વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
શહેર પોલીસ સમક્ષ ખુલાસાઓનો સિલસિલો : પીડિત પરિવારે કહ્યું 30 લાખ સામે દોઢ કરોડની થઈ રહી છે માંગણી : અન્ય એક મહિલાનું રડતાં નિવેદન, ન્યાય નહીં મળે તો દેશ છોડવો પડશે
એક પીડિત પરિવારની આજીડેમ પોલીસ મથકના PI સાથે બોલાચાલીથી માહોલ તંગ બન્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ત્રાસથી પરેશાન નાગરિકોને ન્યાય આપવા માટે યોજાયેલી જનસંપર્ક સભા દરમિયાન અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં પીડિતોએ ખુલ્લેઆમ પોતાની વ્યથા રજૂ કરી હતી, જેમાં લોધીડા ગામના એક ખેડૂત પરિવારનો કેસ ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો કે, માત્ર 30 લાખ રૂપિયાની લોન સામે વ્યાજખોરોએ લગભગ 1.48 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ રજૂઆત દરમિયાન પીડિત પરિવાર અને આજીડેમ પોલીસ સ્ટેશનના PI વચ્ચે બોલાચાલી સર્જાતા સભાનો માહોલ પણ તંગ બની ગયો હતો.
લોધીડા ગામના રહેવાસી જગાભાઈ ઝાપડિયાએ જણાવ્યું હતું કે, તેમના ભાણેજને આર્થિક જરૂરિયાત હોવાથી તેઓએ ઓળખીતાઓ પાસેથી વ્યાજે રૂપિયા 30 લાખ લીધા હતા. આ માટે તેમણે પોતાની ખેતીની જમીન ગીરવે મૂકી હતી. બાદમાં તેમણે જમીન વેચીને મૂળ રકમ પરત પણ કરી દીધી હતી. છતાં, વ્યાજખોરો દ્વારા સતત વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. જગાભાઈના જણાવ્યા અનુસાર, તેમના ઉપર અનેક વખત હુમલા પણ કરવામાં આવ્યા હતા. સતત દબાણ અને ધમકીઓથી પરેશાન થઈ તેઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં વ્યાજખોરો દ્વારા રૂપિયા 1.48 કરોડની માંગણી ચાલુ જ રાખવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર મામલે તેમના પાસે પુરાવા તરીકે મોબાઇલ રેકોર્ડિંગ પણ છે. છતાં છેલ્લા 56 દિવસથી પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી. તેઓએ આ બાબતે જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી હોવા છતાં યોગ્ય ન્યાય મળ્યો નથી.
આ દરમિયાન પીડિત પરિવારની મહિલા હંસાબેન ઝાપડિયાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, તેઓએ એક વ્યક્તિ માટે વિશ્વાસ રાખીને પૈસા લીધા હતા, પરંતુ હવે તે જ લોકો તેમના પરિવારને બરબાદી તરફ ધકેલી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, નાણા પરત આપી દીધા હોવા છતાં વધુ રકમની માંગણી કરવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
હંસાબેને આક્રોશભેર કહ્યું હતું કે, જો અમને ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત જ નહીં, દેશ છોડવો પડશે.તેમના આ નિવેદનથી સભામાં હાજર લોકો પણ ભાવુક બની ગયા હતા. આ રજૂઆત દરમિયાન પોલીસ અધિકારી સાથે થયેલી બોલાચાલીથી થોડીવાર માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જોકે બાદમાં મામલો શાંત કરાયો હતો.
જનસંપર્ક સભામાં અન્ય અનેક પીડિતોએ પણ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. તેમાં વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, મની પ્લસ શરાફી મંડળી નામની સંસ્થા દ્વારા લોકોને ઊંચા વળતરની લાલચ આપી મોટી ઠગાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, આ મંડળીના સંચાલક અલ્પેશ દોંગાએ લોકો પાસેથી આશરે 20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. લોકોને આકર્ષવા માટે કાર્યક્રમો યોજી મોટા નફાની ખાતરી આપવામાં આવતી હતી. ઘણા લોકોએ પોતાની જીવનભરની બચત તેમાં મૂકી હતી. પરંતુ હવે તે નાણાં પરત આપવામાં આવતા નથી. આ કેસમાં પણ પીડિતોએ પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
તેમજ અન્ય એક કેસમાં મગનલાલ મોહનભાઈએ જણાવ્યું હતું કે, તેમણે અમદાવાદ સ્થિત એક કંપનીને લાખો રૂપિયાનો માલ સપ્લાય કર્યો હતો, પરંતુ અત્યાર સુધી સંપૂર્ણ ચુકવણી કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે, રૂ.43 લાખથી વધુની રકમમાંથી માત્ર 10 લાખ જેટલી જ રકમ મળી છે, જ્યારે બાકી રકમ હજુ બાકી છે.
આ તમામ કેસોમાં એક સામ્યતા જોવા મળી કે, પીડિતો લાંબા સમયથી ન્યાય માટે ભટકી રહ્યા છે અને તેમને સમયસર સહાય મળતી નથી.
જનસંપર્ક સભામાં રજૂ થયેલી આ ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજખોરી અને આર્થિક છેતરપિંડીના કેસો હજુ પણ ગંભીર સમસ્યા બની રહ્યા છે. અનેક લોકો ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ પોતાની મિલ્કત ગુમાવી રહ્યા છે અને માનસિક રીતે તૂટી રહ્યા છે.
પોલીસ તંત્ર દ્વારા આવી સભાઓનું આયોજન કરીને પીડિતોને સીધો પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યો છે, પરંતુ પીડિતોની ફરિયાદ છે કે, માત્ર સાંભળવાથી કામ નહીં ચાલે, તાત્કાલિક અને કડક કાર્યવાહી જરૂરી છે. આ બનાવ બાદ પોલીસ કમિશનરે તમામ ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરવાનો વિશ્વાસ આપ્યો છે. સાથે જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
વિશેષજ્ઞોના મતે, વ્યાજખોરીના વધતા કેસોને રોકવા માટે કડક કાયદાકીય પગલાં સાથે જ લોકોમાં જાગૃતિ લાવવાની પણ જરૂર છે. બિનકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં લેતા પહેલાં લોકો સાવચેત રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
રાજકોટમાં યોજાયેલી આ જનસંપર્ક સભાએ અનેક છુપાયેલા કેસોને બહાર લાવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, પીડિતોને વાસ્તવિક ન્યાય મળે છે કે નહીં અને આરોપીઓ સામે કેટલા ઝડપી પગલાં લેવાય છે.


