આનંદમયી કન્યા છાત્રાલયમાં વિજ્ઞાનજાથાનો જાગૃતિ કાર્યક્રમ
સોશિયલ મિડીયાના ફાયદા-ગેરફાયદાની સમજણ અપાઇ
અગ્ર ગુજરાત, અમદાવાદ
રાજકોટ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મા આનંદમયી કન્યા વિદ્યાલયના છાત્રાઓમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. સોશ્યલ મિડિયા શક્તિશાળી સાધન સાથે વધુ પડતો ઉપયોગ બેદરકારી વિનાશ નોતરે છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. કિશોરાવસ્થામાં છાત્ર-છાત્રાઓ નાજુક તબક્કામાં પસાર થતા હોય તેના મનના બદલાવમાં માતા-પિતા, શિક્ષકો, સમાજે ક્યાં પ્રકારની સહાનુભૂતિ રાખવી જોઈએ તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન પ્રિન્સિપાલ લીનાબેન ત્રિવેદીએ કરતાં જણાવ્યું કે ૨૧ મી સદી વિજ્ઞાન ટેકનોલોજી નેનો છે. દુનિયામાં દરરોજ નવા સંશોધનો થાય છે. તર્કને પ્રાધાન્ય આપી આગળ આવવું જોઈએ. છાત્રાઓને જાથાના કાર્યક્રમો સમાજ ઉપયોગી હોય જીવનમાં ઉતારવા શીખ આપી હતી.
આ પ્રસંગે શૈક્ષણિક સ્ટાફમાં રાયધનભાઈ ગરચર, મુકેશભાઈ અઘેરા, સ્મિતાબેન મજેઠીયા, શ્રીપાબેન ઉચાટ, ભગવતીબેન ધાંધલ સહિતે હાજરી આપી હતી.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ છાત્રાઓને રસપ્રદ માહિતી આપી તેમાં વર્તમાન સમયે સોશ્યલ મિડીયાના પ્રભાવની વાત કરતાં કિશોરાવસ્થામાં જીવનનો સૌથી નાજુક તબક્કો છે. આ સમયમાં મન ઝડપથી બદલાય છે. પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા, સ્વીકાર મેળવવાની તીવ્રતા અને અસ્વીકારો ભય કિશોર મનને સતત અશાંત રાખે છે. આવી સંવેદનશીલ અવસ્થામાં સોશ્યલ મિડીયા એક ખુલ્લી દુનિયા આપે છે, પરંતુ આ દુનિયા ઘણી વખત નિર્દય સાબિત થાય છે. અહીં તુલના સતત ચાલે છે. સફળતા દેખાડવામાં આવે છે અને સંઘર્ષ છુપાવવામાં આવે છે. સોશ્યલ મિડીયા પાસે સકારાત્મક શક્તિ છે, એ વાત નકારી શકાય તેમ નથી.


