સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસની અચાનક કાર્યવાહી
નશાખોરી અને રખડતા શખ્સો મામલે ઉઠેલી ફરિયાદ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, બિનજરૂરી લોકોને બહાર કાઢ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સારવાર સંસ્થા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સુરક્ષા અને વ્યવસ્થાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હોસ્પિટલના પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો જમાવડો, નશાખોરી અને રખડવાની પ્રવૃત્તિઓ વધતા દર્દીઓ તથા તેમના સ્વજનોમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે આજે અચાનક કાર્યવાહી હાથ ધરી હતી.
રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને સામાજિક આગેવાન રાજાભાઈ ચાવડાને સતત મળતી લોકફરિયાદોને પગલે તેમણે પ્રદ્યુમ્નનગર પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને સમગ્ર પરિસરમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું.
પોલીસ દ્વારા હોસ્પિટલના પટાંગણ, પાર્કિંગ વિસ્તાર તેમજ વોર્ડની આસપાસ વિગતવાર તપાસ હાથ ધરાઈ હતી. જે લોકો પાસે હોસ્પિટલ સંબંધિત કોઈ માન્ય કારણ કે દર્દી સાથેનો સંબંધ સાબિત ન થઈ શક્યો, તેવા શખ્સોને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ કાર્યવાહીથી નશાખોરો અને રખડતા તત્વોમાં ખળભળાટ મચી ગયો હતો.
લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે કેટલાક શખ્સો દારૂ કે ગાંજાની હાલતમાં હોસ્પિટલમાં ફરતા રહે છે, જેના કારણે શાંતિપૂર્ણ સારવાર વાતાવરણમાં ખલેલ પડે છે. અગાઉ પણ હોસ્પિટલ પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તે સમયે હોસ્પિટલ પ્રશાસન અને સુરક્ષા એજન્સીની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા હતા અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ તેનો અહેવાલ હજુ સુધી જાહેર થયો નથી.
રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સુરક્ષિત વાતાવરણમાં નિર્ભયતાથી સારવાર લઈ શકે તે માટે આવી કાર્યવાહી જરૂરી હતી. તેમણે આગામી સમયમાં તપાસ સમિતિના રિપોર્ટ બાબતે પણ હોસ્પિટલ પ્રશાસન પાસેથી સ્પષ્ટતા માગવાની વાત કરી છે.
સ્થાનિક નાગરિકોનું પણ માનવું છે કે સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં પોલીસ દ્વારા સમયાંતરે આવું ચેકિંગ થતું રહે તો અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે. સાથે સાથે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ ઉઠી છે.


