ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો
ક્રાંતિ સંગઠન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને વીજ પોલ સ્થાપિત કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોની સંમતિ વિના તેમની ખેતીની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનો નાખવાની કામગીરી કરવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેમજ તેમની જમીન, પાક અને બાગાયતી ખેતીને નુકસાન પહોંચે છે. જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની મંજૂરી વિના કોઈપણ ખેતીની જમીનમાં વીજ પોલ અથવા વીજ લાઇન ન નાખવામાં આવે. જ્યાં ખેડૂતોની ઇચ્છા વિરુદ્ધ વીજ પોલ અથવા વીજ લાઇનો નાખવામાં આવી હોય, ત્યાં તેની યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે. જો કોઈ અધિકારી અથવા સંસ્થા દ્વારા ગેરરીતિ કે દબાણ કરવામાં આવ્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ખેડૂતોની જમીનનો ઉપયોગ વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર અથવા કોરિડોર માટે કરવામાં આવે ત્યારે ખેડૂતોને કાયમી આવક મળી રહે તે હેતુથી યોગ્ય માસિક ભાડું અને વળતર નક્કી કરવામાં આવે. રાજ્ય સરકાર સ્પષ્ટ નીતિ જાહેર કરે વીજ પોલ માટે માસિક રૂ. 50,000 અને વીજ લાઇન હેઠળ આવતી જમીન માટે પ્રતિ ચોરસ મીટર માસિક રૂ. 1,000 ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવે છે. ઉપરાંત, પાક, બાગાયત અને અન્ય કૃષિ નુકસાનનું સંપૂર્ણ વળતર પણ રોકડ રકમમાં આપવામાં આવે.
તેમજ ભૂતકાળમાં વિવિધ વિકાસ યોજનાઓ, ઉદ્યોગો, એક્સપ્રેસ-હાઈવે, બુલેટ ટ્રેન અને અન્ય જાહેર હિતના પ્રોજેક્ટ માટે સંપાદિત થયેલી જમીનોના વળતર ધોરણોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધુ યોગ્ય અને કાયમી વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
આ બાબતે તાત્કાલિક યોગ્ય તપાસ કરાવી ખેડૂતોને ન્યાય મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા ભરતસિંહ ઝાલા ક્રાંતિ સંગઠન ખેડૂત આગેવાન અમદાવાદ) ભરતસિંહ વાળા (પ્રમુખશ્રી ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠન), ગજેન્દ્રસિંહ ઝાલા (ઉપપ્રમુખ ગુજરાત ખેડૂત એસોસિએશન) પ્રવીણભાઈ પટેલ (કાલાવડ) ભાવેશભાઈ કોરાટ, રામદેવસિંહ જાડેજા, ભુપતભાઈ કાકડીયા (ધારૂકા તાલુકો ઉમરાળા), દીપકભાઈ લીમ્બાસીયા (ડુંગરકા તાલુકો પડધરી), રમેશભાઈ હાપલીયા (તરઘડી તાલુકો પડધરી) પટેલ નાગજીભાઈ વિરાણી (રાજકોટ)એ માંગ કરી છે.


