ચાલતી એસટી બસમાં કંડક્ટરને આવ્યો હાર્ટ એટેક, ફરજ દરમિયાન જ નિધન
સુરત-રાજકોટ રૂટ પર ડ્યૂટી બજાવતા જામનગરના વિરેન્દ્રભાઈ જાની બેભાન થયા; સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ફરજ દરમિયાન જ એક એસટી કંડક્ટરનું અચાનક હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં એસટી પરિવારમાં તેમજ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સુરત-રાજકોટ રૂટ પર ચાલતી બસમાં ડ્યૂટી બજાવી રહેલા જામનગરના રહેવાસી વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાનીનું તબિયત બગડ્યા બાદ સારવાર મળે તે પહેલાં જ અવસાન થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના વલ્લભ પાર્ક વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વિરેન્દ્રભાઈ જાની છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય પરિવહન નિગમમાં કંડક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ ગઈકાલે સુરતથી રાજકોટ આવતી એસટી બસમાં પોતાની નિયમિત ફરજ પર હતા. બસ રાજકોટ નજીક રામપર બેટી વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુઃખાવો શરૂ થયો હતો.
દુઃખાવો વધતાં તેમની સ્થિતિ ગંભીર બનતી ગઈ અને થોડા જ સમયમાં તેઓ બસમાં બેભાન થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજી બસના ડ્રાઇવરે વાહનને નજીકના કુવાડવા આરોગ્ય કેન્દ્ર તરફ દોરી ગયું હતું. પ્રાથમિક તપાસ બાદ તબીબોએ તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી.
જોકે, રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ વિરેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારજનો જામનગરથી રાજકોટ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પરિવારના સભ્યોનો આક્રંદ જોઈ હાજર લોકો પણ ભાવુક બન્યા હતા. વર્ષ 1998થી એસટી વિભાગમાં ફરજ બજાવતા વિરેન્દ્રભાઈ પોતાના સહકર્મચારીઓમાં સરળ અને કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકે ઓળખાતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ પાંચ ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાના હતા. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરી અને એક દીકરો છે. ઘરના મુખ્ય આધારસ્તંભના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પરિવાર શોકમગ્ન બન્યો છે.


