સુરેન્દ્રનગરમાં ચૂંટણી અંતર્ગત ઝોનલ અને સેકટર ઓફિસરોને સ્પેશ્યલ સત્તા સોંપાય
સત્તાનો દુરૂપયોગ અટકાવવા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નિયુકત કરાયા
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આગામી તા. ૨૬ એપ્રિલે યોજાનાર મતદાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઝોનલ અને સેક્ટર ઓફિસરોને ‘ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂક ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ હેઠળ કરવામાં આવી છે. આ ચૂંટણીઓમાં નાગરિકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તેમજ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો જિલ્લા ચૂંટણી તંત્રનો ઉદ્દેશ્ય છે. મતદાન તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મતગણતરી તા. ૨૮ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયુક્ત કરાયેલા તમામ ઝોનલ અને સેક્ટર ઓફિસરઓને તેમના કાર્યક્ષેત્ર માટે ‘ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ’ તરીકેના અધિકારો એનાયત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ચૂંટણી કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તેવા આશયથી લેવાયો છે.
આ હુકમ આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ આ અધિકારીઓને વિશેષ સત્તાઓ સોંપાઈ છે. જેમાં કલમ-૪૧ મુજબ મેજિસ્ટ્રેટની હાજરીમાં ધરપકડ કરવાની, કલમ-૧૦૮ હેઠળ પોતાની હાજરીમાં ઝડતી કરાવવાની અને કલમ-૧૦૯ મુજબ દસ્તાવેજો વગેરે જપ્ત કરવાની સત્તાનો સમાવેશ થાય છે.
તદુપરાંત, કલમ-૧૪૮ હેઠળ મુલકી દળનો ઉપયોગ કરી ગેરકાયદેસર મંડળીઓને વિખેરવાની અને કલમ-૧૬૩ મુજબ તાકીદના પ્રસંગોમાં ન્યુસન્સ અથવા ભયના કિસ્સામાં આદેશ જારી કરવાની સત્તાઓ પણ એનાયત કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટઓને આ સત્તાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને તેનો કોઈપણ પ્રકારે દુરુપયોગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.


