સોના-ચાંદીની ચમકમાં છુપાયેલો અંધકાર
ઇન્દોરની પેઢી 3600 કરોડમાં ઉઠી, રાજકોટના મોટા ગજાના ૧૦ થી ૧૫ જેટલા જ્વેલર્સ રસ્તા પર!
સોનાનો ભાવ આસમાને જતા લાલચમાં અનફિક્સ બુકિંગ ભારે પડ્યું; દેશભરના વેપારીઓમાં ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજકાલ દેશભરના બજારમાં ભારે મંદીનો માહોલ છવાયેલો છે. ધંધા-રોજગાર લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં ચાલી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મોટા વેપારીથી લઈને નાનામાં નાનો માણસ પણ કોઈને કોઈ ટૂંકા રસ્તે નાણા કમાવાની આશમાં બેઠો છે. ખાસ કરીને શેરબજાર અને MCX સટ્ટામાં લોકો કરોડો રૂપિયા લગાવી એક ઝાટકે અમીર બનવાની લાલચ રાખે છે. પરંતુ જ્યારે પાસું ઉલટું પડે ત્યારે આખી જિંદગીની કમાણી, મરણમૂડી અને વિશ્વાસ, બધું જ એક સાથે લૂંટાઈ જતું હોય છે. હાલ દેશભરમાં સોના-ચાંદીના ભાવોમાં જોરદાર ઉથલપાથલ ચાલી રહી છે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ભારતની ગોલ્ડ અને સિલ્વર માર્કેટ મંદીના વમળમાં ફસાઈ ગઈ છે. એક તરફ મંદી, બીજી તરફ ભાવોની આગ જેવી ચઢતી લાઇન, આ બન્ને વચ્ચે સોની વેપારીઓ માટે ધંધો ટકાવી રાખવો મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં વેપારીઓ અવનવા કિમીયા અજમાવે છે, પરંતુ ક્યારેક આ કિમીયા જ વિનાશનું કારણ બની જાય છે.
આ જ પરિસ્થિતિમાં રાજકોટ શહેરના સોના-ચાંદીના વેપારને હચમચાવી નાખે એવો મોટો કાંડ સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલી એક મોટી જ્વેલર્સ પેઢી રાતોરાત 3600 કરોડ રૂપિયામાં ઉઠમણા થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની સીધી અસર ગુજરાત સહિત અનેક રાજ્યોના વેપારીઓ પર પડી છે, પરંતુ સૌથી મોટો ફટકો રાજકોટના વેપારીઓને લાગ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના મોટા ગજાના અંદાજિત ૧૦ થી ૧૫ જેટલા જ્વેલર્સ વેપારીઓ આ ઇન્દોરની પેઢીની ઝપટે ચડી ગયા છે. કરોડો રૂપિયાનું નુકસાન થતાં હવે અનેક વેપારીઓ આર્થિક રીતે સંપૂર્ણ રીતે તૂટી પડ્યા છે. કેટલાક વેપારીઓ તો ધંધો બંધ કરવાની કગાર પર પહોંચી ગયા હોવાનું સૂત્રો જણાવે છે.
રાજકોટના અનેક નામચીન જ્વેલર્સ દ્વારા ઇન્દોરની આ પેઢી પાસે અનફિક્સમાં ફાઈન સોનું બુક કરાવાયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા વેપારીઓ ભારે ચિંતામાં હતા. બજારમાં રોજેરોજ ભાવ બદલાતા હોવાથી કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા તેઓ તૈયાર ન હતા. આવી સ્થિતિમાં ‘અનફિક્સ બુકિંગ’ તેમને સલામત રસ્તો લાગ્યો.
