નાયરા બાદ વધુ એક ખાનગી કંપનીએ લોકોને દઝાડયા
સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
ડિઝલ રૂ.૧33.૫૨ અને પેટ્રોલ રૂ.૧૨૯.૮૫એ પહોંચ્યું : યુધ્ધના કારણે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે ઇંધણના ભાવમાં અસહ્ય ઉછાળો
એપ્રિલના પ્રારંભે જ સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. જી હાં, નાયરા કંપની દ્વારા પેટ્રોલ-ડીઝલમાં વધારો કરાયા બાદ હવે વધુ એક કંપનીએ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે કંપનીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, શેલ ઈન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે.
મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગયા છે, ત્યારે ખાનગી કંપનીઓએ તેમના નુકસાનને સરભર કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. બેંગલુરુમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹7.41નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં ₹25નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ સામાન્ય ડીઝલની કિંમત શેલ ઈન્ડિયાના પંપો પર ₹123.52 અને પ્રીમિયમ વેરિએન્ટની કિંમત ₹133.52 પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.
બેંગલુરુમાં હવે સામાન્ય પેટ્રોલ ₹119.85 અને પાવર પેટ્રોલ ₹129.85 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સ્થાનિક VAT અને પરિવહન ખર્ચ (Transportation costs)ને કારણે અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં આ કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ કુલ મળીને આખા દેશમાં શેલના આઉટલેટ્સ પર હવે ગ્રાહકોને વધારે પૈસા ખર્ચવા પડી રહ્યા છે.
રાહતની વાત એ છે કે, સરકારી કંપનીઓ (IOCL, BPCL, HPCL)એ ક્રૂડની કિંમત વધી રહી હોવા છતાં સરકારના હસ્તક્ષેપના કારણે રિટેલ કિંમતોમાં કોઈ વધારો કર્યો છે. તો પ્રાઈવેટ કંપનીને સરકાર તરફથી કોઈ નાણાકીય વળતર કે સબસિડી મળતી નથી. તેથી નુકસાનથી બચવા માટે ખાનગી કંપનીઓ પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.
આ ભાવ વધારાનું કારણ ઈરાન યુદ્ધથી ક્રુડ ઓઈલની કિંમતોમાં થયેલો વધારો છે. ડીઝલની કિંમતો હજુ પણ વધી શકે છે અને તે 148-165 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. જો કે આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જો કે પ્રાઈવેટ ઈંધણ રિટેલ કંપની દબાણમાં છે, કારણ કે સરકારી કંપનીઓએ કાચાતેલની વધતી કિંમતો છતાં ભાવમાં વધારો કર્યો નથી, ત્યારે પબ્લિક સેક્ટરની કંપનીઓની તુલનામાં પ્રાઈવેટ રિટેલ કંપનીઓને વળતર મળતું નથી, જેનાથી ભાવમાં વધારોનો બોજ ગ્રાહક પર પડે છે.
દેશમાં 3૨૫થી વધારે પેટ્રોલપંપ
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા નાયરા એનર્જીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. નાયરાએ પેટ્રોલની કિંમત 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 3 રૂપિયા પ્રતિ લિટર વધારી હતી. આ કંપનીના દેશભરમાં 6967 પેટ્રોલ પંપ છે. જ્યારે શેલ ઈન્ડિયાના કર્ણાટક (ખાસ કરીને બેંગ્લોર), મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા અને આસામમાં કુલ 325થી વધારે પેટ્રોલ પંપ છે.
ક્રૂડના ભાવમાં ૬૦ ટકાનો વધારો
ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના આશરે 88 ટકા આયાત કરે છે. પરિણામે, પુરવઠામાં કોઈપણ વિક્ષેપ આવતા ઇંધણના ભાવ વધવા લાગે છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષો વચ્ચે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા શિપમેન્ટને લઈને ચિંતાઓ વધી ગઈ છે. 8 ફેબ્રુઆરીથી – જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કર્યા – બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 60 ટકા સુધીનો વધારો થયો છે.


