સત્તા ભોગવનાર પૂર્વ નેતાઓના વચનો નવા ઉમેદવારો માટે કસોટીરૂપ
મતદારોના મીજાજથી ઉમેદવારોના જીતનો માર્ગ કઠીન
ચૂંટણી મુદાઓ બિનઅસરકારક સાબિત થયા, મતદારોને રીઝવવા શું કરવું? રાજકીય પક્ષો, નેતાઓ મૂંઝવણમાં
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પ્રચારમાં જતા ઉમેદવારોને આડે હાથ લેતા સ્થાનિકો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રચારને આડે હવે ત્રણેક દિવસ માંડ રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલમાં જોરશોર દેખાતો નથી. આ વખતે ચૂંટણી મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયાં છે જેથી મતદારોને રિઝવવા શું કરવું એ મુદ્દે ઉમેદવારો અને રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂકાયાં છે.
વર્તમાન રાજકીય સ્થિતિ જોતા ચૂંટણીનો માહોલ એટલો નિરસ બન્યો છે કે જાણે ક્યાંય ચૂંટણી હોય તેવું લાગતું જ નથી. જોકે, આ શાંતિ પાછળ મતદારોમાં એક પ્રકારનો ‘અંડરકરન્ટ’ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પંદર દિવસના લાંબા પ્રચાર બાદ પણ મતદારોનું મન કળવું અઘરું બન્યું છે, જેના કારણે ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. મતદારોને રિઝવવા માટે કયા પ્રયાસો કરવા તે મોટો પ્રશ્ન છે, કારણ કે બહારથી દેખાતું ચૂંટણીનું ચિત્ર અંદરખાને સાવ અલગ હોવાનું જણાય છે.
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયા છે, જેના કારણે મતદારોની નિરસતાએ પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. રાંધણગેસની અછત, વધતી મોંઘવારી અને વૈશ્વિક યુદ્ધની અસરોને લીધે વેપાર-ધંધામાં જે મંદીનો માહોલ સર્જાયો છે, તેના કારણે ચૂંટણી પ્રચાર સાવ ફિક્કો રહ્યો છે. મતદારોમાં જાણે ચૂંટણીનો માનસિક થાક વર્તાઈ રહ્યો હોય તેમ તેમને પ્રક્રિયામાં કોઈ રસ રહ્યો નથી. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે મતદારોને આકર્ષી શકે તેવા કોઈ નક્કર કે અસરકારક મુદ્દાઓ રાજકીય પક્ષો પાસે હોય તેમ જણાતું નથી.
માત્ર વચનો જ મળતા લોકોમાં રોષ
ભાજપ સરકાર પણ મતદારો વચ્ચે જઈને વાહવાહી મેળવે તેવો ચૂંટણી પ્રચાર કરી શકે તેવી સ્થિતિમાં નથી. હાલ એન્ટી-ઈન્કમબન્સીનો એવો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, લોકો સરકારથી ભારોભાર નારાજ છે. ભાજપના ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ પ્રજાલક્ષી કામો જ કર્યા નથી જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે. આ જોતાં ઠેર ઠેર ભાજપના ઉમેદવારોનો હુરિયો બોલાવાઈ રહ્યો છે. આ તરફ, કોંગ્રેસ અને આપ પણ સરકારના કાન આમળીને મતદારોના મનમાં અસરકારકતા ઉભી કરી શકે તેમ નથી. ભાજપ સામે વિપક્ષની દાળ ગળે તેમ લાગતું નથી. મજબૂરવશ ગુજરાતની જનતા માટે ભાજપને મત આપ્યા સિવાય છૂટકો નથી.
ગરમી અને ઉનાળુ વેકેશન મતદાનમાં અસર કરશે
છેલ્લાં ત્રણેક દિવસથી ગરમીનો પારો 40 ડીગ્રીનો પાર કરી ચૂક્યો છે. હજુ પણ હવામાન વિભાગનું કહેવું છે કે, રવિવારે મતદાનના દિવસે પણ સૂર્યદેવતા પોતાનો અસલી મિજાજ દેખાડશે. ગરમીની લહેર વધશે તો છેલ્લાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરવો પણ અઘરો બનશે સાથે સાથે મતદાન પર અસર થઈ શકે છે જેના લીધે ઉમેદવારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉનાળુ વેકેશનને પગલે ઘણાં પરિવારોએ રજા માણવા ટુર પેકેજો બુક કરાવ્યાં છે. જો આ પરિવારો મતદાન નહી કરે તો ઉમેદવારોને વધુ એક ફટકો પડવાનો ડર છે. આ જોતાં ઉમેદવારોએ મતદારોને રજા પર ન જવા કાકલૂદી કરવી પડી રહી છે.
અમદાવાદમાં મત માંગવા ગયેલા ભાજપ કાર્યકરને લાફા માર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રાજકીય પક્ષોને જનતાના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અને નેતાઓની ગેરહાજરીને કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. આ રોષની સૌથી ગંભીર અસર સરસપુરના અશોક મિલની નવી ચાલીમાં જોવા મળી હતી.
અહીં ઈન્ડિયા કોલોની વોર્ડની પેનલના સમર્થનમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના 57 વર્ષીય કાર્યકર ધીરજભાઈ રાઠોડ અને અન્ય ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોક્યા હતા. હસમુખ વોરા નામના વ્યક્તિએ ‘અમારે ત્યાં પ્રચારમાં આવવાનું નથી’ તેમ કહી કાર્યકરો સાથે ઝઘડો કર્યો હતો. મામલો એટલો બિચક્યો કે હસમુખ વોરાએ ધીરજભાઈનો કોલર પકડી તેમને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.
સુરતમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂકયા
સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો ઘાલતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.