યોજનાનુસાર, વેપારીઓએ ઇન્દોરની જ્વેલર્સ પેઢી પર ભરોસો રાખી ફાઈન સોનાના બિસ્કિટ અનફિક્સ ભાવે બુક કરાવ્યા હતા. સોદા સમયે જ મોટો એડવાન્સ અથવા પૂરી રકમ ચૂકવી દેવામાં આવી હતી, જેથી ભાવ ગમે તેટલો ઊંચે જાય, વેપારીને બુક કરેલા ભાવે જ સોનું મળી જાય. પરંતુ જે ભરોસો સુરક્ષા લાગતો હતો, એ જ ભરોસો અંતે સૌથી મોટી ઠગારો સાબિત થયો.જેમ જેમ સોનાનો ભાવ વધતો ગયો તેમ તેમ ઇન્દોરની પેઢીએ વધુને વધુ બુકિંગ લેવાનું શરૂ કર્યું. ફાઈન સોનું, MCX, અનફિક્સ ડીલ, દરેક પ્રકારના સોદામાં વેપારીઓને લલચાવવામાં આવતા હતા. માત્ર રાજકોટ જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોના વેપારીઓ આ પેઢી સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પરંતુ અચાનક એક રાતે દ્રશ્ય બદલાઈ ગયું. ઇન્દોરની આ જ્વેલર્સ પેઢી પર તાળા લાગી ગયા. ફોન બંધ, ઓફિસ બંધ અને માલિકો ગાયબ. 3600 કરોડના ઉઠમણા બાદ સમગ્ર દેશના સોની બજારમાં ખળભળાટ મચી ગયો. રાજકોટના વેપારીઓ માટે તો આ આઘાત અસહ્ય હતો. જેમણે જીવનભરની કમાણી લગાવી હતી, તે વેપારીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. રાજકોટમાં ચર્ચા છે કે, કેટલાક વેપારીઓએ એક-એક પેઢીમાંથી દસથી વીસ કરોડ સુધીની રકમ ફસાઈ હોવાનું સામે આવી રહ્યું છે. નાના-મધ્યમ વેપારીઓ માટે તો આ નુકસાન કટોકટી સમાન છે. બેંક લોન, ઉધાર વ્યવહાર અને બજારની મંદી, આ બધાની વચ્ચે હવે કરોડોની ખોટ કેવી રીતે ભરપાઈ કરવી એ મોટો પ્રશ્ન બની ગયો છે.
આ ઘટના બાદ રાજકોટના સોના-ચાંદીના બજારમાં ભયનો માહોલ છે. વેપારીઓ એકબીજાને ફોન કરી માહિતી મેળવી રહ્યા છે. કોણ કેટલું ફસાયું, કઈ પેઢી સાથે કેટલો વ્યવહાર હતો. તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક વેપારીઓ કાયદાકીય કાર્યવાહી અંગે વિચારણા કરી રહ્યા છે, જ્યારે કેટલાક હજુ આશા રાખી રહ્યા છે કે કદાચ કંઈક રસ્તો નીકળે.
વિશેષજ્ઞો માને છે કે સોનાના ભાવમાં ચાલી રહેલી અસામાન્ય તેજી અને બજારમાં ફેલાયેલી લાલચે આ સમગ્ર કાંડને જન્મ આપ્યો છે. અનફિક્સ બુકિંગ જેવી પદ્ધતિમાં જોખમ પહેલેથી જ રહેલું હોય છે, પરંતુ બજારની અસ્થિરતાએ આ જોખમને અનેકગણું વધારી દીધું. હાલ સોના-ચાંદીની બજાર જે રીતે ચાલી રહી છે, તે જોતા આગામી સમયમાં પણ વધુ મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં. ઇન્દોરની આ ઘટના પછી રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર દેશના સોની વેપારીઓ માટે આ એક મોટો પાઠ બની રહેશે, કે લાલચ અને ભરોસાની વચ્ચે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.
આ કાંડ પછી હવે સૌની નજર સરકાર, પોલીસ અને નાણાકીય એજન્સીઓ પર ટકી છે. કે આ 3600 કરોડના ઉઠમણામાં કેટલો ન્યાય મળશે અને રાજકોટના વેપારીઓને કેટલી રાહત મળશે. પરંતુ હાલ તો એક જ સત્ય સામે આવ્યું છે. સોનાની ચમક પાછળ દોડતા રાજકોટના અનેક વેપારીઓ માટે આ ચમક અંધકારમાં ફેરવાઈ ગઈ છે.
