ખાતર અને બિયારણમાં ગેરરીતિ-કાળાબજારી કરનાર ચાર વેપારીઓને કરાયા જેલ હવાલે
PBM કાયદા હેઠળ સખત કાર્યવાહી કરતી રાજય સરકાર : કૃષિ મંત્રીની સ્પષ્ટ ચેતવણી કિસાનો સાથેની છેતરપીંડી સાંખી નહી લેવાય
અગ્ર ગુજરાત, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના સીધા આદેશ હેઠળ, રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ તેમજ કાળાબજારી કરનારા વિક્રેતાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવા સુધીની જ નહીં, પરંતુ સીધા જેલ ભેગા કરવા સુધીની સખત કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ કાર્યવાહી અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા ૪ ઇસમો વિરુદ્ધ ‘PBM એક્ટ’ હેઠળ ગુનો નોંધી, તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાતર અને બિયારણના ડુપ્લીકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જોગવાઈનો અમલ કરવામાં આવશે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે જગતના તાત સાથે છેતરપિંડી કરનારાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે PBM એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ખાતર અને બિયારણ એ ખેડૂત માટે પાયાની જરૂરિયાત છે અને તેમાં ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોનો પાક અને મહેનત બરબાદ કરનારાઓ સામે આ માત્ર શરૂઆત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સરકાર જરા પણ દયા રાખશે નહીં અને PBM એક્ટ જેવા સખત કાયદા હેઠળ જેલની સજા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર ૬૮ ખાતર વિક્રેતા, ૧૭ બિયારણ વિક્રેતા અને ૧૩ જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ ૯૮ વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.


