ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા
ભરવાડ સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી કરાઇ : દુધ ભરેલા ત્રાંબા-પિતળના બેડા લઇ મહિલાઓ નીકળી
અગ્ર ગુજરાત, ગોંડલ
કોલીથડ ગામે આવેલ લેનવાળી આઈ મછો માતાજી પુનિયામામાની જેઠી બીજ અને મચ્છો માતાજીની તિથિ નિમિત્તે સમગ્ર ભરવાડ સમાજ ભક્તિના રંગે રંગાયો હતો. આ પાવન અવસરે માતાજીને 500 લીટર જેટલા શુદ્ધ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં માલધારી સમાજની સંસ્કૃતિ અને અનન્ય પરંપરાના અદભુત દર્શન થયા હતા.
ગોંડલનું કોલીથડ ગામ આજે જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મચ્છો માતાજીની તિથિ નિમિત્તે માલધારી સમાજની મહિલાઓ પોતાના પરંપરાગત ઘરેણાં અને વેશભૂષામાં સજ્જ થઈને આ ઉત્સવમાં સહભાગી થઈ હતી. કોલીથડ ગામના બસ સ્ટેન્ડથી લઈને મુખ્ય બજારમાં આવેલા મચ્છો માતાજીના મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં મહિલાઓ પોતાના માથા પર દૂધથી ભરેલા ત્રાંબા-પિત્તળના બેડાં લઈને નીકળી હતી. આ બેડાં પર શ્રીફળ, આસોપાલવના પાન અને ફૂલહારની સુંદર સજાવટ કરવામાં આવી હતી.
ઉત્સવનો માહોલ ત્યારે વધુ રંગીન બન્યો જ્યારે ઢોલના તાલે માથા પર બેડાં લઈને મહિલાઓ રાસ ગરબે ઘૂમી હતી. આ સાથે જ સમાજના યુવાનો, યુવતીઓ અને વડીલોએ પરંપરાગત ‘હુડો રાસ’ની રમઝટ બોલાવી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું.
જ્યારે આ શોભાયાત્રા મંદિરે પહોંચી, ત્યારે નાની દીકરીઓ દ્વારા માથા પર સામૈયા લઈને, કંકુ તિલક કરી તમામ મહિલાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીને ચડાવવામાં આવેલું આ 500 લીટર દૂધ કોઈ ડેરીનું નહીં, પરંતુ માલધારી સમાજના લોકો પોતાના નેહડામાંથી અને ઘેર-ઘેરથી શ્રદ્ધાપૂર્વક એકત્રિત કરીને લાવ્યા હતા.
અહીંની ધાર્મિક પરંપરા મુજબ, આ તમામ દૂધને સૌપ્રથમ એક મોટા વાસણમાં એકઠું કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શાસ્ત્રોક્ત વિધિ પૂરતું દૂધ મચ્છો માતાજીના મંદિરે ચડાવવામાં આવે છે. આ સાથે જ આ પવિત્ર દૂધથી કોલીથડ ગામમાં આવેલા રામદેવપીર મંદિર અને ખોડિયાર માતાજીના મંદિરે પણ ભક્તિભાવપૂર્વક દૂધનો અભિષેક કરવામાં આવે છે.
જ્યારે બાકી રહેલા દૂધમાંથી એક ખાસ પરંપરાગત પ્રવાહી (પ્રસાદ) તૈયાર કરવામાં આવે છે અને ઉત્સવમાં આવેલા તમામ શ્રદ્ધાળુઓને આ દૂધનું પ્રવાહી પ્રેમપૂર્વક પીવડાવવામાં આવે છે.
આ ભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના અનેક સામાજિક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં મુખ્યત્વે મહેશભાઈ ભાયાભાઈ શિયાળ, જગદીશભાઈ નાથાભાઈ ચાવડીયા, હીરાભાઈ થોભણભાઈ ગરીયા, ગોવિંદભાઈ દેવાભાઈ ચાવડીયા, વિજયભાઈ જાદવભાઈ બતાળા, સંજયભાઈ ભોજાભાઈ ચોરીયા, બાવનજીભાઈ બચુભાઈ ચાવડીયા, વિક્રમભાઈ મંગાભાઈ ગરિયા, રાજુભાઇ હીમાભાઇ ચાવડીયા, લાલજીભાઈ રાણાભાઈ શિયાળ જહેમત ઉઠાવી હતી.
ભરવાડ સમાજ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ગાયો-ભેંસો પ્રત્યેના પ્રેમને કારણે હંમેશા જાણીતો રહ્યો છે. વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજીને માલધારી સમાજ આજે પણ પોતાની પ્રાચીન શ્રદ્ધા અને પરંપરાઓને અકબંધ રાખી રહ્યો છે, જેની સુંદર ઝાંખી આજે કોલીથડ ગામે જોવા મળી.


