તા.૨૯ જાન્યુઆરીએ અનામત રાખેલ નિર્ણયમાં નિર્દેશ
બિમાર અને જીવલેણ કુતરાઓને ઇન્જેકશન આપી મારી શકાય : સુપ્રિમ કોર્ટની ટકોર
સુપ્રિમ દ્વારા કરવામાં આવેલા નિર્દેશોને રદ કરવા ડોગ લવર્સ-NGO દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દેવાઇ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ તેવી ટકોર કરી હતી.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક જ મહિનામાં 1,084 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, તેમના ચહેરા પર ઊંડા ઘા હતા. તમિલનાડુમાં, વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ 2 લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા.
નવેમ્બર 2025માં, સુપ્રીમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટેનિર્દેશ આપ્યા હતા. કહ્યું હતું કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ અને તેમને પાછા છોડવા જોઈએ નહીં. રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને NGOએ આ નિર્દેશોને રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે 29 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે કેસની સુનાવણી કરી.
રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં, એક મહિનાની અંદર 1,084 કૂતરા કરડવાના ઘટના નોંધાઈ હતી. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં તેમના ચહેરા પર ગંભીર ઘા પણ સામેલ છે. વર્ષના પહેલા ચાર મહિનામાં જ તમિલનાડુમાં લગભગ 2 લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. સુરતમાં એક જર્મન પ્રવાસીને કૂતરાએ કરડ્યો હતો. આવી ઘટનાઓ શહેરી પ્રસાશન પર લોકોના વિશ્વાસને નબળો પાડે છે. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે આ કેસની સુનાવણી કરી.
છેલ્લી સુનાવણી 29 જાન્યુઆરીએ થઈ હતી, જેમાં બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન રાજ્યો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ દલીલો રજૂ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે રખડતા કૂતરાઓના કોઈ હુમલામાં ઈજા કે મૃત્યુ થાય છે, તો નગરપાલિકાની સાથે ડોગ ફીડર્સની જવાબદારી પણ નક્કી કરી શકાય છે. કોર્ટે કહ્યું હતું કે અમારી ટિપ્પણીઓને મજાક સમજવી ખોટું હશે. અમે ગંભીર છીએ. કોર્ટ જવાબદારી નક્કી કરવામાં પાછી પાની નહીં કરે કારણ કે વર્તમાન વ્યવસ્થામાં તંત્રની નિષ્ફળતા સામે આવી છે.
આ મામલો 28 જુલાઈ 2025 ના રોજ શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટે દેશમાં રખડતા કૂતરાઓના હુમલાઓ અને તેમનાથી થતા મૃત્યુ પર પોતે ધ્યાનમાં લીધું હતું. 11 ઓગસ્ટ 2025 ના રોજ કોર્ટે દિલ્હી-NCR માંથી 8 અઠવાડિયાની અંદર તમામ રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આના વિરોધ થતાં 22 ઓગસ્ટ 2025 ના રોજ કોર્ટે પોતાના આદેશમાં ફેરફાર કર્યો. કોર્ટે કહ્યું કે જે કૂતરાઓમાં રેબીઝ નથી અને જે આક્રમક નથી, તેમને નસબંધી અને રસીકરણ પછી તે જ વિસ્તારમાં છોડી શકાય છે, જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા. પાછળથી કેસનો વ્યાપ સમગ્ર દેશમાં વધારવામાં આવ્યો. 7 નવેમ્બર 2025ના રોજ કોર્ટે વચગાળાના આદેશમાં રાજ્યો અને NHAIને હાઈવે, હોસ્પિટલ, શાળા અને અન્ય સંસ્થાઓની આસપાસથી રખડતા પશુઓને હટાવવા જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરેલા નિર્દેશ
- રાજ્ય સરકારોએ પશુ કલ્યાણ બોર્ડ (AWBI)ના નિયમોને મજબૂત અને યોગ્ય રીતે લાગુ કરવા જોઈએ.
- દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સંપૂર્ણ કાર્યરત ABC સેન્ટર (એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર) બનાવવું જોઈએ.
- વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં, જરૂરિયાત મુજબ ABC સેન્ટરની સંખ્યામાં વધારો કરવો જોઈએ.
- કોર્ટના આદેશો અને પશુ કલ્યાણ નિયમોનો સંપૂર્ણ અમલ થવો જોઈએ.
- જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને, અન્ય જાહેર સ્થળોએ આ નિયમો લાગુ કરવાનો નિર્ણય લેવો જોઈએ, અને તેનો અમલ નિર્ધારિત સમયમર્યાદામાં થવો જોઈએ.
- હડકવા વિરોધી દવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
- NHAI નેશનલ હાઈવે પર રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે NHAI જરૂરી પગલાં ભરે. NHAIએ આ હેતુ માટે મોનિટરિંગ અને સંકલન વ્યવસ્થા પણ બનાવે.
- હડકવાથી સંક્રમિત અથવા અત્યંત ખતરનાક કૂતરાઓના કિસ્સામાં, કાયદા હેઠળ જરુર પડવા પર યુથેનેશિયા (દયા મૃત્યુ) જેવા પગલાં લઈ શકાય છે, જેથી લોકોનું જીવન સુરક્ષિત રહે.
- કોર્ટના આદેશોનો અમલ કરતા મ્યુનિસિપલ અને સરકારી અધિકારીઓને કાનૂની રક્ષણ આપવું જોઈએ. સામાન્ય રીતે તેમની સામે FIR અથવા બળજબરીથી કાર્યવાહી ન કરવી જોઈએ.


