ર્પણ કયારેય કશુ સંગ્રહ નથી કરતું, તમે દર્પણ સામેથી હટી જાવ તો દર્પણમાં કશું રહેતું નથી!
આકાશી વિશ્વાસમાં ધ્રુવ અચલ વિશ્વાસ છે, અન્ય તારાઓ નક્ષત્રો ખરી પડે પણ ધ્રુવ અચલ છે
ભોજનના સ્વભાવ દોષ, આશ્રય દોષ અને નિમિત દોષ હોય છે
માધાપર-કચ્છની ધરતી પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ મુકુરાષ્ટ’ના સાતમા દિવસે (ગઇકાલે) પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે મુકુર-દર્પણને કેન્દ્રસ્થ વિષય રાખીને માનસના આધારે આપણે સંવાદ કરી રહ્યા છીએ તેમાં આગળ વધીએ.. આપણે મને તિલક કરવું હોય તો દર્પણની જરૂર પડે છે. કોઇ આપણને તિલક કરે તો દર્પણની જરૂર પડતી નથી પણ ઘણા પ્રજ્ઞાચક્ષુ સાધુઓ પોતાને તિલક કરે તો એને દર્પણની જરૂર નથી પણ એ તિલક કરે છે તો ખૂબ સરસ સુરેખ તિલક કરે છે. મેં ઘણા પ્રજ્ઞાચક્ષુ સાધુના તિલક જોયા છે. દર્પણ હોય પણ દ્રષ્ટિ ન હોય તો! અને દર્પણ પણ મલિન હોય તો? બાપ, મન-બૃધ્ધિ, ચિત, અહંકારના દર્પણ તૂટી જાય તો અનંત સ્વરૂપના દર્શન થઇ શકે છે. આ દર્પણ શુધ્ધ કેમ થાય?
દર્પણ કયારેય-કોઇ વસ્તુનો સંગ્રહ નથી કરતું! તમે દર્પણથી દૂર હટી જાવ તો દર્પણ સ્પષ્ટ થઇ જાય છે કેમ કે એ કયારેય સંગ્રહ નથી કરતું. આપણે સૌ આ પાંચ વસ્તુ કરીએ તો ફાયદો થશે. (૧) શકય હોય ત્યાં સુધી ભૂમિ શયન કરો. ધરતી પર સૂવો. ધરતી ધીરજ સહન કરતા શીખવશે. અરિસામાં તિરાડ નહીં પડે! (૨) સંયમ-વિવેક, વાણીનો, વર્તનનો, વસ્ત્રનો, ભોજનનો વિવેક રાખવી. આપણા ધર્મશાસ્ત્રોમાં આ લખ્યું છે કે આપણે આ બધો વિવેક રાખીએ તો મનરૂપી દર્પણ શુધ્ધ થશે. ભોજનના પણ ત્રણ દોષ છે. (૧) સ્વભાવ દોષ (૨) આશ્રય દોષ અને (3) નિમિત દોષ, ગુરૂ સ્મૃતિ સ્મરણ કોઇ બુધપુરૂષનું નિરંતર સ્મરણ કરવું (૪) વિશ્વાસપૂર્વક હરિનું સ્મરણ (૫) મૌન
ધર્મધુરંધર કોઇ એવા પહોંચેલા ગુરૂ સ્વામીને યાદ કરવા. જેણે ધર્મની ધૂરી સંભાળી હોય એનું સ્મરણ કરવું. વિશ્વાસની આજુબાજુ આ ધર્મ ધુરીઓની શેરીઓ છે. એમાં ધ્રુવ વિશ્વાસ-આકાશી વિશ્વાસ હોય અને દિવાદાંકી માર્ગ દેખાડશે. અખંડ આકાશનો વિશ્વાસ જે ભટકે નહીં, બીજાને ભટકવા ન દે! એ છે ધ્રુવ વિશ્વાસ-અચલ વિશ્વાસ.
