રાજકોટમાં યોજાનાર કાર્યક્રમનો વિજ્ઞાન જાથા વિરોધ કરશે
બાબા બાગેશ્વર વિરૂધ્ધ તા.૪-૫ જૂને જાથાની રેલી, સુત્રોચ્ચાર અને ધરણા
મેડીકલ લાયસન્સ વગર જાહેરમાં ઉપચાર કરવો કાનુની અપરાધ : જયંત પંડયા
વિજ્ઞાન મંચમાં આવી ત્રણ પ્રશ્નોના સચોટ જવાબ માટે ૧ કરોડના ઈનામની જાહેરાત
બાબાથી પીડિત લોકો ફરિયાદ કરવા વિજ્ઞાન જાથાની અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગત લોકસભાની ચૂંટણી સમયે લોકોના પ્રાણ પ્રશ્નો, મોઘવારી, બેરોજગારીના મુદ્દાને હટાવવા દેશમાં સનાતન ધર્મના પ્રચારાર્થે ધાર્મિક ઉન્માદ માટે દેશમાં કેટલાક ધાર્મિક નેતાઓની પસંદગીમાં મધ્યપ્રદેશના બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીને ઉતારવામાં આવેલ હતા. તેના ભાગ રૂપે ગુજરાતમા આવી ગુજરાત કે પાગલોનું ઉચ્ચારણ કરતા નાગરિકો, પ્રબુધ્ધ લોકો, રાજકીય આગેવાનોને ખોટું કે માઠું લાગ્યું ન હતું. રાજયમાં કથા સાથે દિવ્ય દરબાર ભરીને કાયદાનું ખુલ્લેઆમ ભંગ કર્યો છતાં કાનુની પગલા ભરવામાં આવ્યા ન હતા. આ વખતે રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું આયોજન જુનમાં યોજાનાર છે તેમાં અંધશ્રદ્ધા પ્રેરક કાર્યક્રમનો ભારત જન વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરી બાબા બાગેશ્વર સામે રેલી, સુત્રોચ્ચાર ધરણાંનો કાર્યક્રમ આપી લોકોને જાગૃત કરવામાં આવશે. બાબા કાયદા ભંગ કરશે તુરંત પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં આગામી તા. ૪ અને ૫ જુનના રોજ બાબા વિરૂદ્ધ રેલી, સુત્રોચ્ચાર, ધરણાના કાર્યક્રમ માટે પોલીસ કમિશ્નર કચેરીમાં મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. જેમાં જાથાના સમર્થકો બાબા બાગેશ્વરની દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા પ્રેરક કાર્ય પદ્ધતિ, ચમત્કારિક દાવાઓને પડકારવામા આવશે. ભારતના બંધારણના આમુખમાં લોકોમાં વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ ઉચ્ચારણો, અશાંતિનો માહોલ, વગર લાયસન્સે રોગનો ઉપચાર, અંધશ્રદ્ધા, ભ્રમમાં નાખવા સંબંધી કાર્યોની માહિતી લોકો સમક્ષ મુકવામાં આવશે. બાબા દેશમાં શાંતિનો માહોલ બગાડે છે વાદ-વિવાદ જાણી જોઈ કરવામા આવે છે. સ્થાનિક પરિસ્થિતિમાં કાયદો-વ્યવસ્થા જોખમાઈ તેવી પ્રવૃત્તિની નોંધ સરકારી તંત્રને આપી ગુન્હો દાખલ કરવામાં આવશે. બાબાને રાજકીય સાથ-સહકાર હોય કાયદો ભંગ હોવા છતાં પોલીસ તંત્ર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી તે જગજાહેર છે. આયોજકો પાસે કાયદા ભંગ ન કરે તેવી ખાત્રી પોલીસ તંત્ર મેળવે તેવી જાથા માગણી કરે છે.
વિજ્ઞાન જાથાના જયંત પંડયા જણાવે છે કે જુન તા. ૫ થી ૭ કથાના સ્થળે મંચ આસપાસ સમર્થકો-જાગૃતો ગોઠવાઈ જશે. અવૈજ્ઞાનિક પ્રક્રિયા સમયે ઉભા થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે. રોગ મટાડવાની દિવ્ય શક્તિ અટકાવશે. ઉપસ્થિત પોલીસને જાણકારી આપી ગુન્હા સંબંધી પગલાની માંગણી કરશે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા જાથા સજ્જ છે.
અંતમાં રાજયમાં જાથાના સમર્થકો રેલી-ધરણામાં હાજરી આપે લોકચળવળને ટેકો આપી નાગરિક ફરજ બજાવવા આહવાન છે. જુન તા. ૪ અને તા. ૫ સાંજે કિશાનપરા ચોકમાં ભેગું થવાનું નક્કી થયું છે. કાયદાની મર્યાદામાં જ આયોજન છે. જાથાને સરકારી મંજુરી બાદ આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જાથાના સમર્થનમાં મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.


