રાજયના સરહદી જિલ્લામાં ખોરવાયેલી શિક્ષણ વ્યવસ્થા
સૌથી મોટા વિસ્તાર પર ગંભીર શૈક્ષણિક સંકટ: કચ્છ માંથી ૬૬૦ શિક્ષકોની બદલી
અધધ બદલી સામે માત્ર એક જ શિક્ષક કચ્છમાં આવ્યા: ર3૯૧ જગ્યા ખાલી: બાળકોના ભવિષ્ય પર પણ ઉઠયા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશનો સૌથી મોટો અને સરહદી જિલ્લો કચ્છ આજે ગંભીર શૈક્ષણિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દાયકાઓથી ચાલતી શિક્ષકોની અછતની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગત વર્ષે રાજ્ય સરકારે ખાસ કચ્છ માટે “નિમણૂક ત્યાંજ નિવૃત” યોજના અમલમાં મુકી હતી, પણ તેની કડવી વાસ્તવિકતા સામે આવી છે.
તેવામાં ફરી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજાએ મુખ્યમંત્રીને કચ્છની શિક્ષણ વ્યવસ્થાની વરવી સ્થિતિ રજૂ કરી છે. જેમાં છેલ્લા 1 મહિનામાં જિલ્લા ફેરબદલીના કારણે 660 શિક્ષકો કચ્છ છોડીને અન્ય જિલ્લાઓમાં ગયા છે, જ્યારે તેની સામે કચ્છમાં માત્ર 1 જ શિક્ષકની નિમણૂક થઈ છે.
આ પરિસ્થિતિને કારણે હાલ કચ્છ જિલ્લામાં કુલ 2391 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. સરહદી અને છેવાડાના ગામોની શાળાઓમાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. અનેક શાળાઓમાં એક જ શિક્ષક પર સમગ્ર શાળાનો ભાર આવી રહ્યો છે. આ સંકટ વચ્ચે ‘પ્રવાસી શિક્ષક’ યોજના છેવાડાના બાળકો માટે એકમાત્ર આશા તરીકે જોવામાં આવી રહી છે.
જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે પ્રવાસી શિક્ષકોની ભરતી માટે તાત્કાલિક ખાસ મંજૂરી આપવાની માંગ કરી છે. જો તાકીદે આ વ્યવસ્થા અમલમાં નહીં આવે તો ખાલી પડેલી 2391 જગ્યાઓને કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને બદલીના નિયમો કડક બનાવી તેનો ચુસ્ત અમલ જરૂરી છે, જેથી કચ્છમાં નિમણૂક પામેલા શિક્ષકો તરત જ અન્ય જિલ્લામાં બદલી ન કરાવી શકે. દાયકાઓથી ચાલી આવતી ‘આવવા–જવાની’ પરંપરાને રોકવા સરકાર હવે કયા કડક પગલાં ભરે છે તેના પર નજર સૌની મીટ મંડાઈ છે.
સરકારમાં રૂબરૂ રજૂઆત: જી.પં.પ્રમુખ
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષકોની ઘટ મુદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા અને રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાને રૂબરૂ મળીને શિક્ષકોની ઘટ નિવારવા રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા સકારાત્મક પ્રતિઉત્તર મળ્યો છે.ઉલ્લેખનીય છે કચ્છ જિલ્લામાં ખાસ શિક્ષણ નીતિ ઘડવી હવે અનિવાર્ય બની ગઈ છે.
37 શિક્ષકોએ 3 લાખ બોન્ડ ભરીને રાજીનામું આપ્યું
તાજેતરમાં થયેલી કચ્છની ખાસ ભરતીમાં નિમણુક પામેલા 37 શિક્ષકોએ ૩ લાખ રૂપિયાના બોન્ડ ભરીને રાજીનામું આપી વતનની વાટે નીકળી ગયા છે. ખાસ ભરતીમાં સરકારે નિમણુક ત્યાં નિવૃત્તિની શરત મૂકી હતી. એટલે કોઈ શિક્ષક એક વાત નિમણુક મેળવી લીધા બાદ અન્ય કોઈ સ્થળે બદલી કરાવી શકે નહી, અને જો રાજીનામું આપવું હોય તો ૩ લાખ રૂપિયા બોન્ડ ભરવું ફરજીયાત હતું. જો કે કચ્છમાં શિક્ષક તરીકે નિમણુક મેળવ્યા બાદ રાજ્ય સરકારની અન્ય જિલ્લાઓની ભરતીમાં પણ આ શિક્ષકોએ અરજી કરી હતી અને ત્યાં તેમને વતનમાં અથવા વતન નજીક નોકરી મળી જતા કચ્છમાંથી ૩ લાખના બોન્ડ ભરીને આ 37 શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે.


