમિશનર અને મેયરની બગલમાં કચરાના ગંજ હોય ત્યારે આ અંગે સફાઈ માં ધાંધિયા થતા હોય તો કચરો ઠાલવનારા અને નિયમિત સફાઈ ન કરનારા સામે દંડનાત્મક કાર્યવાહી પણ થવી જોઈએ.
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રાજકોટના પદાધિકારીઓ બસ સ્ટેશન પર આવી સફાઈ કરવા અંગેના ફોટો સેશનના કાર્યક્રમો સાવરણા સાથે વખતો વખત કરવામાં આવી રહ્યા છે ત્યારે નિયમિત કચરો અને નિયમિત કચરાના ઢગલાઓ અંગે પદાધિકારીઓ અને ફોટા પડાવનારા અધિકારીઓ ભૂગર્ભમાં હોય તેવું જણાય છે. અને રાજકોટના સિનિયર ડેપો મેનેજર પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જણાય છે.
એસ.ટી બસપોર્ટ પર નિયમિત 60000 થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. ગુજરાત ભરમાંથી મુસાફરો રાજકોટ માં અવરજવર કરતા હોય છે ત્યારે મુખ્ય રસ્તા ઢેબર રોડ પર જ એસ.ટી બસપોર્ટ ના મુખ્ય ગેટ પાસે આ રીતે કચરા ના ઢગલા હોય તો સ્વાભાવિક છે કે બસ સ્ટેશનમાં આવતા મુસાફરોમાં રાજકોટ મહાનગરપાલિકા નું નાક કપાતું હોય તેવું જણાય છે. એસ.ટી બસપોર્ટ ની નિયમિત મુલાકાત લેતા ગુજરાતના પ્રતિનિધિ જાગૃત પ્રહરી ગજેન્દ્રસિંહ ઝાલાએ અંગે રાજકોટ મહાનગરપાલિકામાં કોલ સેન્ટરમાં વોર્ડ નંબર 7 ના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પાસે ના કચરાના ગંજ દૂર કરવા ફરિયાદ નંબર 260032220 થી ફરિયાદ કરી જવાબદાર અધિકારીને આ અંગે નિયમિત સફાઈ થાય અને જે વેપારીઓ ડસ્ટબિન ન રાખતા હોય અથવા ગંદકી કરતા હોય તેઓની સામે કડક કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.


