મીડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધથી સુરક્ષા અંતર્ગત નિર્ણય
CBSE દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
પરિણામ માટેની પદ્ધતિ ટૂંક સમયમાં અલગથી જાહેર કરાશે: આચાર્યોને સુચના અપાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
મીડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં અમેરિકા, ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધ અને ગંભીર ભૌગોલિક તણાવને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ હજારો ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડે જાહેરાત કરી છે કે ખાડી દેશોમાં યોજાનારી ધોરણ 12 ની આગામી તમામ બોર્ડ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
CBSE ના સત્તાવાર પરિપત્ર (સર્ક્યુલર-6) મુજબ, આ આદેશ મધ્ય પૂર્વના તે તમામ 7 દેશોમાં લાગુ થશે જ્યાં બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ કાર્યરત છે. આ દેશોમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, કતાર, ઓમાન, કુવૈત અને ઈરાનનો સમાવેશ થાય છે.
બોર્ડના નિર્ણય અનુસાર, 16 March 2026 થી 10 April 2026 દરમિયાન નિર્ધારિત તમામ વિષયોની પરીક્ષાઓ હવે લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે પરીક્ષાઓ અગાઉ 01.03.2026, 03.03.2026, 05.03.2026, 07.03.2026 અને 09.03.2026 ના રોજ સ્થગિત કરવામાં આવી હતી, તેને પણ હવે સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે આ શૈક્ષણિક સત્રમાં મધ્ય પૂર્વના પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે કોઈ પરીક્ષા યોજાશે નહીં.
28 February 2026 ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલા બાદ આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર બની છે. દૂબઈ, અબુ ધાબી અને રિયાધ જેવા મોટા શહેરોમાં વધતા જોખમને કારણે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવું ખતરનાક બની રહ્યું હતું. પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે જણાવ્યું કે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને તેમની સલામતીની સમીક્ષા કર્યા બાદ જ આ મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે.
પરીક્ષાઓ રદ થતા હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરિણામ જાહેર કરવા માટેની પદ્ધતિ ટૂંક સમયમાં અલગથી જાહેર કરવામાં આવશે. નિષ્ણાતોનું અનુમાન છે કે કોવિડ-19 ના સમયગાળાની જેમ જ, ઇન્ટરનલ એસેસમેન્ટ અથવા અગાઉ લેવાયેલી પરીક્ષાઓના ગુણના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10 ની બાકીની તમામ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા અગાઉ જ લેવામાં આવ્યો હતો.
બોર્ડે તમામ શાળાઓના આચાર્યોને સૂચના આપી છે કે તેઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને આ નિર્ણય વિશે જાણ કરે અને તેમને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરે.