પ્રિય બાપુએ સૌ કથા પ્રેમીઓને હૃદયથી અપિલ કરતાં સજળ નયને કહ્યું કે બાપ, પર્યાવરણનું જતન કરજો, ઘરમાં માતૃભાષા જ બોલજો. કોઇ વ્યસનો હોય તો ધીરે ધીરે છોડજો. કચ્છમાં મને લોકોએ કહ્યું છે કે બાપુ હજી કયાંક કયાંક બલિ ચડાવાય છે! એ બધુ બંધ કરજો. વિવેક રાખજો. ન ખાવા જેવું હોય, ન પીવા જેવું હોય એવું ન ખાશો, ન પીશો. ફ્રિજમાં દહીં, દૂધ, ભાખરી વગેરે હોય એમાં ઇંડા ન રાખશો. એ ભોજન વિવેક નથી! વિશ્વ રંગભૂમિ દિવસની શુભકામનાઓ આપી અને બાપુએ ભૂતકાળ સ્મરણ કરતાં કહ્યું કે એ બે વખત નાટકમાં કામ કર્યુ છે. પ્રાથમિક શાળામાં હતો ત્યારે મને એક વખત હાઇસ્કૂલ (મહુવામાં) હતો ત્યારે ‘જૂની આંખે નવું’ નાટકમાં અભિનય કર્યો હતો.
કથારત્નો
(૧) ‘લવ ઇઝ મિરર’ : સૂફી સંત રૂમી
(૨) હમ ફરિશ્તો કી તરહ પેરા આયે
જન કી ઉસે કામ કેવલ આદમી કા થા!
એક સાયા થા જો સાથ મેરે,
વો ધૂપ કે ખાનદાન કા નિકલા!
ઉસકે ગાલો કો ગર નહીં દેખા
ખાક તુને ગુલાબ કો દેખા!
(3) તુમ્હારે હૈ તુમસે દુઆ માંગતે હૈ!
(૪) પર્યાવરણ અને માતૃભાષાનું જતન કરવું, વ્યસનો છોડવા
(૫) આંખ છે, દ્રષ્ટિ છે, દર્પણ છે પણ દર્પણ મલિન હોય તો???
મકથામાં નિરંતર ધરતીનું અમૃત…
કચ્છના માધાપરની ધરતી માધવપુર બની છે અને મજાની વાત તો એ છે કે રામકથા ‘માનસ મુકુરાષ્ટક’માં આવતા કથાપ્રેમીઓ સૌ કોઇ નાના-મોટા, બાળકો, યુવાનો, ભાઇઓ, બહેનો, વૃધ્ધો જે કોઇ કથાશ્રવણમાં આવે એ પ્રેમી ભકતો માટે ધરતીનું અમૃત એટલે કે શેરડીનો રસ આપવામાં આવે છે. ઘરમાં કે શેરીઓમાં જેમ પાણીના નળ હોય છે અને પાણીની ટાંકી હોય છે. એમ રામકથાના વિશાળ ડોમની સામે જ શેરડીના રસની ટાંકીઓ ભરવામાં આવે છે અને સૌ કથાપ્રેમીઓ નળ ખોલે એટલે શેરડીના રસનો ધોધ છૂટે છે!!!
સવારથી સાંજ સુધી નિરંતર આ શેરડીનો રસ પીરસવામાં આવે છે. ઉનાળાની ગરમીના દિવસોમાં કથાના મનોરથી પરિવારના નિર્મિત માત્ર ધીરેશભાઇ દ્વારા આ રસ સેવા માટ હજારો શ્રોતાઓના મન પ્રસન્ન થઇ રહ્યાં છે અને કથાપ્રેમીઓ મોજથી આ ધરતીનું અમૃત અખંડ પી રહ્યાં છે. જેટલો રામકથામાં રસ છે એટલો જ રસ આ ધરતીના અમૃતમાંથી લોકો દરરોજ માણી રહ્યાં છે.
સદભાવના વૃધ્ધાશ્રમનું સદભાવકર્મ
કચ્છની ધીંગી ધરા પર પ્રવાહિત થઇ રહેલી રામકથામાં એક સુંદર સુયોગ રચાયો છે. સદભાવના રાજકોટ દ્વારા સમગ્ર ભારતને વૃક્ષોથી હરિયાળું બનાવવાની સદપ્રવૃતિ આખા ભારતમાં થઇ રહી છે ત્યારે રામકથા માધાપર-કચ્છને ચિરંજીવી સ્મૃતિ બની રહે એ માટે માધાપર, ભૂજોડી અને રામકથાના સ્થાને જતા નાના-મોટા રસ્તાઓને કિનારે કથા પૂર્વ જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પ્રિય બાપુની નિવાસ કૂટીયાના રસ્તે પણ આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કથાપ્રેમીઓએ સદભાવના વૃધ્ધાશ્રમની આ પહેલ અને પ્રવૃત્તિને પ્રસન્નતાથી વધાવી હતી.


