પેટ્રોલ-ડીઝલને હવે અલવિદા
ક્રુડના કટોકટીકાળમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક : હવે દેશ દોડશે 100% ઇથોનોલ પર
ઇરાન કટોકટી બાદ ક્રુડના ભાવમાં આગ, અર્થતંત્ર પર રૂા.10.9 લાખ કરોડના બોજા સામે સરકારનું ગ્રીન-ફયુલ મિશન
આગામી બે માસમાં 150 અને બે વર્ષમાં 5000 ઇથોનોલ સ્ટેશન શરૂ કરવાની તૈયારી, ઓટો કંપનીઓને ફ્લેક્સ-ફયુલ વાહનો માટે નિર્દેશ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ઇરાન અને મધ્યપૂર્વમાં વધતી જતી યુદ્ધ જેવી પરિસ્થિતિએ વૈશ્વિક ક્રુડ તેલ બજારમાં ભારે અસ્થિરતા સર્જી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડવા લાગી છે. ભારત જેવા તેલ આયાત આધારિત દેશ માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની છે. અંદાજ છે કે માત્ર 2026ના નાણાકીય વર્ષમાં જ ક્રુડ તેલના વધેલા ખર્ચનો દેશના અર્થતંત્ર પર રૂા.10.9 લાખ કરોડ જેટલો બોજો આવી શકે છે. પરંતુ આ જ સંકટ હવે ભારત માટે એક મોટા પરિવર્તનની તક બની રહ્યું છે.
કેન્દ્ર સરકારે હવે પર્યાવરણ બચાવવાના એજન્ડા કરતાં આગળ વધી આર્થિક યુદ્ધના ભાગરૂપે ઇથોનોલ અને ઇલેક્ટ્રિક એનર્જી આધારિત ભારત બનાવવાનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે. આગામી બે વર્ષમાં દેશભરમાં 5000 એવા ફયુલ સ્ટેશનો ઉભા કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જ્યાં 100 ટકા ઇથોનોલ આધારિત ઇંધણ ઉપલબ્ધ રહેશે. માત્ર એટલું જ નહીં, આગામી બે માસમાં મુંબઈ, દિલ્હી, પુના અને નાગપુર જેવા શહેરોમાં 150 નવા ઇથોનોલ રીટેલ સ્ટોર કાર્યરત થઈ જશે. સરકાર માને છે કે જો વ્યાપારી વાહનો, ટ્રક, બસો અને અન્ય કોમર્શિયલ સેગમેન્ટને ધીમે ધીમે ઇથોનોલ અને ઇલેક્ટ્રિક એનર્જી તરફ ફેરવી દેવામાં આવશે તો ભારતની ક્રુડ આયાતમાં ઐતિહાસિક ઘટાડો થશે. જેના કારણે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ડોલર સામે નબળો પડતો રૂપિયા ફરી મજબૂત બનશે અને મોંઘવારી પર પણ નિયંત્રણ આવશે.
પેટ્રોલિયમ મંત્રાલયે આ દિશામાં ઓટોમોબાઈલ કંપનીઓ સાથે મેરેથોન બેઠક શરૂ કરી દીધી છે. દેશની અગ્રણી કંપનીઓ જેમ કે મારૂતિ, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હીરો મોટોકોર્પ અને ટીવીએસને એવા વાહનોના ઉત્પાદન માટે કહેવામાં આવ્યું છે જે 100 ટકા ઇથોનોલ પર દોડી શકે. ખાસ કરીને કોમર્શિયલ વાહનોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કારણ કે દેશના પરિવહન ક્ષેત્રમાં સૌથી વધુ ડીઝલ અને પેટ્રોલનો વપરાશ આ સેગમેન્ટમાં થાય છે.
સુત્રોના જણાવ્યા મુજબ સરકારે આગામી પાંચ વર્ષ માટે ‘ક્રુડ ફ્રી ટ્રાન્સપોર્ટ ઇકોનોમી’નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેમાં એક તરફ ઇથોનોલ આધારિત ઇંધણ અને બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોનો મોટા પાયે ઉપયોગ વધારવામાં આવશે. સરકાર હવે પોતાની તમામ નવી ખરીદીમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપશે. સરકારી કચેરીઓ, વિભાગો અને જાહેર પરિવહન તંત્રમાં મોટા પ્રમાણમાં ઇ-વાહનોનો સમાવેશ કરાશે.
દેશમાં હાલ લાખો કોમર્શિયલ વાહનો અને અંદાજે 8 કરોડ જેટલી બસો-ટ્રાન્સપોર્ટ વાહનો વિવિધ માર્ગો પર દોડી રહ્યા છે. સરકાર હવે આ સમગ્ર પરિવહન માળખાને ધીમે ધીમે ઇલેક્ટ્રિક અને ઇથોનોલ આધારિત બનાવવાની તૈયારીમાં છે. ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને લોજિસ્ટિક ક્ષેત્રને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. ઇથોનોલ ઉત્પાદન વધારવા માટે સરકારે ઇન્ડિયન સુગર અને બાયોએનર્જી મેન્યુફેકચરીંગ એસોસિએશન સાથે વિશેષ બેઠક યોજી છે. શેરડી, મકાઈ અને કૃષિ આધારિત અન્ય કાચામાલમાંથી ઇથોનોલનું ઉત્પાદન વધારવા માટે જીએસટી રાહતો, સબસિડી અને નવી નીતિ લાવવામાં આવશે. આ પગલાથી સીધો લાભ દેશના લગભગ 8 કરોડ ખેડૂતોને થવાની સંભાવના છે. અત્યાર સુધી ઇથોનોલ મિશ્રણવાળા પેટ્રોલનો ઉપયોગ મર્યાદિત સ્તરે થતો હતો, પરંતુ હવે સરકાર સીધું 100 ટકા ઇથોનોલ ફયુલ તરફ આગળ વધી રહી છે. નિષ્ણાતો માને છે કે જો આ યોજના સફળ થશે તો ભારત વિશ્વના સૌથી મોટા ગ્રીન ફયુલ આધારિત પરિવહન મોડલ તરીકે ઉભરી શકે છે.
