બારામતીમાં જનસભાને સંબોધન કરવા જતા સમયે બનેલી ગોજારી ઘટના
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન
એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, બે પાઇલોટ, એક મહિલા સહિત છ લોકોના મોત
મહારાષ્ટ્ર સરકાર દ્વારા તમામ રાજકીય કાર્યક્રમો રદ કરાયા : શરદ પવાર સહિતના નેતાઓ પહોંચ્યા ઘટના સ્થળે : ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો
અગ્ર ગુજરાત, નવી મુંબઇ
મહારાષ્ટ્ર માટે આજે ગોજારો દિવસ સાબિત થયો છે. જેમાં એક પ્લેન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું હતું. તેમની સાથે અન્ય છ લોકોના પણ આ ગોજારી ઘટનામાં મોત નિપજયા છે. આ ઘટના બનતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. મહારાષ્ટ્ર સરકારે આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરી નાખ્યા છે અને શોક વ્યકત કરવા માટે બારામતી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમજ ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના બનતા એકનાથ શિંદે પણ બારામતી પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૨૦૨૫માં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણીનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું.
પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના સોર્સ મુજબ, વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે એપ્રોચ કરી રહ્યું હતું. પહેલીવારમાં પાઇલટને રનવે સ્પષ્ટ દેખાયો નહીં, તેથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. રિપોર્ટ અનુસાર, તે સમયે વિઝિબિલિટી લગભગ 2 હજાર મીટર હતી.
પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું હતું. તેના તરત જ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. તેણે ‘મેડે’ કોલ પણ કર્યો નહોતો. ઘટના સમયે બારામતીના ફ્લાઈંગ ક્લબમાં કોઈ વિમાન ઉડાન પર નહોતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે તેમના સાથી નાયબ મુખ્યમંત્રી અજિત પવારના મોતના સમાચારને દુઃખદ અને કમનસીબ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, જે વિમાન દુર્ઘટનામાં તેમનો જીવ ગયો છે, તેની તપાસ કરવામાં આવશે.
બારામતી એરપોર્ટ પાસેના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- “મેં મારી આંખોથી જોયું, તે ખૂબ જ પીડાદાયક હતું. જ્યારે એરક્રાફ્ટ લપસ્યું ત્યારે જ લાગ્યું હતું કે તે ક્રેશ થઈ જશે અને એવું જ થયું. વિમાન પડતાની સાથે જ મોટો ધડાકો થયો. તે પછી તરત જ અમે આ તરફ દોડ્યા અને જોયું કે એરક્રાફ્ટ તો આગનો ગોળો બની ચૂક્યું હતું. ત્યારબાદ વિમાનમાં વધુ 4 થી 5 ધડાકા થયા. પછી ઘણા લોકો ત્યાં પહોંચ્યા અને વિમાનમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે અમે કંઈ કરી શક્યા નહીં. અજિત પવાર વિમાનમાં સવાર હતા અને જે થયું, તે જોવું ખૂબ જ દુઃખદ હતું. હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી.”
નાયબ મુખ્યમંત્રી બન્યા
- 22 જુલાઈ 1959ના રોજ આશા અને અનંતરાવ પવારને ત્યાં જન્મેલા અજિત પવારે 1982માં તેમના કાકા (પિતાના નાના ભાઈ) શરદ પવારના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ એક સુગર મિલના બોર્ડમાં ચૂંટાયા હતા.
- રેકોર્ડ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા અજિત પવાર ક્યારેય મુખ્યમંત્રી ન બની શક્યા. અનુભવી રાજકારણી અજિત પવારે ક્યારેય રાજ્યના મુખ્યમંત્રી બનવાની પોતાની ઈચ્છા છુપાવી નહોતી. જુલાઈ 2023માં BJP અને શિવસેના ગઠબંધન સરકારમાં જોડાતા પહેલા, તેઓ નવેમ્બર 2019માં નાયબ મુખ્યમંત્રી હતા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા, પરંતુ તેમની સરકાર માંડ બે દિવસ ચાલી હતી.
- અજિત પવાર વર્તમાન સરકારમાં નાણાં અને આયોજન મંત્રી હતા. આવતા મહિને 23 ફેબ્રુઆરીએ મુંબઈમાં રાજ્ય વિધાનમંડળનું બજેટ સત્ર શરૂ થવા પર તેઓ 2026-27નું બજેટ રજૂ કરવાના હતા.
અકસ્માતમાં જીવ ગુમાવનાર 5 લોકોના નામ
- અજિત પવાર: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી
- એચસી વિદિત જાધવ: અજિત પવારના અંગત સુરક્ષા અધિકારી (PSO)
- કેપ્ટન સુમિત કપૂર: પાઇલટ
- કેપ્ટન શાંભવી પાઠક: પાઇલટ
- પિંકી માલી: ફ્લાઇટ એટેન્ડન્ટ
અજીત પવાર જનતાના નેતા હતા : પીએમ મોદી
અજિત પવારના અવસાનના સમાચાર મળતા જ પીએમએ CM દેવેન્દ્ર ફડણવીસ પાસેથી અકસ્માતની જાણકારી મેળવી. તેમણે X પર અજિત પવાર સાથેની પોતાની 2 તસવીરો શેર કરતા લખ્યું- “અજિત પવાર જનતાના નેતા હતા, જેમનું પાયાના સ્તરે મજબૂત જોડાણ હતું. મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં અગ્રેસર રહેનારા એક મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું ખૂબ સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોમાં તેમની સમજ અને ગરીબો તથા વંચિતોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળે અવસાન ખૂબ જ ચોંકાવનારું અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”


