સાણંદથી સંભવિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના શ્રીગણેશ
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
કાનાલુસ-જામનગરનું ડબલીંગ, ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકીંગ સહિત રેલવેના રૂ.૮૯૧ કરોડના વિકાસ કાર્યોની સૌરાષ્ટ્ર સહિત રાજયને મળશે સુવિધા
રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક વિસ્તરણ અને આધુનિકીકરણ થતા વેપાર, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્ય સેવા સુધી પહોંચવું સરળ બનશે, સ્થાનિક સ્તરે રોજગારી અને ઉદ્યોગને વેગ મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયમાં સ્થાનિક ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. રાજકીય પક્ષો સક્રિય થયા છે. ગુજરાત ભાજપનો ગઢ છે અને આ ગઢ જાળવી રાખવા માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલે વડાપ્રધાન ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે અને સંભવિત ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ પણ કરશે તેવી ચર્ચા આધારભૂત સૂત્રોમાં થઇ રહી છે.
ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે, ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તારીખ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતમાં ₹891 કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.
આ ઐતિહાસિક અવસરે પ્રધાનમંત્રી દ્વારા ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ તેમજ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇનનું લોકાર્પણ તથા ગાંધીધામ–આદીપુર રેલ લાઇનના મલ્ટી-ટ્રેકિંગ અને કાનાલુસ–જામનગર રેલ લાઇનના ડબલિંગનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના મધ્ય ભાગ વચ્ચે ઝડપી, સુલભ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા સ્થાપિત થશે.
આ પ્રોજેક્ટ્સ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના સામાજિક અને આર્થિક પરિવર્તન માટે પ્રેરક સાબિત થશે. વધુ સારી રેલ કનેક્ટિવિટીથી વેપાર, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું સરળ બનશે, સાથે જ સ્થાનિક સ્તરે રોજગારી અને ઉદ્યોગોને વેગ મળશે.
₹257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે, જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તથા ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબિત થશે.
ખેડબ્રહ્માથી હિંમતનગર થઈ અમદાવાદ (અસારવા) સુધી શરૂ થનારી નવી ટ્રેન સેવા સામાન્ય જનતા માટે દૈનિક મુસાફરી સરળ બનાવશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દીઓ માટે શહેર સુધી અવરજવર વધુ સુવિધાજનક અને સસ્તી બનશે. આનાથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોનો સીધો સંપર્ક મોટા શહેરો સાથે થશે, જેનાથી જીવનધોરણમાં સુધારો આવશે અને સ્થાનિક વેપારીઓને નવા બજાર ઉપલબ્ધ થશે.
₹482 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી સાબરકાંઠા વિસ્તારને સીધી રેલ સુવિધા પ્રાપ્ત થશે. હવે લોકો અમદાવાદથી નાના અંબાજી સુધી ઓછા સમયમાં અને સસ્તા ભાડામાં સરળતાથી પહોંચી શકશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે. આ પ્રોજેક્ટ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે અને પ્રાદેશિક વિકાસને ગતિ આપશે.
₹152 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી માલગાડીઓની અવરજવર સુગમ થશે. કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગોને માલ પરિવહનમાં તેજી મળશે, જેનાથી વેપારને વેગ મળશે. ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે અને મુસાફરોને ઓછી અસુવિધા થશે. ખાસ કરીને મીઠું, કન્ટેનર, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કોલસાના પરિવહનમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે, જેનાથી લોજિસ્ટિક્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે.
ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલી આવી પહેલો દેશના અંતિમ છેડા સુધી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરીને “સૌનો સાથ, સૌનો વિકાસ” ના સિદ્ધાંતને સાકાર કરે છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના સમગ્ર વિકાસમાં મહત્વનું યોગદાન આપશે તથા ભારતને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે. પ્રધાનમંત્રી દ્વારા આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.
સાણંદ-નરોડાથી PMનો વર્ચ્યુઅલ કાર્યક્રમ
વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 3૧મી માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા સંપન્ન થયેલા રૂ.૨૭૧.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટસનું લોકાર્પણ કરશે.
અમદાવાદના સાણંદ ખાતે આશરે ૨,૦૫૬ હેક્ટરમાં ફેલાયેલી ઔદ્યોગિક વસાહત આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગોનું હબ બની છે. અહીં ૧,૧૫૦થી વધુ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે GIDC દ્વારા બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ ડ્રેઈન પ્રોજેક્ટ અંતર્ગત વસાહતની બંને બાજુએ ૧૮.૭૧ કિ.મી. લાંબી RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન બનાવવામાં આવી છે, જે આંતરિક અને ઉપરવાસના પાણીનો નિકાલ કરશે. તે ઉપરાંત સાણંદ-વિરમગામ હાઈવે પરના મુખ્ય પ્રવેશદ્વારો પાસે ૧૮.૩૫ કિ.મી. લાંબી ડ્રેઈન સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
માર્ચ ૨૦૨૬માં પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે ‘ઝીરો વોટર લોગિંગ’ ઝોન બનવા તરફ આગળ વધી રહ્યું છે. ૧૯૬૩માં સ્થપાયેલી રાજ્યની સૌથી જૂની વસાહતોમાંની એક એવી નરોડા ઔદ્યોગિક વસાહતને પણ રાજ્ય સરકારની ‘Assistance for Industrial Infrastructure (A.I.I.)’ યોજના હેઠળ નવું કલેવર આપવામાં આવ્યું છે. ₹૨૭.૨૦ કરોડ ના ખર્ચે અહીં વિવિધ કામો પૂર્ણ કરાયા છે. જે અંતર્ગત આંતરિક માર્ગોનું મજબૂતીકરણ અને વિસ્તરણ, સ્ટોર્મ વોટર ડ્રેઈન અને કુદરતી નાળાનું લાઈનિંગ, ૧.૧૯ લાખ ચો.મી. વિસ્તારમાં પેવર બ્લોક, ફૂટપાથ અને પાર્કિંગની સુવિધા તેમજ નવી સ્ટ્રીટ લાઈટ્સ, હાઈ-માસ્ટ લાઈટ્સ, સેક્યુરિટી કેબિન અને ટોયલેટ બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી સાણંદ અને નરોડાના હજારો લઘુ અને મોટા ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આધુનિક ડ્રેઈન સિસ્ટમ, સ્માર્ટ વોટર મીટર, CCTV સર્વેલન્સ અને મજબૂતીકરણ કરેલ રસ્તાઓને કારણે માલ-સામાનની હેરફેર સરળ બનશે અને વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત વધુ આકર્ષક બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનારા આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.