ક્રુડ તેલના વધતા ભાવને કારણે દેશમાં ખાદ્ય વસ્તુઓ, પરિવહન ખર્ચ અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે. સરકાર હવે માને છે કે માત્ર પરંપરાગત પેટ્રોલ-ડીઝલ પર નિર્ભર રહીને અર્થતંત્રને સ્થિર રાખવું મુશ્કેલ બનશે. તેથી હવે ‘ઇ-એનર્જી ઇકોનોમી’ તરફનું પરિવર્તન અનિવાર્ય બની ગયું છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી છ માસમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 500 જેટલા ઇથોનોલ સ્ટેશનો કાર્યરત થઈ જશે. ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ ઝડપથી નેટવર્ક વિસ્તૃત કરવામાં આવશે. સાથે જ ઇથોનોલ સ્ટોરેજ, સપ્લાય ચેઇન અને રિફાઇનિંગ માટે વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે.
ઓટો ઇન્ડસ્ટ્રી માટે પણ આ પરિવર્તન અત્યંત મહત્વપૂર્ણ બનશે. કંપનીઓને નવા એન્જિન પ્લેટફોર્મ, ઇંધણ સિસ્ટમ અને ટેક્નોલોજીમાં રોકાણ કરવું પડશે. પરંતુ સરકારનો દાવો છે કે લાંબા ગાળે આ મોડલ ભારત માટે આર્થિક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે. નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત ક્રુડ આયાતમાં મોટો ઘટાડો કરવામાં સફળ રહેશે તો દેશનો વિદેશી ચલણ ભંડાર મજબૂત બનશે, આયાત ખર્ચ ઘટશે અને રૂપિયામાં સ્થિરતા આવશે. ઉપરાંત કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થતાં પર્યાવરણને પણ મોટો લાભ મળશે. આ રીતે ઇરાન કટોકટી અને વૈશ્વિક તેલ સંકટે ભારતને હવે નવા ઊર્જા યુગ તરફ ધકેલી દીધું છે. આગામી પાંચ વર્ષમાં ભારતનું અર્થતંત્ર પેટ્રોલ-ડીઝલથી દૂર જઈ ઇથોનોલ અને ઇલેક્ટ્રિક એનર્જી આધારિત બને તેવી શક્યતા વધુ મજબૂત બની રહી છે.
બે વર્ષમાં 5000 ઇથોનોલ સ્ટેશનનો પ્લાન
* દેશભરમાં 100% ઇથોનોલ ફયુલ ઉપલબ્ધ કરાશે
* પ્રથમ તબક્કામાં મુંબઈ, દિલ્હી, પુના અને નાગપુરમાં 150 સ્ટેશન
* છ માસમાં દિલ્હી વિસ્તારમાં 500 સ્ટેશન શરૂ કરવાનો લક્ષ્યાંક
* ક્રુડ આયાતમાં મોટો ઘટાડો લાવવાનો સરકારનો પ્રયાસ
કોમર્શિયલ વાહનો પર સરકારનો ફોકસ
* ટ્રક, બસ અને માલવાહક વાહનોને ઇથોનોલ આધારિત બનાવાશે
* મારૂતિ, ટાટા, મહિન્દ્રા, હ્યુન્ડાઈ સહિત કંપનીઓ સાથે બેઠક
* નવા ફ્લેક્સ-ફયુલ એન્જિન વિકસાવાશે
* ઇ-વ્હીકલને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા
ખેડૂતોને થશે સીધો ફાયદો
* શેરડી અને મકાઈમાંથી ઇથોનોલ ઉત્પાદન વધશે
* ઇન્ડિયન સુગર અને બાયોએનર્જી * એસોસિએશન સાથે સરકારની બેઠક
* જીએસટી રાહત અને પ્રોત્સાહન પેકેજની તૈયારી
* દેશના અંદાજે 8 કરોડ ખેડૂતોને લાભ મળવાની શક્યતા
ક્રુડના વધેલા ભાવથી અર્થતંત્ર પર ભાર
* 2026માં રૂા.10.9 લાખ કરોડનો વધારાનો બોજાનો અંદાજ
* ડોલર સામે રૂપિયો નબળો પડવાની ચિંતા
* પરિવહન ખર્ચ વધતા મોંઘવારીમાં વધારો
* ઇ-એનર્જી આધારિત અર્થતંત્ર તરફ ભારતનો મોટો વળાંક


