પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ
મકાન પર કબ્જો, ત્રાસ અને તોડફોડના આક્ષેપ વચ્ચે વાદી નિર્મળાબેનને રાહત; પ્રતિવાદીઓને ફેરફાર ન કરવા કોર્ટનો આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પરિવારજનો વચ્ચે ચાલતા મિલ્કત વિવાદ મામલે સિવિલ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ હુકમ આપવામાં આવ્યો છે. વાદી નિર્મળાબેન મોતીલાલ ટાંક દ્વારા દાખલ કરાયેલા કેસમાં કોર્ટે પ્રાથમિક રીતે સ્ટેટસ ક્વો જાળવવાનો આદેશ આપતાં પ્રતિવાદીઓને મકાનમાં કોઈપણ પ્રકારના ફેરફાર ન કરવા નિર્દેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, નિર્મળાબેન ટાંકને તેમના ભાઈઓ સાથે થયેલી કૌટુંબિક સમજૂતી મુજબ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જીરાગઢ ગામે આવેલી વડીલોપાત ખેતીની જમીનમાં મળતા હિસ્સાના બદલે રાજકોટના રૈયા વિસ્તાર સ્થિત સોમનાથ-3, શેરી નં.1 ખાતે આવેલ મકાન આપવામાં આવ્યું હતું. આ અંગે લેખિત સમજૂતી કરાર પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મકાનનો કબ્જો નિર્મળાબેનને સોંપવામાં આવ્યો હતો.
પરંતુ નિર્મળાબેન મુજબ, તેઓ 7 ફેબ્રુઆરી 2026ના રોજ રાજકોટ પરત ફર્યા ત્યારે મકાનનું તાળું ખૂલેલું હતું અને પ્રતિવાદીઓએ મકાનના બે રૂમમાં પોતાનો સામાન રાખી કબ્જો કરી લીધો હતો. શરૂઆતમાં પરિવારજનો હોવાને કારણે કાનૂની કાર્યવાહી ટાળવામાં આવી હતી, કારણ કે પ્રતિવાદીઓએ થોડા સમયમાં રૂમ ખાલી કરી આપવાનું વચન આપ્યું હતું.
આક્ષેપ મુજબ, બાદમાં પ્રતિવાદીઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો રહ્યો અને મકાનમાં શાંતિથી રહેવા દેવામાં આવતું નહોતું. વધુમાં મકાનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જાળવી રાખીને વિજળી અને ગેસ કનેક્શન કપાવી નાખ્યા હતા. પ્રતિવાદીઓના પુત્ર દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી બિલ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો પણ આરોપ છે.
નિર્મળાબેને આક્ષેપ કર્યો છે કે તેમને ઘર છોડવા મજબૂર કરવા માટે ગુંડા તત્વોને બોલાવી મકાનના સંડાસ-બાથરૂમ તોડી પાડવામાં આવ્યા અને આખું મકાન ધરાશાયી કરવાની ધમકીઓ આપવામાં આવી. આ મામલે અનેકવાર પોલીસમાં અરજી કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં તેઓએ અંતે કોર્ટનો સહારો લીધો હતો. વાદીએ રાજકોટ સિવિલ કોર્ટમાં પ્રતિવાદીઓને મકાનમાં બળજબરીથી પ્રવેશ કરતા રોકવા અને તોડફોડ ન કરવા માટે મનાઈ હુકમ સાથે દાવો દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન વાદી તરફથી એડવોકેટ હરેશ બી. પરસોંડાએ દલીલ કરી હતી કે પ્રતિવાદીઓની વર્તણૂકને ધ્યાનમાં લેતા મકાનને નુકસાન પહોંચાડવાની ગંભીર શક્યતા છે અને વાદીની પ્રાથમિક જરૂરિયાતો પણ બંધ કરવામાં આવી છે.
દલીલો સાંભળ્યા બાદ રાજકોટના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ ડી.ડી. શાહએ વાદીની સ્ટેટસ ક્વોની અરજી મંજુર કરી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે પ્રતિવાદીઓ અથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા મકાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે અને હાલની સ્થિતિ યથાવત્ રાખવામાં આવે, જ્યાં સુધી તેઓ કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ ન કરે.
આ કેસમાં વાદી તરફથી એડવોકેટ હરેશ બી. પરસોંડા, દિવ્યેશ લાખાણી, જેનીલ પરસોંડા, જયદિપ જાગાણી, પ્રભાત પરસોંડા, પુજા પરસોંડા, રોનક વસોયા, પિયુષ ઝાલા, ગોપાલ મકવાણા, રોનક દેસાઈ, જયદિપ રાઠોડ, દેવદીપસિંહ ગોહેલ, અર્શ શેરસીયા, ભૂમિકા અજાણી, ઋષીરાજ જે. ચૌહાણ સહિતની ટીમે કાનૂની લડત સંભાળી હતી. કોર્ટે આપેલા આ હુકમથી વાદીને તાત્કાલિક રાહત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


