બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા
આંગણવાડીઓની મુલાકાત લેવા વાલીઓને મનપાનું આહ્વાન
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આંગણવાડી કેન્દ્રો નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ સેવા આપે છે. આંગણવાડી માત્ર ભોજન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસનું પ્રથમ શિક્ષણ કેન્દ્ર છે.આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકોને રમતાં-રમતાં શીખવવામાં આવે છે. બાળગીતો, વાર્તાઓ, ચિત્રો, રમતો અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શીખવાની રસપ્રદ પદ્ધતિ વિકસાવવામાં આવે છે. આથી બાળકોમાં આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને શિસ્તનો વિકાસ થાય છે.
આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવામાં આવે છે, જે કુપોષણ દૂર કરવામાં મદદરૂપ બને છે. નિયમિત વજન માપન, આરોગ્ય તપાસ અને સમયસર રસીકરણ દ્વારા બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. ગર્ભવતી અને ધાત્રી માતાઓને પણ પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.શાળા પૂર્વ તૈયારીમાં આંગણવાડીનું મહત્વ અત્યંત વિશેષ છે. આંગણવાડીમાં આવતાં બાળકો શાળામાં ઝડપથી ભળી જાય છે અને અભ્યાસમાં વધુ સારો દેખાવ કરે છે. તેઓમાં સ્વચ્છતા, સમયપાલન અને સામાજિક વ્યવહાર જેવા સારા સંસ્કારોનો વિકાસ થાય છે.વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના બાળકોને નિયમિત રીતે આંગણવાડી કેન્દ્રમાં મોકલે અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ નો સંપૂર્ણ લાભ લેવા માટે મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મહાનગરપાલિકાના સતત માર્ગદર્શનથી કામગીરી અમલમાં મૂકવામાં આવેલ છે અને તારીખ:૨૦/૦૫/૨૦૨૬ના રોજ ૯૬૦ અને તા.૨૧/૦૫/૨૦૨૬ના રોજ ૬૯૮ એમ ૨ દિવસના કુલ ૧૬૫૮ બાળકોની નોધણી થયેલ છે.
બાળકોનું સ્વસ્થ, શિક્ષિત અને સંસ્કારી જીવન દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે.ચાલો, આપણે સૌ મળીને દરેક બાળકને આંગણવાડી સાથે જોડીએ અને સ્વસ્થ તથા શિક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.


