બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર સ્થિત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિરમાં ભીમ એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાનને વિવિધ જાતની કેરીઓનો ભવ્ય આમ્રોત્સવ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ વિશિષ્ટ મનોરથમાં ભગવાનની સમક્ષ વિવિધ ૨૮ પ્રકારની કુલ ૧૨૮૦ કિલો કેરીઓની સુંદર ગોઠવણી કરી આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો અને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેવી રીતે કેરીમાં કુદરતી મીઠાશ છે તેવી રીતે આપણા હૃદયમાં, આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં અને ભક્તિ સંબંધી ક્રિયાઓમાં પણ મીઠાશ પ્રગટ થાય એ ભાવના સાથે ભક્તો ભાવિકોએ અન્નકૂટના દર્શન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભીમ એકાદશી (નિર્જળા એકાદશી) ને વિશેષ પુણ્યપ્રદ અને પવિત્ર માનવામાં આવે છે ત્યારે મંદિરમાં ઉપસ્થિત રહેલા વિશાળ સંખ્યામાં ભક્તોએ ભગવાનના આ વિશેષ શણગાર અને કેરી ઉત્સવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આમ્રોત્સવ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભગવાન પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી.