મોટા ડૂબ્યા, હવે નાના પર સંકટ : 3 દિવસમાં બજારમાં અસર દેખાશે
ઇન્દોરની એક જ્વેલર્સ પેઢીના 3600 કરોડ રૂપિયાના ઉઠમણાંએ રાજકોટના સોના-ચાંદીના બજારમાં ભૂકંપ સર્જ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટના મોટા ગજાના અંદાજિત ૧૦ થી ૧૫ જેટલા વેપારીઓ આ ઉઠમણાંની સીધી ઝપટે આવ્યા છે અને હાલ તેઓ આર્થિક રીતે રસ્તા પર આવી ગયા હોવાની ચર્ચા છે.આ વેપારીઓએ સોનાના ભાવમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે અનફિક્સમાં ફાઈન સોનું બુક કરાવ્યું હતું અને તે પેટેનું પૂરેપૂરું પેમેન્ટ પણ અગાઉથી ચૂકવી દીધું હતું. ભાવ ગમે તેટલો વધે, સોનું બુક કરેલા ભાવે મળી જશે. આ ભરોસાએ જ વેપારીઓને કરોડોની રકમ ચૂકવવા પ્રેર્યા હતા. પરંતુ ઇન્દોરની પેઢી રાતોરાત ઉઠી જતા આ ભરોસો ભારે પડી ગયો. હાલ સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ મોટા ગજાના વેપારીઓની નીચે અનેક નાના વેપારીઓ પણ જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો મોટા વેપારીઓ જ કરોડોની ખોટમાં રસ્તા પર આવી ગયા હોય, તો તેમના પર નિર્ભર નાના વેપારીઓની હાલત કેવી થશે. તે પ્રશ્ને સમગ્ર બજારમાં ફફડાટ ફેલાયો છે. હાલ તબક્કે બજારમાં માત્ર ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ જાણકારોનું માનવું છે કે, આગામી ત્રણ દિવસ બાદ આ 3600 કરોડના ઉઠમણાંની અસર ખુલ્લેઆમ જોવા મળશે. ચુકવણીઓ અટકશે, ઉધાર વ્યવહારો પર બ્રેક પડશે અને સોના-ચાંદીના ધંધામાં મોટુ સંકટ ઉભું થશે. એવી આશંકાએ રાજકોટના જ્વેલર્સ બજારમાં ચિંતા અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
3600 કરોડના ઉઠમણાંમાં રાજકોટના MCX સટ્ટાના બે બૂકીઓના પણ કરોડો ડૂબ્યા..?
ઇન્દોરની જ્વેલર્સ પેઢીના 3600 કરોડ રૂપિયાના ઉઠમણાંમાં રાજકોટના મોટા ગજાના ૧૦ થી ૧૫ જેટલા જ્વેલર્સ વેપારીઓ તો ફસાયા જ છે, પરંતુ આ કાંડમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના મોટા ગજાના MCX સટ્ટા સાથે સંકળાયેલા બે જાણીતા બૂકીઓના પણ કરોડો રૂપિયા આ ઇન્દોરની જ્વેલર્સ પેઢીમાં ફેરવાતા હતા. ચર્ચા મુજબ આ બૂકીઓ દ્વારા સટ્ટાના નાણાં ઇન્દોરની જ્વેલર્સ પેઢી મારફતે ફેરવવામાં આવી રહ્યા હતા. સોનાના ભાવમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ અને અનફિક્સ ડીલના નામે આ નાણાં વિવિધ રીતે ઘુમાવવામાં આવતા હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ પેઢી રાતોરાત ઉઠમણા થતાં હવે આ બન્ને બૂકીઓના કરોડો રૂપિયા પણ ડૂબી ગયા હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાથી રાજકોટના સોના-ચાંદી અને સટ્ટા બજારમાં ખળભળાટ મચી ગયો છે. પહેલેથી જ જ્વેલર્સ વેપારીઓ કરોડોની ખોટમાં સપડાયા છે, ત્યારે હવે MCX સટ્ટાના નાણાં પણ આ કાંડમાં ફસાયા હોવાની ચર્ચાએ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. જાણકારો માને છે કે જો આ દિશામાં તપાસ આગળ વધશે તો આગામી દિવસોમાં હજી વધુ મોટા નામો બહાર આવવાની સંભાવના નકારી શકાય નહીં.


